પ્રધાનમંત્રી મોદી આજે કોરોના વેક્સિન બનાવતી સાત ભારતીય કંપનીઓ સાથે કરશે બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા
આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન ભારતની તમામ પાત્ર વસ્તીને વહેલામાં વહેલી તકે વેક્સિન આપવા અને અન્ય દેશોને મદદ કરવા માટે આ કંપનીઓને આગ્રહ કરી શકે છે.
Vaccination : વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે કોરોના વેક્સિન બનાવતી સાત ભારતીય કંપનીઓના પ્રતિનિધિઓને મળશે. આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે ભારતે તેના નાગરિકોને રસીના 100 કરોડ ડોઝ આપવાની સિદ્ધિ હાંસલ કરી છે. અહેવાલો મુજબ, વડાપ્રધાન (PM Narendra Modi) સાથેની આ બેઠકમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા, ભારત બાયોટેક, ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ, ઝાયડસ કેડિલા (Zydus Cadila), બાયોલોજિકલ ઈ, જેનોવા બાયોફાર્મા અને પેનેશિયા બાયોટેકના પ્રતિનિધિઓ હાજર રહેશે.
બેઠકમાં આ મુદાઓ પર ચર્ચા કરવામાં આવશે
સુત્રો તરફથી મળતી માહિતી અનુસાર, આ બેઠક દરમિયાન વડાપ્રધાન દેશની પાત્ર વસ્તીને વહેલામાં વહેલી તકે રસીકરણ કરવા અને બધાને રસી પહેલ હેઠળ અન્ય દેશોને મદદ કરવા માટે આગ્રહ કરી શકે છે. આરોગ્ય મંત્રાલયના તાજેતરના આંકડા અનુસાર, ભારતમાં અત્યાર સુધીમાં રસીઓના 101.30 કરોડ ડોઝ (Vaccine Dose) આપવામાં આવ્યા છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે માહિતી આપી હતી કે, અત્યાર સુધીમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના રસીના 105.7 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.
100 કરોડ ડોઝ આપવાની સિદ્ધિ
ભારતે કોરોના રસીકરણ અભિયાન (Vaccination Program) હેઠળ 21 ઓક્ટોબરે 100 કરોડ ડોઝનો આંકડો પાર કર્યો હતો. આ ઐતિહાસિક સિદ્ધિ માટે, સમગ્ર વિશ્વમાંથી દેશને અભિનંદન મળ્યા હતા. દેશમાં પાત્રતા ધરાવતા 75 ટકાથી વધુ લોકોને ઓછામાં ઓછો એક ડોઝ મળી ગયો છે, જ્યારે લગભગ 31 ટકાને બંને ડોઝ મળ્યા છે. રસીનો પ્રથમ ડોઝ નવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં તમામ પાત્ર લોકોને આપવામાં આવ્યો છે.
રસીકરણ ઝુંબેશ પૂરજોશમાં
ઉલ્લેખનીય છે કે, રસીકરણ અભિયાન 16 જાન્યુઆરીએ શરૂ થયું હતું અને તેના પ્રથમ તબક્કામાં આરોગ્ય કર્મચારીઓને રસી આપવામાં આવી હતી. બાદમાં 2 ફેબ્રુઆરીથી ફ્રન્ટલાઈન વર્કર્સનું (Frontline Workers) રસીકરણ શરૂ થયું. તેમજ રસીકરણ ઝુંબેશનો આગળનો તબક્કો 1 માર્ચથી શરૂ થયો હતો, જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો અને 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવાનુ શરૂ કર્યુ હતુ. દેશમાં 45 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોનું રસીકરણ 1 એપ્રિલથી શરૂ થયું અને 18 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ 1 મેથી શરૂ કરવામાં આવ્યુ હતું.
આ પણ વાંચો : આને કહેવાય બુદ્ધિનું LIVE પ્રદર્શન, ચાલુ ફેસબુક લાઈવે ચોર મોબાઈલ આંચકીને ભાગ્યો અને પછી જે થયુ તે દેશ દુનિયાએ જોયુ !