કોરોનાની ત્રીજી લહેરના ભણકારા !!! અમદાવાદમાં 124 દિવસ બાદ 15થી વધુ કેસ નોંધાયા
કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 3 મહિના બાદ કોરોના વોર્ડ ફરી ખોલવો પડ્યો છે. ત્રણ માસના લાંબા વિરામ બાદ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં કોરોનાના દર્દીને દાખલ કરવામાં આવ્યા છે.
અમદાવાદ (Ahmedabad) શહેરમાં કોરોના (CORONA) વકર્યો છે. શહેરમાં 124 દિવસ પછી કોરોનાના 15થી વધુ કેસ નોંધાયા છે. બુધવારે શહેરમાં કોરોનાના નવા 16 કેસ નોંધાયા છે. આ પહેલા 8 જુલાઈએ કોરોનાના 15 કેસ નોંધાયા હતા. ગઈકાલે જોધપુર વિસ્તારમાં એક જ પરિવારના પાંચ સભ્યો, ચાંદખેડામાં એક પરિવારમાં ચાર સભ્ય અને ઇસનપુરમાં એક પરિવારના ચાર સભ્ય કોરોના પોઝિટિવ આવ્યા હતા. જ્યારે અન્ય ત્રણ અલગ અલગ વિસ્તારમાં કોરોનાના કેસ નોંધાયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ, ત્રણ એવા પરિવાર છે, જેમાં 3થી 4 કેસ સામે આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશને આ પરિવારોને ક્વૉરન્ટાઇન કર્યા છે. આ સાથે જ તેમની સાથેના અન્ય લોકોનું પણ કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે કોરોનાના નવા 16 દર્દીમાંથી કોઈને પણ હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર જણાઈ નથી. તેઓ સ્વસ્થ છે અને સતત હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે.
રાજયમાં પણ કોરોનાના કેસ વધ્યા
રાજ્યમાં દિવાળીના તહેવારો દરમિયાન લોકો અને તંત્રની બેદરકારીએ ફરીથી (CORONA)કોરોનાને આમંત્રણ આપ્યું છે.. ચાર મહિના બાદ પહેલીવાર એક જ દિવસમાં કોરોનાના 42 કેસ નોંધાયા છે.. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 16 કેસ નોંધાયા છે. આ ઉપરાંત છેલ્લા કેટલાક દિવસોથી નવા નોંધાતા કેસની સામે ડિસ્ચાર્જ થતા દર્દીઓનું પ્રમાણ ઘટી રહ્યું હોવાથી એક્ટિવ કેસોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. રાજ્યમાં એક્ટીવ કેસની સંખ્યા 215 પર પહોંચી ગઈ છે. ગઈકાલે અમદાવાદમાં 16, સુરત અને વલસાડમાં 5-5, વડોદરામાં 4, જૂનાગઢ, રાજકોટ અને મોરબીમાં 2-2, આણંદ, ભરૂચ, ગીર-સોમનાથ, જામનગર, કચ્છ, તાપીમાં 1-1 કેસ નોંધાયો છે. આ સિવાયના 20 જિલ્લામાં એકપણ કેસ નોંધાયો નથી. નવા 42 કેસ સામે 36 દર્દીઓ સાજા થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
ગાંધીનગર સિવિલમાં કોરોના વોર્ડ ફરી ખોલાયો
કોરોનાની (THIRD WAVE) ત્રીજી લહેરના ભણકારા વાગી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 3 મહિના બાદ (CORONA)કોરોના વોર્ડ ફરી ખોલવો પડ્યો છે. ત્રણ માસના લાંબા વિરામ બાદ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં કોરોનાના દર્દીને દાખલ કરવામાં આવ્યા છે. સરગાસણ પુત્રના ઘરે દિવાળી કરવા આવેલા 84 વર્ષીય વૃદ્ધ (CORONA)કોરોનાથી સંક્રમિત થતાં સારવાર માટે ગત મંગળવારે રાત્રે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ગાંધીનગર સિવિલમાં એપ્રિલ-2020માં કોરોનાના કેસ વધતા કોવિડ વોર્ડ શરૂ કરાયો હતો. કોરોનાના કેસ વધતા એકમાંથી 3-3 વોર્ડ શરૂ કરાયા હતા. ત્યારબાદ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના 600 બેડની હોસ્પિટલમાં કોરોના વોર્ડ ઉભા કરાયા હતા. જોકે કોરોનાની બીજી લહેર મંદ પડતા છેલ્લો કેસ 9 ઓગસ્ટ-2021ના રોજ નોંધાયો હતો. ત્યારબાદ કેસ ન આવતા કોવિડ વોર્ડ બંધ કરાયો હતો.