અમદાવાદ : રખિયાલમાં એક વ્યક્તિના આપઘાતને લઇને ઘુંટાતું રહસ્ય, સ્યુસાઇડ નોટમાં કંપની મેનેજર અને સુપર વાઇઝરનો ઉલ્લેખ
કમરનાં દુખાવાને કારણે હાર્ડવર્ક નહિ આપવા અનેક વખત રજુવાત કરી. કંપનીના મેનેજર અને સુપરવાઈઝરે નોકરીમાંથી કાઢી મુકવાની મૌખિક વાત કરી. ઘરમાં ત્રીજા માળે બાઇબલ વાંચવાનું કહી કર્યો આપઘાત. સુસાઇડ નોટથી થયો ખુલાસો.
અમદાવાદના (Ahmedbad) રખિયાલમાં એક વ્યક્તિએ આપઘાત (suicide)કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે. પરિવારના સભ્યો દ્વારા પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસની (Police) પ્રાથમિક તપાસમાં યુવકના આપઘાત પાછળના ચોંકાવનારા કારણો સામે આવ્યા છે.
“મારી મોતનું કારણ સુપરવાઈઝર મહેન્દ્ર પવાર છે. મહેન્દ્રભાઈએ કારીગરો અને સાહેબ યોગેશ લઇને આવું કાવતરું કર્યું હતું મને ખાતામાંથી કાઢી મૂકવા. પોલીસ સાહેબ મારા ઘરના બધા જ વ્યક્તિ નિર્દોષ છે. કોઈને પણ મારા ઘરના વ્યક્તિને સજા ન થાય તે માટે આટલી મારી વિનંતી.”
લી. ડેનિશ
આ સુસાઈડ નોટ મૃતક ડેનિશ પાસે રહેલી બાઈબલમાંથી મળી આવી છે. સુસાઈડ નોટમાં ડેનિશ તેના આપઘાત પાછળ તેની કંપનીના સુપરવાઈઝર મહેન્દ્રભાઈ અને સાહેબ યોગેશને કસૂરવાર ગણાવી રહ્યા છે.
સમગ્ર ઘટના પર નજર કરીએ તો,
ડેનીશ ક્રિશ્ચીયન ઓઢવ ખાતે આવેલી એક કંપનીમાં પેકીંગ ડિપાર્ટમેન્ટમાં 12 વર્ષથી નોકરી કરતા હતા. ડેનીશ કિશ્ચીયનને છેલ્લાં 4 મહિનાથી કમરનો દુખાવો થયો હોવાથી તેનાથી હાર્ડવર્ક થઈ શકતુ નહોતુ. જેથી તેમણે કંપનીનાં મેનેજર યોગેશ અને સુપરવાઈઝર મહેન્દ્ર પવારને હળવુ કામ આપવા માટે અવારનવાર રજૂઆત કરી હતી. છતાં મેનેજર અને સુપરવાઈઝર ડેનીશ ક્રિશ્ચીયનને હાર્ડવર્કનું કામ આપી ત્રાસ આપવામાં આવતો હતો. જેનાથી કંટાળી ડેનિશ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.
રખિયાલમાં આવેલી મેઘધારા સોસાયટીમાં કે જ્યાં ડેનિશ તેના પરિવાર સાથે રાજી ખુશીથી જીવન જીવતો હતો. ડેનિશનાં આપઘાતને ઘણા દિવસો થઈ ગયા છતાંય આ પરિવારની આંખના આંસુ સુકાયા નથી. પરિવારના હાથમાં રહેલા બાળકોના ભવિષ્યની ચિંતા છે હવે આ પરિવારને.
19 એપ્રીલએ ડેનીશ ક્રિશ્ચીયને પત્નિને જણાવ્યું હતુ કે કંપનીએ તેને સસ્પેન્શન ઈન્કવાયરીનાં કામે નોટીસ આપી છે અને નોટીશનો જવાબ કરવા માટે કંપનીમાં હાજર રહેવા જણાવ્યું છે. જેથી ડેનીશ ક્રિશ્ચીયન સવારે કંપનીમાં ગયા હતા અને રાતનાં 11 વાગે પરત ફર્યા હતા. જે બાદ તેમણે પત્નિને જણાવ્યું હતું કે કંપનીનાં મેનેજર યોગેશભાઈએ વકીલ આવ્યો નથી કહીને ત્રણેક દિવસ બાદ આવવાનું કહ્યું છે. જેથી 10મી મેનાં રોજ ડેનીશ ક્રિશ્ચીયન સવારે કંપનીમાં ગયા અને બપોરે ઘરે આવ્યા ત્યારે નિરાશ જોવા મળ્યા હતા. કંપનીના મેનેજર યોગેશભાઈ તથા કંપનીનાં સુપરવાઈઝર મહેન્દ્રભાઈ પવારે તેને કંપનીમાં બે કલાક બેસાડી રાખી માનસિક ટોર્ચર કરી નોકરીમાંથી છૂટો કરી દેવાનો મૌખીક હુકમ કર્યો હતો. જે બાદ બપોરનાં સમયે ડેનીશ ક્રિશ્ચીયને આપઘાત કરી લીધો.
આપઘાત કરતા પહેલા મૃતક તેમના પરિવારને એવું કહીને ગયા કે ઉપરના મકાનમાં બાઈબલ વાંચીને આવુ છુ પણ બપોરે ડેનીશભાઈની પત્નિ ચા બનાવી આપવા માટે ઉપરનાં માળે ગઈ ત્યારે મકાનનો દરવાજો બંધ હોવાથી તેણે ખખડાવતા કોઈએ દરવાજો ખોલ્યો ન હતો. જેથી તેઓએ દરવાજો જોરથી ખોલતા ઘરમાં છત ઉપર લગાવેલા લોખંડનાં હુકમાં પતિએ નાયલોનની દોરીથી ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળતા તેણે બુમાબુમ કરી હતી. જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવી હતી. જે રૂમમાં યુવકે આપઘાત કર્યો હતો ત્યાં બાઈબલનું ધાર્મિક પુસ્તક મળ્યું હતું. જે પુસ્તકમાં તેણે જોતા એક ચોપડાનાં અડધીયાનાં કાગળમાં સ્યુસાઇડ નોટનું લખાણ મળી આવ્યું હતું. જેમાં બે લોકોના નામ સાથે આક્ષેપ કરાયા હતા. જે મામલે હવે ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે.
પરિવાર ના બે બાળકો માસૂમ બાળકો અને તેમની માતા નો સહારો છીનવાઈ ગયો. પરિવાર હાલ શોકમગ્ન છે અને પોલીસ યોગ્ય કાર્યવાહી કરી ન્યાય અપાવે તેવી માંગ કરી રહ્યો છે ત્યારે એફ.એસ.એલના રિપોર્ટ આધારે પોલીસ આરોપીઓને પકડી યોગ્ય ન્યાય અપાવવા કાર્યવાહી હાથ ધરી રહી છે.