સુરતમાં ક્રાઈમ પેટ્રોલ જેવો કિસ્સો આવ્યો સામે, દેવામાંથી મુક્તિ મેળવવા પોતાની મોતનું રચ્યું કાવતરુ
તમે ફિલ્મો અને ક્રાઈમ સિરિયલોમાં જોયો હશે તેવો કિસ્સો સુરતમાં બન્યો છે. જેને લઈને સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઘલા ગામે થોડા દિવસ પહેલા કાર સળગી જવાની અને મૃતદેહ મળી આવવાની ઘટનામાં હત્યા બહાર આવી છે.
તમે ફિલ્મો અને ક્રાઈમ સિરિયલોમાં જોયો હશે તેવો કિસ્સો સુરતમાં બન્યો છે. જેને લઈને સમગ્ર જિલ્લામાં ચકચાર મચી જવા પામી છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઘલા ગામે થોડા દિવસ પહેલા કાર સળગી જવાની અને મૃતદેહ મળી આવવાની ઘટનામાં હત્યા બહાર આવી છે. સુરતના રહેવાસી એવા કાર ચાલકે પોતે દેવામાંથી બચવા અન્ય એક ઈસમને મારી નાખી કારમાં સળગાવી લોન માફી કરવાની ફિરાકમાં હતો. જો કે સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે આખું તરકટ ખુલ્લું પાડી દીધું.
તમને જણાવી દઈએ કે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઘલા ગામ નજીક ગત 14મી એપ્રિલના રોજ એક કાર સળગેલી હાલતમાં મળી આવી હતી અને કારમાંથી એક મૃતદેહ પણ મળી આવ્યો હતો. ઘટના બાબતે કામરેજ પોલીસ તેમજ જિલ્લા પોલીસે ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તબક્કે પોલીસે અકસ્માત મોત અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પ્રથમ કાર માલિક પુના ગામનો વિશાલ લક્ષ્મણભાઈ ગજેરા હોવાનું બહાર આવ્યું હતું, વિશાલ ગજેરાના ભાઈએ 10મીએ સરથાણા પોલીસમાં ગુમ થયાની ફરિયાદ પણ આપી હતી.
સુરત ગ્રામ્ય એસ.ઓ.જીએ સમગ્ર ઘટના બાબતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો અને કેટલાક દિવસોની પોલીસ તપાસ બાદ આકસ્મિક જણાતી આખી ઘટનાએ બીજું જ સ્વરૂપ ધારણ કર્યું હતું અને કારમાં જે સળગી ગયેલ ઈસમ વિશાલ ગજેરા કહેવાતા હતા તે પોતે જીવિત નિકળ્યા. વિશાલ પોતે શેર બજાર, ઘર લોન, કાર લોનના દેવામાં હોય એ બધામાંથી મુક્તિ મેળવવા નાટક કર્યું હતું અને પોતે અંકલેશ્વર નજીક જતા એક દારૂડિયા ઈસમને કારમાં બેસાડી લાવી સળગાવી દીધો હતો. જેથી તેને લોનમાંથી મુક્તિ મળી શકે.
પ્રાથમિક તબક્કે પોલીસ આખી ઘટના અંગે ગુમરાહ થઈ રહી હતી. પરંતુ ઠોસ પુરાવાઓ તેમજ પોલીસની તપાસ દરમિયાન સુરત શહેર, અંકલેશ્વર નજીક કેટલીક જગ્યાના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને હાથ લાગ્યા હતા. જેથી પોલીસ વિશાલ ગજેરાના આખા તરકટ સુધી પહોંચી ગઈ અને આખરે વેલંજા ગામ નજીક બાતમીને આધારે પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. આમ ક્રાઈમ ભલે કેટલા પણ પ્લાનિંગ સાથે કર્યુ હોય પણ તેનો અંત તો જેલમાં જ આવે છે.
આ પણ વાંચો: અખિલેશ યાદવે કેન્દ્ર પર તાકયું નિશાન, કહ્યું મફત હોવું જોઈએ કોરોના ટેસ્ટ, સારવાર અને રસી