Ahmedabad : મકરબામાં એક વ્યક્તિને તાંત્રિક વિધિ કરાવવી ભારે પડી, ગુમાવ્યા 43.65 લાખ રૂપિયા
મકરબામાં રહેતા એક વ્યક્તિ ભોગ બન્યા કે જેમણે તાંત્રિક વિધિ કરાવવી ભારે પડી અને ગુમાવવા પડ્યા 43.65 લાખ રૂપિયા.
Ahmedabad : શહેરમાં છેતરપિંડીના બનાવો વધી રહ્યા છે. જેમાં વિવિધ પ્રકારની છેતરપિંડીની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આવી જ રીતે મકરબામાં રહેતા એક વ્યક્તિ ભોગ બન્યા કે જેમણે તાંત્રિક વિધિ કરાવવી ભારે પડી અને ગુમાવવા પડ્યા 43.65 લાખ રૂપિયા. જે સમગ્ર મામલે ઘાટલોડિયા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ લોકો સામે ફરિયાદ થતા પોલીસે ત્રણેની શોધખોળ હાથ ધરી છે.
મકરબામાં રહેતા અજય પટેલ કે જે મકરબામાં ઇલેક્ટ્રિક દુકાન ધરાવે છે. જેણે તેની ગર્લફ્રેન્ડ સાથે મનદુઃખ થયું. તેમજ ઘરમાં અન્ય સમસ્યાઓ હતી. જે સમસ્યા દુર થાય માટે અજય તેના પરિચિતના માધ્યમે ઘાટલોડિયામાં રહેતા અને તાંત્રિક વિધિ કરતા અનિલ જોશી તેમની પત્ની અને તેમના ગુરુજીનો સંપર્ક થયો. સંપર્ક થતા અજય પટેલને એમ કે તેની સમસ્યા દૂર થશે. પણ એવું ન થયું અને તે ખુદ છેતરપિંડીનો ભોગ બન્યો અને તેણે 43.65 લાખ ગુમાવવાનો વારો આવ્યો. જે મામલે ભોગ બનનારે પોલીસ ફરિયાદ કરતા ઘાટલોડિયા પોલીસે તપાસ શરૂ કરી.
ભોગ બનનારનું કહેવુ છે કે તેની ગર્લફ્રેન્ડ સાથે મનદુઃખ. લગ્ન ન થતા હોવા તેમજ પારિવારિક સમસ્યાના નિરાકરણ માટે તે તાંત્રિકના સંપર્કમાં આવ્યો. જ્યાં તેને એક તાબીજ આપ્યા બાદ વશીકરણ થઈ ગયાના આક્ષેપ કર્યા. જે બાદ આરોપીઓએ તેની પાસેથી નાણાં પડાવ્યા. ભોગ બનનારનું જણાવવું છે કે તેણે તેની મૂડી, લોન લઈને તેમજ મિત્રો અને પરિચિત પાસેથી નાણાં લઈને આપ્યા હતા. જે બાદ જ્યારે તાંત્રિકે બાંધેલ દોરો ખુલી જતા ભાન આવતા તેની સાથે છેતરપિંડી થયાનું જણાઈ આવ્યું.
ઘાટલોડિયા પોલીસ સ્ટેશનના પીઆઇના જણાવ્યા પ્રમાણે ભોગ બનનારા અને આરોપીઓ પરિચિતના થકી સંપર્કમાં આવ્યા હતા. જે બાદ વિધિ કરવાના નામે આરોપીઓએ ભોગ બનનાર પાસે થી અલગ અલગ રીતે નાણાં મેળવ્યાનું સામે આવ્યું છે. જેમાં 5 લાખ નેટ બેન્કિંગ અને બીજા નાણાં રોકડ રકમે આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું. જે મામલે પોલીસે તપાસ શરૂ કરી. સાથે જ પોલીસે આરોપીઓના ગુનાહિત ઇતિહાસ સહિતની પણ તપાસ શરૂ કરી છે.
મહત્વનું છે કે શહેરમાં તાંત્રિક વિધિ દ્વારા છેતરપિંડીનો આ પહેલો કિસ્સો નથી. અગાઉ પણ આ પ્રકારના કિસ્સા શહેરમાં સામે આવી ચુક્યા છે. તેમજ લોકો પણ આ બાબતે અવગત છે. જોકે તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ હજુ સામે આવી રહી છે. ત્યારે આ ઘટના આવા લોકો માટે લાલબતી સમાન છે કે જેઓ તાંત્રિક વિધિ કરાવી રહ્યા છે કે પછી વિચારી રહ્યા છે. જે લોકોએ જાગૃત બનવાની જરૂર છે. જેથી ફરી કોઈ તાંત્રિક વિધિના નામે છેતરાઇ નહિ અને નાણાં ગુમાવાનો વારો આવે નહિ. ત્યારે જોવાનું એ રહે છે કે અજય પટેલ સાથેની ઘટનામાં પોલીસે આરોપીઓને ક્યારે અને કેવી રીતે ઝડપી પાડે છે.