Corona Warrior : દિકરો લઇ રહ્યો હતો અંતિમ શ્વાસ અને પિતા કરતા રહ્યા કોરોના દર્દીઓની સેવા
મૈસૂરના રહેવાસી સૈયદ મુબારકે (Syed Mubarak) એક એવુ ઉદાહરણ પુરુ પાડ્યુ છે, જેને જાણીને કોરોનાના કપરા સમયમાં પણ કાળાબજારી અને બૈમાની કરતા લોકો શરમમાં મુકાઇ જશે.
કોરોનાની (Corona) બીજી લહેરે ખૂબ તબાહી મચાવી. હજારો લોકોએ કોરોના સંક્રમણના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આવી કપરી પરિસ્થિતીમાં પણ કોરોના વૉરિયર્સે પોતાની ફરજ ઇમાનદારી પૂર્વક નિભાવી છે. પોતાના ઘરમાં કોઇ બિમાર હોવા છતા પણ તેમણે લોકોની સેવાને પ્રાધાન્ય આપ્યુ છે. તેવામાં મૈસૂરમાંથી એક એવો જ કિસ્સો સામે આવ્યો છે, જેને વાંચીને તમારી પણ આંખો ભીની થઇ જશે.
મૈસૂરના (Mysuru) રહેવાસી સૈયદ મુબારકે (Syed Mubarak) એક એવુ ઉદાહરણ પુરુ પાડ્યુ છે, જેને જાણીને કોરોનાના કપરા સમયમાં પણ કાળાબજારી અને બૈમાની કરતા લોકો શરમમાં મુકાઇ જશે. સૈયદ પોતે એમ્બ્યુલન્સના ડ્રાઇવર છે. તેમનો 2 વર્ષનો દિકરો જ્યારે હોસ્પિટલમાં પોતાની જીંદગી માટે સંઘર્ષ કરી રહ્યો હતો તે સમયે પણ તેમણે પોતાની ડ્યૂટીને પ્રાથમિકતા આપી. તેમણે સતત બિમાર લોકોને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડ્યા.
મંગળવારની સવાર મુબારક માટે દુ:ખદ સમાચાર લઇને આવી. તેમના 2 વર્ષના દિકરાના મૃત્યુના સમાચાર મળતા જ તેમને ઓળખતા દરેક લોકોની આંખો ભીની થઇ ગઇ. જે સમયે તેમના દિકરાએ અંતિમ શ્વાસ લીધા તે સમયે પણ મુબારક બિમાર લોકોને હોસ્પિટલ પહોંચાડી રહ્યા હતા. મુબારક મૈસૂરની બીજેપી યુનિટની ફ્રી એમ્બ્યુલન્સ સર્વિસમાં સામેલ છે. આ સર્વિસને કોરોનાની બીજી લહેરમાં જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે શરૂ કરવામાં આવી હતી.
કોરોનાના આ કપરા સમયમાં જ્યારે મોટાભાગના એમ્બ્યુલન્સ ડ્રાઇવરો પોતાની ફરજ પર જવાથી ડરી રહ્યા છે, તેવામાં મુબારકે એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ છે. પાછલા ડોઢ મહિનામાં તેમણે 100 થી વધુ દર્દીઓને હોસ્પિટલ પહોંચાડ્યા છે. આ દર્દીઓમાં કેટલાકની સ્થિતી તો ખૂબ ગંભીર હતી.
છેલ્લા ત્રણ દિવસથી તેઓ પોતાની ડ્યૂટી સિવાય પણ લોકોની સેવા કરી રહ્યા હતા. દિકરો હોસ્પિટલમાં ગંભીર હતો અને પિતા લોકોની સેવા કરી રહ્યા હતા. મુબારકનો 2 વર્ષનો દિકરો ગરમ પાણીના ટબમાં પડી જવાથી ગંભીર રૂપે દાઝી ગયો હતો. દિકરો ગંભીર હોવા છતા પણ મુબારકે રજા નહી લીધી અને પોતાનું કામ ચાલુ રાખ્યુ.
મુબારકનું કહેવું છે કે, દિકરાના આખા શરીર પર દાઝ્યાના નિશાન હતા. ઇલાજ કરી રહેલા ડૉક્ટરે કહ્યુ કે, દિકરાને બચાવવા માટે બધા જ પ્રયત્નો કરશે. એટલે તેમણે બધુ ડૉક્ટર્સ અને ઇશ્વર પર છોડી દીધુ અને પોતે લોકોની સેવા કરતા રહેવાનું નક્કી કર્યુ.