Gujarat : રસીકરણ અભિયાનમાં અભૂતપૂર્વ સિદ્ધિ, 12 જૂન સુધીમાં કોરોના રસીના 2 કરોડ ડોઝ અપાયા
Gujarat : ત્રીજી લહેર સામે રસીકરણથી રાજ્યના નાગરિકોને સુરક્ષિત રાખી ‘હારશે કોરોના જીતશે ગુજરાત’ સૂત્ર સાકાર કરવા મુખ્યમંત્રીનું આરોગ્ય કર્મીઓને આહવાન, મુખ્યમંત્રીએ રસીકરણની સફળ કામગીરી માટે આરોગ્ય વિભાગના કર્મીઓને અભિનંદન પાઠવ્યા
Gujarat : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વળપણ હેઠળ ગુજરાતે કોરોના રસીકરણ અભિયાનમાં અપૂર્વ સિદ્ધિ મેળવી છે. તા. 12 જુન શનિવારે સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યમાં કોરોના રસીના ૨ કરોડ ડોઝ અપાયા છે. 2 કરોડ રસીના આ ડોઝમાં આજ સુધીમાં 1 કરોડ 55 લાખ પ્રથમ ડોઝ અને 45 લાખ સેકન્ડ ડોઝ અપાયા છે.
મુખ્યમંત્રીના નેતૃત્વમાં નાગરિકોના વિનામુલ્યે રસીકરણના રાજ્ય સરકાર દ્વારા અમલી અભિયાનને પરિણામે માત્ર પાંચ મહિનામાં બે કરોડ લોકોને આવરી લેવાયા છે. ગુજરાત રસીકરણના દરેક તબક્કે રસીકરણમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. હાલ રાજ્યમાં દૈનિક 3 લાખ આસપાસ વ્યક્તિઓને રસીના ડોઝ અપાઇ રહ્યાં છે.
આજદિન સુધી હેલ્થ વર્કર જુથમાં 6.17 લાખને પ્રથમ ડોઝ અને 4.46 લાખને બીજો ડોઝ અપાયો છે. કુલ 13.24 લાખ ફ્રન્ટ લાઇન વર્કરને પ્રથમ ડોઝ તથા 6.54 લાખને બીજો ડોઝ અપાયો છે. 45થી વધુ ઉંમર ધરાવતા કુલ 99.41 લાખ લોકોને પ્રથમ ડોઝ અને 33.82 લાખ લોકોને બીજો ડોઝ અપાયો છે. 15થી 44 વય જુથના 36.02 લાખ લોકોને પ્રથમ ડોઝ અને 59 હજાર લોકોને બીજો ડોઝ મળ્યો છે.
ગુજરાતમાં 16 જાન્યુઆરીથી તબક્કાવાર રસીકરણનો પ્રારંભ થયો હતો. પ્રથમ તબક્કામાં હેલ્થ અને ફ્રન્ટલાઈન વર્કર, 1 લી માર્ચથી શરુ થયેલા બીજા તબક્કામાં કોમોર્બીડ અને વૃદ્ધ લોકો, 1લી એપ્રિલથી શરુ થયેલા ત્રીજા તબક્કામાં 45થી વધુ વયના લોકો અને ચોથા તબક્કામાં18થી 44 વયના લોકોને રસી આપવાનું આયોજન કરાયું હતું.
રાજ્ય સરકારે ગુજરાત સ્થાપના દિન-1લી મેથી રાજ્યના યુવાનોને રસી આપવાનો પ્રારંભ કર્યો હતો. 1લી મેથી રાજ્યના 7 મહાનગરો અને 3 જીલ્લામાં રોજના 30 હજાર ડોઝ આપી યુવાનોનું રસીકરણ શરુ થયું હતું.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નિયમિત મળતી કોર કમિટીએ ત્યારબાદ 24મી મેથી એક અઠવાડિયા સુધી આ 10 જિલ્લાઓમાં 30 હજારને બદલે રોજના 1 લાખ ડોઝ આપવાનું નક્કી કર્યું હતું. વળી આ દરમિયાન અગાઉના ત્રણ તબક્કામાં પ્રથમ ડોઝ મેળવેલ વ્યક્તિઓને બીજો ડોઝ આપવાની કામગીરી પણ સુપેરે યથાવત રહી હતી.
મુખ્યમંત્રીએ 4 જૂનથી રાજ્યના તમામ જિલ્લાઓમાં શહેરી-ગ્રામીણ વિસ્તારને રસીકરણ અભિયાનમાં આવરી લેવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સરકારે કુલ ૧૨૦૦થી વધુ રસીકરણ કેન્દ્રો રાજ્યભરમાં ઉભા કર્યા છે. દિવ્યાંગ અને વૃદ્ધો માટે વિશેષ વેક્સિનેશન કેમ્પ જેવી પહેલ તથા સામાજિક સંગઠનો, કોમ્યુનિટી હોલ અને ખાનગી હોસ્પિટલના સહકારથી રસીકરણના અભિયાનના વધુ સશક્ત કરાયું છે.
મુખ્યમંત્રીએ આ સફળતા પૂર્વકની કામગીરી માટે આરોગ્ય વિભાગના સૌ કર્મીઓને અભિનંદન પાઠવ્યા છે. તજજ્ઞો ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીએ ગુજરાતમાં વધુને વધુ લોકોને કોરોના રસીના ડોઝ આપીને કોરોના સામે રક્ષણ આપવાનું આરોગ્ય કર્મીઓને આહવાન કર્યું છે.મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે રસીકરણ થકી સંભવિત ત્રીજી લહેરમાં ઓછામાં ઓછાં લોકો સંક્રમિત થાય તેવા સંકલ્પ સાથે ગુજરાત કોરોના સામે જંગ જીતશે.