અમદાવાદના રામોલ વિસ્તારમાં મિલકતના ઝગડામાં ભાઈએ સગી બહેનની કરી હત્યા, પિતા અને ભાણેજ પણ ઈજાગ્રસ્ત
અમદાવાદના (Ahmedabad) રામોલ વિસ્તારમાં મિલકતની દુશ્મનાવટમાં થયેલા ઝઘડામાં એક યુવકે તેની જ બહેનની હત્યા કરી નાખી. મકાન બાબતે ચાલી રહેલા ઝગડા વચ્ચે રાત્રીના સુઈ રહેલી બહેન પર ચપ્પુથી આડેધડ હુમલા કરતા યુવતીનું મોત નીપજ્યું.
સબંધોને સર્મશર કરતો વધુ એક કિસ્સો અમદાવાદમાં (Ahmedabad) સામે આવ્યો છે. મિલકતનાં ઝઘડામાં ભાઈએ પોતાની સગી બહેનની હત્યા કરી નાખી છે અને પિતા પર પણ હુમલો કર્યો છે. મદનસિંગ ઉર્ફે મહેન્દ્રસિંહ કે જેણે તેની જ બહેનને ચપ્પુના ઘા મારી હત્યા કરી દેતા રામોલ પોલીસે તેની ધરપકડ કરી છે. આ સમગ્ર બાબતની ફરિયાદ પોલિસને રામોલ (Ramol) વિસ્તારમાં આવેલ સુરેલિયા એસ્ટેટ રોડ પર આવેલ કૃષ્ણ કુંજ સોસાયટીમાં રહેતા શેતાનસિંગ ચાવડાએ નોંધાવી છે. જેમાં દીકરી મનહર બહેનને પતિ સાથે મનમેળ ન રહેતા પિતા સાથે રહેતી હતી અને પિતાના મકાનને લઈને ભાઈ બહેન વચ્ચે ઝઘડો ચાલતો હતો. જે દુશ્મનાવટમાં ભાઈએ બહેન પર હુમલો કરી હત્યા કરી નાખી.
મિલકતને લઈને ઝઘડો
થોડા દિવસો પહેલા હત્યારા મદનસિંગએ બહેન મનહરને ઘરમાંથી મકાન ખાલી કરી જતા રહેવાની ધમકી પણ આપી હતી, છતાં પણ બહેને ઘર ખાલી ન કરતા 9 જૂનના રાતના બે વાગ્યાની આસપાસ આરોપીએ મહિલાને આડેધડ છરીના ઘા માર્યા હતા. જોકે તે સમયે પિતા જાગી જતા તેઓએ પણ આરોપીની રોકવાનો પ્રયાસ કર્યો હતો તેમજ ભાણેજે પણ પ્રયાસ કરતા તેને પણ આરોપીએ ચપ્પુથી હુમલો કર્યો હતો. જે બાદ બુમાબુમ થતા આરોપી ફરાર થઇ ગયો હતો. જેની હાલ રામોલ પોલીસે ધરપકડ કરી છે.
પિતા અને ભાણેજ ઈજાગ્રસ્ત
મદનસિંગ ઉર્ફે મહેન્દ્રસિંહે ભાણેજ અને પિતાને પણ છરીના ઘા મારીને ઇજા પહોંચાડી હતી. ગંભીર ઈજા થતાં તેઓ સારવાર હેઠળ છે. આ સમગ્ર બાબત મિલકતની વિવાદને લઈને થયો હતો. બહેન મકાન ખાલી કરતી ન હોવાથી ભાઈએ આ ગુનો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં પોલીસે આ સમગ્ર બાબતે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદ શહેરમાં એક બાદ એક હત્યાના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે ક્યાંક શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળતી જતી હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા થોડા દિવસમાં ચારથી પાંચ હત્યાના બનાવ સામે આવતા પોલીસ આવા બનાવો રોકવા ખાસ શુ એક્શન લે છે તે જોવાનું રહેશે.