દેશમાં 18 વર્ષથી વધુ વયના નાગરિકોને Corona vaccine આપવાની માંગ, સુપ્રીમ કોર્ટમાં કરાઈ અરજી
દેશમાં કોવીડ-19નું સંક્રમણ વધતું જઈ રહ્યું છે, જેને ધ્યાનમાં લઈને Corona vaccine આપવામાં વયમર્યાદા ઘટાડવાની માંગ કરાઈ છે.
કોરોના રસીકરણ અભિયાન અંતર્ગત દેશભરમાં 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને Corona vaccine આપવામાં આવી રહી છે. આજે સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી કરવામાં આવી છે, જેમાં માંગ કરવામાં આવી છે કે 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી આપવામાં આવે. અગાઉ પણ ઘણા રાજકીય પક્ષો રસીકરણ માટેની વયમર્યાદા ઘટાડવાની માંગ કરી ચુક્યા છે.
સુપ્રીમકોર્ટમાં જાહેર હિતની અરજી એડવોકેટ રશ્મિ સિંહે સુપ્રીમ કોર્ટમાં આ અરજી કરી છે. પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાની બીજી લહેરને નિયંત્રિત કરવા માટે તમામ યુવાનો અને કામ કરનારા લોકોનું વ્યાપક રસીકરણ કરવું જરૂરી છે.અરજીમાં એક તર્ક આપીને દલીલ કરવામાં આવી છે કે હાલ 45થી વધુ ઉમરના લોકોને Corona vaccine બે ડોઝ વચ્ચે છ થી આઠ અઠવાડિયાનું અંતર રાખવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં રસીકરણમાં 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓનો વારો આવશે ત્યાં સુધી કોરોના વાયરસ ઝડપથી ફેલાશે અને પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જશે.
રસીકરણમાં વધારો કરવાની જરૂર અરજીમાં કહેવામાં આવ્યું છે કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) સહિત ઘણા નિષ્ણાતોએ કોરોના રસીકરણમાં વધારો કરવાની માંગ કરી છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર દેશમાં અત્યાર સુધીમાં 17,37,539 સત્રોનું આયોજન કરીને દેશમાં કુલ 11,72,23,509 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. કેટલાક નિષ્ણાતોએ સૂચવ્યું છે કે પરિસ્થિતિને પહોંચી વળવા ભારતે દરરોજ ઓછામાં ઓછા 1 કરોડ ડોઝ આપવાની જરૂર છે.
મહારાષ્ટ્રમાં 18 થી વધુ વયના લોકોને રસી આપવાની માંગ અગાઉ મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણની ભયાનક ગતિને ધ્યાનમાં રાખીને શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને Corona vaccine આપવાની માંગ કરી હતી. આ અંગે તેમણે કેન્દ્રીય આરોગ્યપ્રધાન ડો.હર્ષ વર્ધનને એક પત્ર પણ લખ્યો હતો. પત્રમાં લખ્યું હતું કે, “હું તમને વિનંતી કરું છું કે મંત્રાલયના આ વલણની સમીક્ષા કરો અને 45 વર્ષથી ઓછી વયના લોકોને અને ઓછામાં ઓછી 18 અને તેથી વધુ લોકોને રસી આપવામાં આવે જેથી તેઓને સલામત રીતે કાર્ય કરી શકે.”
દેશમાં કુલ 11,72,23,509 રસીના ડોઝ અપાયા દેશભરમાં અત્યાર સુધીમાં 11 કરોડ 72 લાખ 23 હજારથી વધુ લોકોને કોવિડની રસી આપવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લાં 24 કલાક દરમિયાન 27 લાખ30 હજારથી વધુ લોકોનું રસીકરણ કરાયું છે અને 2 લાખ 17 હજાર 353 કોવિડના નવા કેસ નોંધાતા અત્યાર સુધીમાં દેશમાં 1 કરોડ 42 લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે 1હજાર 183 મૃત્યુ થતા દેશમાં કુલ મૃત્યુઆંક એક લાખ 74 હજાર 308 થયો છે. કોવિડ–19 માંથી સાજા થવાનો દર ઘટીને 87.80 ટકા થતા છેલ્લાં 24 કલાકમાં દેશમાં એક લાખ 18 હજારથી વધુ કોવિડના દર્દીઓ સાજા થયા છે. મંત્રાલયે જણાવ્યું છે કે અત્યાર સુધીમાં એક કરોડ 25 લાખથી વધુદર્દીઓ સાજા થયા છે. હાલમાં દેશમાં 15 લાખ 69 હજારથી વધુ એક્ટિવ કેસ નોંધાયા છે.