રસીકરણનો બીજો તબક્કો: 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીજનોને વેક્સિન લેવા મુખ્યમંત્રીની અપીલ
દેશભરમાં કોરોના વેક્સિન અભિયાનનો બીજો તબક્કો 1 માર્ચથી શરૂ થશે. આ અભિયાનમાં સિનિયર સિટીજનોને ભાગ લેવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અપીલ કરી હતી.
રાજ્યમાં કોરોના વેક્સિન અભિયાનનો બીજો તબક્કો 1 માર્ચથી શરૂ થશે. જેમાં 60 વર્ષથી ઉપરની વયના વરિષ્ઠ નાગરિકો કોરોનાની વેક્સિન આપવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાતના 60 લાખ જેટલા સૌ વરિષ્ઠ નાગરિકોને આ રસીકરણ અભિયાનનો લાભ લેવા અપીલ કરી છે. અભિયાનમાં ભાગ લઈને કોરોના સામેની લડાઈના આ નિર્ણાયક તબક્કામાં સિનિયર સિટીજનને યોગદાન આપવા જણાવ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે “રાજ્ય સરકાર સૌના આરોગ્યની ચિંતા કરે છે. અને કોરોના સામે શરુઆતથી જ લોકસહયોગ અને આરોગ્ય કર્મીઓની કર્તવ્યનિષ્ઠાથી કોરોનાનો વ્યાપ વધતો અટકાવવામાં સરકારે સફળતા મેળવી છે.”
કોરોના સામેની જંગમાં રસીકરણ અભિયાન દેશભરમાં શરુ છે ત્યારે ગુજરાતના સૌ વરિષ્ઠ નાગરિકો સહકાર થકી ગુજરાત રાજ્યને અગ્રેસર રાખશે તેવો વિશ્વાસ મુખ્યમંત્રીએ વ્યકત કર્યો છે. ઉપરાંત વિજય રૂપાણીએ કહ્યું કે રાજ્ય સરકારે આ રસીકરણ અભિયાનની સંપૂર્ણ તૈયારીઓ પૂરી કરી લીધી છે. રાજ્યભરની 2195 જેટલી સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રો તેમજ 536જેટલા ખાનગી હોસ્પિટલ, દવાખાનાઓની મદદથી કોરોના વેક્સિન આપવામાં આવશે.
આ અભિયાનમાં તાલીમ બદ્ધ ડોક્ટર્સ તેમજ પેરા મેડિકલ સ્ટાફ સહિત અંદાજે 30 હજાર જેટલા કર્મચારીઑ સેવા આપશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ વેક્સિન સંપૂર્ણ સુરક્ષિત છે અને વેક્સિનની કોઈ આડઅસર પણ નથી જ. દરેક સિનિયર સિટીજનને વેક્સિનના બે ડોઝ સમયસર લેવા માટે મુખ્યમંત્રીએ અપીલ કરી છે. તેમણે જણાવ્યું છે કે ગુજરાત કોરોના સામેના જંગમાં આરોગ્ય સારવાર સુવિધાઓ, ધન્વંતરી રથ, 104 હેલ્પ લાઇન, વ્યાપક સરવેલન્સ સહિતના અનેક પરિણામકારી પગલાઓ અને ઉપાયોથી દેશનું માર્ગદર્શક બન્યું છે.
મુખ્યમંત્રીએ આગળ જણાવ્યું કે સૌ વરિષ્ઠ વડીલો અવશ્ય પણે રસી ના ડોઝ લઈને ‘હારશે કોરોના જીતશે ગુજરાત’ના મંત્ર ને સાકાર કરી કોરોના સામેની લડાઈના અંતિમ તબક્કામાં વિજય મેળવે. આ ઉપરાંત દરેક નાગરિકોને અપીલ કરી છે કે પોતાના ઘર પરિવાર અને આસપાસના વરિષ્ઠ વડીલોને રસીકરણ માટે પ્રેરિત કરે અને કોરોના મુક્ત ગુજરાતના નિર્માણમાં યોગદાન આપે.