રાજકોટમાં કોરોનાનો પીક એક સપ્તાહમાં ઘટી જશે! મ્યુનિસિપલ કમિશનરે કર્યો દાવો
રાજકોટમાં કોરોનાના કેસમાં બે થી ત્રણ દિવસથી આંશિક ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે દાવો કર્યો છે કે, એક સપ્તાહમાં કોરોનાનો પીક ઘટી જશે.
રાજકોટમાં કોરોનાના કેસમાં બે થી ત્રણ દિવસથી આંશિક ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે રાજકોટના મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે દાવો કર્યો છે કે, એક સપ્તાહમાં કોરોનાનો પીક ઘટી જશે અને સ્થિતિ મહદ અંશે કાબુમાં આવી જશે. ઉદિત અગ્રવાલે TV9 સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, બે થી ત્રણ દિવસથી પોઝિટિવ કેસમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત 104 એમ્બ્યુલન્સમાં પણ જે કોલ આવતા તેમાં ઘટાડો થયો છે. ગઇકાલે 100 જેટલી 104માં માત્ર 500 જ કોલ આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. શહેરમાં ટેસ્ટીંગ બુથ આવેલા છે તેમાં પણ લોકોની ભીડ ઓછી થઇ હોવાનો દાવો કર્યો છે.
ત્રણ થી ચાર દિવસ બાદ બેડની લાઇનો નહિ રહે
ઉદિત અગ્રવાલે કહ્યું હતુ કે, શહેરમાં ત્રણ દિવસથી પોઝિટિવ કેસમાં ઘટાડો થયો છે જેની અસર આગામી ચાર થી પાંચ દિવસ બાદ થશે અને ત્યારબાદ બેડ ક્રમશઃ ખાલી થશે. લોકોને જગ્યા મળવામાં કોઇ મુશ્કેલી નહિ પડે.
લોકોની લાપરવાહી મોતના મુખમાં ધકેલે છે
વધતા જતા મોતના આંકડાના જવાબમાં મ્યુનિસીપલ કમિશનરે કહ્યુ હતુ કે, દરરોજ સાંજે કોર કમિટીની બેઠક મનપાની કચેરીએ મળે છે, જેમાં મોતના આંકડા અંગે સમિક્ષા કરવમાં આવે છે. તેમાં જોવા મળ્યું છે કે, લોકો ટેસ્ટ કરાવતા નથી અને આ રોગ છૂપાવે છે જેથી ચાર થી પાંચ દિવસ વિતી જાય છે, પરિણામે ઇન્ફેક્શન વધી જાય છે અને સારવાર કરવી પણ મુશ્કેલ બને છે અને છેવટે મોતના મુખમાં ધકેલાય છે.
લોકો નિયમોનું પાલન કરે તેવી અપીલ
કોરોનાના પીકથી કથળી ગયેલી સ્થિતિથી રાજકોટ સુધારા તરફ જઇ રહ્યા છે, ત્યારે મ્યુનિસિપલ કમિશનરે લોકોને સોશ્યલ ડિસટન્સ, માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવા અપીલ કરી છે અને લોકોને મિની લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવા અને બિનજરૂરી ઘરની બહાર ન નિકળવા માટે અપીલ કરી છે.
આ પણ વાંચો: VIDEO: સુરતમાં 104 વર્ષીય દાદીએ કોરોનાને હરાવ્યો, આઇસોલેશનમાં કરતા હતા ભજન-કિર્તન