ગોવા : સરકારી GMCH હોસ્પિટલમાં એક સાથે 26 કોરોના દર્દીઓના મૃત્યુ, ઓક્સિજનનો અભાવ કારણભૂત
ગોવાની GMCH હોસ્પિટલમાં વહેલી સવારે કોરોનાના 26 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
GOA : ગોવાના એક હોસ્પિટલમાં મંગળવારે સવારે 26 કોરોના દર્દીઓનાં મોતનો મામલો સામે આવ્યો છે. ગોવાના આરોગ્ય પ્રધાન વિશ્વજીત રાણેએ મંગળવારે જણાવ્યું હતું કે સરકારી ગોવા મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (GMCH) માં આજે વહેલી સવારે કોરોનાના 26 દર્દીઓનાં મોત નીપજ્યાં છે અને મૃત્યુના યોગ્ય કારણો શોધવા માટે હાઇકોર્ટ દ્વારા તપાસની માંગ કરી છે.તેમણે કહ્યું કે, આ દર્દીઓનું મોત રાત્રે બે વાગ્યાથી સવારે છ વાગ્યાની વચ્ચે થયા છે, પરંતુ મોતનાં કારણો સ્પષ્ટ નથી.
ગોવામાં ઓક્સિજનની અછત નથી : મુખ્યપ્રધાન GMCHની મુલાકાતે આવેલા GOA ના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે કહ્યું હતું કે GMCH માં મેડિકલ ઓક્સિજનની ઉપલબ્ધતા અને કોવિડ -19 વોર્ડ સુધીના પુરવઠા વચ્ચેના તફાવતથી દર્દીઓને કેટલીક મુશ્કેલીઓ ઉભી થઈ હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યમાં ઓક્સિજનની અછત નથી. પત્રકારો સાથે વાત કરતા ગોવાના આરોગ્ય પ્રધાન વિશ્વજીત રાણેએ સોમવારે GMCH માં ઓક્સિજન સપ્લાયનો અભાવ હોવાનો સ્વીકાર કર્યો હતો.
હાઈકોર્ટ દ્વારા તપાસની કરાઈ માંગ ગોવાના મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતની જીએમસીએચ મુલાકાત પછી આરોગ્યપ્રધાને કહ્યું, ‘હાઈકોર્ટે મૃત્યુનાં યોગ્ય કારણો શોધવા માટે તપાસ કરવી જોઈએ. હાઈકોર્ટે આ કેસમાં દખલ કરવી જોઇએ અને જીએમસીએચને ઓક્સિજનની સપ્લાય અંગે શ્વેતપત્ર તૈયાર કરવું જોઈએ, જે બાબતોને ઠીક કરવામાં મદદ કરશે.’
GMCH માં ઓક્સિજન સપ્લાયનો અભાવ આરોગ્યપ્રધાન રાણે જણાવ્યું હતું કે સોમવારે અહીં મેડિકલ ઓક્સિજનના 1200 મોટા સિલિન્ડરોની જરૂર હતી, પરંતુ માત્ર 400 જ સપ્લાય કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું,’જો મેડીકલ ઓક્સિજન સપ્લાયની અછત છે, તો આ અછતને પહોંચી વળવા ચર્ચા થવી જોઈએ. રાણેએ કહ્યું હતું કે જીએમસીએચ ખાતે કોવિડ-19 ની સારવાર પર નજર રાખવા માટે રાજ્ય સરકાર દ્વારા રચાયેલી નોડલ અધિકારીઓની ત્રણ સભ્યોની ટીમે મુખ્યપ્રધાનને આ સંદર્ભે જાણ કરવી જોઈએ.
મુખ્યપ્રધાને ધ્યાન દોર્યુ છતા ન થયું કામ આ અગાઉ મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે પી.પી.ઇ કીટ પહેરીને GMCH ના કોવિડ -19 વોર્ડની મુલાકાત લીધી હતી જ્યાં તેઓ દર્દીઓ અને તેમના સબંધીઓને મળ્યા હતા. મુખ્યપ્રધાને કહ્યું હતું કે આ વોર્ડમાં ઓક્સિજનને લગતી સમસ્યાઓ દૂર કરવાની જરૂર છે. મેડિકલ ઓક્સિજનનો પુરવઠો સુનિશ્ચિત કરવા તેમણે વોર્ડ મુજબની મિકેનિઝમની પણ જાહેરાત કરી. તેમણે એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર વૈશ્વિક રોગચાળાને પહોંચી વળવા સખત પ્રયાસો કરી રહી છે.
ગોવામાં ઓક્સિજનની અછત નથી : મુખ્યપ્રધાન મુખ્યપ્રધાન પ્રમોદ સાવંતે કહ્યું કે આપણી પાસે વિપુલ મેડીકલ ઓક્સિજન છે. રાજ્યમાં તેની કોઈ અછત નથી. અધિકારીઓએ જણાવ્યું કે 10 મે સુધી ગોવામાં કોવિડ-19 ના કુલ 1,21,650 કેસ નોંધાયા છે અને કોરોનાને કારણે 1,729 લોકોનાં મોત નીપજ્યાં છે.
આ પણ વાંચો : કોરોનાની બીજી લહેર વચ્ચે સારા સમાચાર, નાઈટ કર્ફ્યુ અને લોકડાઉનથી દેશના 18 રાજ્યોમાં ઘટ્યા કોરોનાના નવા કેસ