AHMEDABAD : ખોખરા વિસ્તારમાં પાણીની ટાંકીમાંથી કોહવાયેલી હાલતમાં મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર
MUREDER IN AHMEDABAD : ફાયર બ્રિગેડે પ્લાસ્ટિકની ટાંકી કાપીને મહિલાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ઘટનાસ્થળેથી પોલીસને એક ધારદાર હથિયાર પણ મળી આવ્યું છે.
AHMEDABAD : એક તરફ રાજયના પોલીસ વડા તરફથી અમદાવાદ શહેરમાં ક્રાઈમ રેટ ઓછો કરવા માટે સૂચના આપવામાં છે તો બીજી તરફ ક્રાઈમ રેટ ઓછો થવાને બદલે દિવસે દિવસે હત્યાના વધી રહેલા બનાવોના કારણે અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad City Police) ની ઊંઘ હરામ થઈ ગઈ છે.મંગળવારે અમદાવાદ શહેરમાં ખોખરા (Khokhra) પોલિસ સ્ટેશનની હદમાં મહિલાનો મૃતદેહ પાણીની ટાંકીમાંથી મળી આવ્યો છે. જેને લઈને ખોખરા પોલીસે મહિલાના મૃતદેહ પાણીની ટાંકીમાં કેવી રીતે આવ્યો તે કોયડો ઉકેલવામાં લાગી છે.
પ્લાસ્ટિકની ટાંકી કાપીને મૃતદેહ બહાર કઢાયો ખોખરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અનુપમ વિસ્તારના મોહન એસ્ટેટ (Mohan Estate) માં આવેલ ગારમેન્ટના કારખાનામાં મંગળવારે અચાનક તીવ્ર દુર્ગંધ આવવા લાગી. જેને કારણે કારખાનામાં કામ કરતા કારીગરોએ દુર્ગંધ ક્યાંથી આવી રહી છે તેની તપાસ કરી હતી. તેમાંથી 2 કારીગરો જ્યારે ધાબા પર ગયા ત્યારે તેમણે જોયું કે ધાબા પર રાખવામાં આવેલી પાણીની ટાંકી આડી પડી છે અને અંદર કોઈના પગ દેખાય છે.
બંને કારીગરો ઘબરાઈને નીચે આવી ગયા અને તેમણે તરત જ એસ્ટેટના હોદ્દેદારોને જાણ કરી. સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા પોલીસની મદદ લેવામાં આવી હતી. ઘટના સ્થળે પહોંચી પોલીસે ધાબા પર તપાસ કરતા માલુમ પડ્યું કે પાણીની ટાંકીમાં મહિલાનો મૃતદેહ પડ્યો છે. ખોખરા પોલીસે અમદાવાદ ફાયરબ્રિગેડની મદદ લીધી હતી. ફાયર બ્રિગેડે પ્લાસ્ટિકની ટાંકી કાપીને મૃતદેહ બહાર કાઢ્યો હતો.
ઘટના સ્થળેથી તીક્ષ્ણ હથિયાર પણ મળ્યું મહિલાના મૃતદેહને જોતા તેનું ગળું દબાવીને હત્યા (MUREDER) કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન છે.સાથે જ જે બિલ્ડીંગમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો ત્યાંથી પોલીસને એક ધારદાર છરો પણ મળી આવ્યો છે, જેના પર લાગેલા ફિંગરપ્રિન્ટ કોના છે અને આવા કોઈ ફિંગરપ્રિન્ટ મહિલાના મૃતદેહ પર મળી આવ્યા છે કે કેમ તે દિશામાં તપાસ કરવા FSL ટીમની મદદ લઈને મહિલાના મૃતદેહની મર્ડર મિસ્ટ્રીનો કોયડો ઉકેલવાના પ્રયત્નો શરૂ કર્યા છે.
ઘટના પાછળ અનેક સવાલો ઉભા થયા મહિલાનો મૃતદેહ કોહવાયેલી હાલતમાં મળી આવ્યો હતો જેથી સીધી રીતે મહિલાની ઓળખ થઈ શકે તેમ ન હતી. જેથી ખોખરા પોલીસે આસપાસના એસ્ટેટમાં કોઈ મહિલા ગુમ થઈ છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરી જો કે એસ્ટેટના કોઈ વ્યક્તિ આ મૃતક મહિલાને ઓળખતું ન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું.
ખોખરા પોલીસે મૃતક મહિલા આ એસ્ટેટના ધાબા પર કેવી રીતે આવી અને કોણ તેને અહીંયા લઈને આવ્યું હતું તે દિશામાં તપાસ હાથ ધરી છે. આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે ખોખરા પોલીસે એસ્ટેટમાં કામ કરતા કારીગરોના તેમજ જે બિલ્ડિંગના ધાબેથી મહિલાનો મૃતદેહ મળ્યો તે બિલ્ડીંગમાં કામ કરતા કર્મચારીઓના નિવેદન લીધા છે, તેમજ એસ્ટેટની આસપાસ લાગેલા CCTV ફૂટેજ ચકાસવા માટેની કામગીરી શરૂ કરી છે.