રાજ્યમાં ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા આગળ આવ્યુ GSFC, રોજ 10 ટન મેડિકલ ઓક્સિજન કરે છે સપ્લાય
કોરોના રોગચાળાના આ કપરા સમયમાં કંપની દ્વારા 12 એપ્રિલ, 2021 થી મેડિકલ ગ્રેડ ઓક્સિજનનો સપ્લાય શરૂ કરાયો છે. દરરોજ 200 લિટર ક્ષમતાના 35 ડ્યુરા સિલિન્ડર્સ ભરાય છે અને તે રવાના કરાય છે.
કોરોનાની બીજી લહેરે દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. દેશભરની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે. ડબલ મ્યુટંટ વાળા વાયરસને કારણે મોટા પ્રમાણામાં દર્દીઓને ઓક્સિજનની જરૂર પડી રહી છે. જેને કારણે દેશભરમાં ઓક્સિજનની અછત જોવા મળી રહી છે, ત્યારે દેશમાં ઉદ્ભવેલી ગંભીર સ્થિતીને કારણે પ્રધાનમંત્રી મોદીએ પણ દેશમાં મેડિકલ ગ્રેડના ઓક્સિજનનું ઉત્પાદન વધારવા માટે હાકલ કરી હતી. તેવામાં ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડ દ્વારા વડોદરા ખાતે 99.8% શુદ્ધ પ્રવાહી ઓક્સિજનનું ઉત્પાદન અને રવાનગીની કામગીરી શરૂ કરવામાં આવી છે.
કોરોના રોગચાળાના આ કપરા સમયમાં કંપની દ્વારા 12 એપ્રિલ, 2021 થી મેડિકલ ગ્રેડ ઓક્સિજનનો સપ્લાય શરૂ કરાયો છે. મેડિકલ ગ્રેડ ઓક્સિજનનો આ પુરવઠો તેની CSR પહેલ હેઠળ વિના મૂલ્યે પૂરો પાડવાનું કંપનીના મેનેજમેન્ટે નક્કી કર્યું છે. તે મુજબ 12 મી એપ્રિલથી તમામ પુરવઠો વિના મૂલ્યે સારવાર માટે આપવામાં આવી રહ્યો છે. ઔદ્યોગિક હેતુ માટેના ઓક્સિજનને મેડિક્લ ઓક્સિજનમાં પરિવર્તિત કરીને આપનાર જીએસએફસી પ્રથમ કંપની છે. કોઈપણ પ્રકારની ઇમરજન્સી, કુદરતી આપત્તિ વગેરે જેવા સંજોગોમાં કંપની હંમેશાં એક સારા કોર્પોરેટ નાગરિક તરીકે ફરજ બજાવવામાં સ્થાનિક વહીવટ/રાજ્ય સરકારની સાથે રહેતી આવી છે.
જીએસએફસીએ યુદ્ધના ધોરણે પોતાની ઉત્પાદન કામગીરીમાં કેટલીક ક્ષમતાઓમાં ફેરફાર કર્યા છે, જે અનુસાર દરરોજ 200 લિટર ક્ષમતાના 35 ડ્યુરા સિલિન્ડર્સ ભરાય છે અને તે રવાના કરાય છે એવું કંપનીના એક અધિકારીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, લગભગ 20 જેટલા ગંભીર કોવિડ-19 દર્દીઓને દરરોજ એક જ ડ્યુરા સિલિન્ડરની સહાય પૂરી પાડી શકાય એમ છે. છેલ્લા કેટલાક દિવસોથી, જી.એસ.એફ.સી. દ્વારા તેના કેપ્રોલેક્ટમ પ્લાન્ટમાં એર સેપરેશન યુનિટ દ્વારા ડ્યુરા સિલિન્ડર્સમાં પ્રવાહી ઓક્સિજન સપ્લાય કરવાનું શરૂ કરાયું હતું.
રોજની આશરે 150 ટન મેડિકલ ઓક્સિજનની જરૂરિયાત સામે, જીએસએફસી દિવસમાં લગભગ 10 ટન સપ્લાય કરી શકે તેમ છે. દેશભરમાં ઓક્સિજનનું પરિવહન કરતા ટેન્કરોની સરળ અને સુગ્રથિત અવરજવર નિર્ધારિત કરવા વડાપ્રધાને અધિકારીઓને આદેશ આપ્યો છે. સરકારે ઓક્સિજન ટેન્કરોની તમામ આંતરરાજ્ય હિલચાલને પરવાનગીની નોંધણીથી મુક્તિ પણ આપી છે. પીએમ મોદીએ આત્મનિર્ભર ભારત માટેની પહેલની આગેવાની લેતાં, ગયા વર્ષે જીએસએફસીએ 21 જેટલા ઉત્પાદનો માટે ચીન સહિતની આયાત પરની નિર્ભરતાને દૂર કરવા માટે 1500-2000 કરોડના રોકાણની યોજના શરૂ કરી હતી.