India Corona Update: દેશમાં સતત કાબૂમાં આવી રહ્યો છે કોરોના, એક દિવસમાં 1.65 લાખ કેસ નોંધાયા અને 3,460 લોકોનો ભોગ લીધો
કોરોનાના મોરચે સતત સુખદ સમાચાર સામે આવી રહ્યા છે. હવે કેસનો આંકડો 2 લાખ કરતા ઓછો થઇ ગયો છે, જેથી હવે ધીમે ધીમે સ્થિતિ સામાન્ય થઇ રહી છે.
કોરોનાના મોરચે સતત સુખદ સમાચાર સામે આવી રહ્યા છે. હવે કેસનો આંકડો 2 લાખ કરતા ઓછો થઇ ગયો છે, જેથી હવે ધીમે ધીમે સ્થિતિ સામાન્ય થઇ રહી છે. પહેલી જૂનથી હવે દેશના અનેક રાજ્યોમાં લૉકડાઉનથી (Lockdown) છૂટ મળવા જઇ રહી છે, જે બાદ શહેરો ફરી એકવાર ધમધમવા લાગશે. જો કે ગામડાઓ હજુ પણ સંકટમાં છે.
29 મેની તારીખ દેશ માટે મોટી રાહત લઇને આવી, કારણ કે દોઢ મહિના બાદ દેશમાં કોરોના (Corona) પોઝિટિવ દર્દીઓની સંખ્યા 2 લાખ કરતા ઓછી જોવા મળી. એટલે હવે કોરોનાની રફતાર દિવસે દિવસે ધીમી થઇ રહી છે. કોરોનાના સામેના મહાજંગમાં ભારત હવે જીત તરફ આગળ વધી રહ્યું છે.
ગઇકાલે એક જ દિવસમાં કોરોનાના 1 લાખ 65 હજાર 186 કેસ નોંધાયા અને કોરોનાએ 3 હજાર 460 લોકોનો ભોગ લીધો, જ્યારે સક્રિય કેસની સંખ્યા ઘટીને 22.15 લાખ પર પહોંચી છે. અત્યાર સુધી કોરોનાના કારણે 3 લાખ 22 હજાર 384 લોકોના મૃત્યુ છે. કોરોનાથી મૃત્યુ થયેલા લોકોમાં ભારત વિશ્વમાં ત્રીજા નંબર પર છે. ગઇકાલે એક જ દિવસમાં 2 લાખ 73 હજારથી વધારે દર્દીઓ સાજા પણ થયા છે.
18 જિલ્લામાં કોરોનાથી એક પણ મોત નહીં, જ્યારે સાજા થવાનો દર વધીને 93.36 ટકા થયો. આ સ્થિતિ છે રાજ્યમાં કોરોનાની. રાજ્યમાં સતત પોઝિટિવ કેસ ઘટી રહ્યા છે, જ્યારે મૃત્યુઆંક પણ નીચે આવી રહ્યો છે. પાછલા 24 કલાકમાં 2,521 પોઝિટિવ કેસ નોંધાયા, જ્યારે 27 દર્દીઓના કોરોનાથી મૃત્યું થયા, તો 7,965 દર્દીઓ સાથે સાજા થનારા દર્દીઓની સંખ્યા વધીને 7 લાખ 50 હાજરને પાર પહોંચી છે.
કુલ મૃત્યુઆંક 9,761 પર પહોંચ્યો છે. જોકે રાજ્યમાં 43 હજાર 611 એક્ટિવ કેસ છે, જ્યારે 562 દર્દીઓ વેન્ટિલેટર પર છે. રાહતની વાત એ છે કે સાજા થવાનો દર વધીને 93.36 ટકાને પાર પહોંચ્યો છે.
રાજ્યના મહાનગરોની વાત કરીએ તો, પાછલા 24 કલાકમાં અમદાવાદમાં 348 નવા કેસ સાથે 7 દર્દીઓના મૃત્યુ થયા. સુરતમાં નવા 312 કેસ સાથે 2 દર્દીઓ કોરોના સામેનો જંગ હાર્યા, તો વડોદરામાં 480 નવા કેસ સાથે 3 દર્દીઓના મૃત્યુ થયા. આ તરફ રાજકોટમાં 190 નવા કેસ સાથે 1 દર્દીનું મૃત્યુ થયું, તો જામનગરમાં 83 કેસ સાથે 2 દર્દીના મૃત્યુ થયા. મહેસાણા અને પાટણમાં 2-2 દર્દીના મૃત્યું થયા, તો 8 જિલ્લામાં એક-એક દર્દી કોરોના સામે હાર્યો.
રાજ્યમાં રસીકરણની જો વાત કરીએ તો, પાછલા 24 કલાકમાં 2 લાખ 36 હજાર 541 લોકોએ રસી મુકાવી. જેમાંથી 4,370 હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરને રસીનો પ્રથમ ડોઝ અપાયો, તો 5,561 હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરને રસીનો બીજો ડોઝ અપાયો. જ્યારે 45થી મોટી ઉંમરના 82 હજાર 301 લોકોને પ્રથમ ડોઝ અને 29 હજાર 610 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો.
18 થી 45 વર્ષના 1 લાખ 14 હજાર 339 યુવાનોને રસીનો પ્રથમ ડોઝ અપાયો. આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 1 કરોડ 65 લાખ 13 હજાર 240 લોકોનું રસીકરણ કરાયું.