Corona India Update: દેશમાં સતત ઘટી રહ્યા છે કોરોના કેસ, એક દિવસમાં નવા 1.14 લાખ કેસ અને 2681 લોકોના મોત
દેશમાં ધીમે ધીમે કોરોનાની બીજી લહેર હાંફી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના આશરે 1 લાખ 14 હજાર નવા કેસ સામે આવ્યા છે.
દેશમાં ધીમે ધીમે કોરોનાની બીજી લહેર હાંફી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના આશરે 1 લાખ 14 હજાર નવા કેસ સામે આવ્યા છે. છેલ્લા 10 દિવસથી કોરોનાના કેસ (Corona Case) 2 લાખથી ઓછા આવી રહ્યાં છે. કેસમાં 68 ટકાનો ઘટાડો થયો છે. 66 ટકા કેસ 5 રાજ્યોમાંથી આવી રહ્યાં છે. 33 ટકા કેસ 31 રાજ્યોથી આવી રહ્યાં છે. દેશમાં કોરોનાનો રિકવરી રેટ સતત વધી રહ્યો છે. વર્તમાનમાં 92.5 ટકા કોરોનાનો રિકવરી દર છે.
રાજ્યમાં કૂદકેને ભૂસકે વધી રહેલો કોરોના હવે નબળો પડી રહ્યો છે. 82 દિવસ પછી પહેલીવાર એક હજારથી ઓછા નવા કેસ નોધાયા છે. પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક ઘટતા તંત્ર સાથે નાગરિકોએ પણ રાહતનો દમ લીધો છે. રાજ્યમાં 996 કેસ સાથે 15 દર્દીઓના મૃત્યુ થયા, તો 24 કલાકમાં 3,004 દર્દી સાજા થવાની સાથે કુલ 7 લાખ 85 હજાર 378 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે.
કોરોનાથી કુલ મૃત્યુઆંક 9,921 પર પહોંચ્યો છે. રાજ્યમાં હવે 20 હજાર 087 એક્ટિવ કેસ છે, જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા ઘટીને 382 પર પહોંચી છે. કોરોનાકાળમાં સૌથી મોટી રાહતની વાત એ છે કે સાજા થવાનો દર વધીને 96.32 ટકા પર પહોંચ્યો છે, જ્યારે 30 જિલ્લામાં કોરોનાથી એકપણ દર્દીનું મોત નથી થયું.
રાજ્યના મહાનગરોની વાત કરીએ તો, અમદાવાદ જિલ્લમાં 149 નવા કેસ સાથે 4 દર્દીઓના મૃત્યુ થયા. સુરત જિલ્લામાં 127 નવા કેસ આવ્યા, સુરત જિલ્લામાં કુલ 3 મોત થયા, તો વડોદરા જિલ્લામાં 211 નવા કેસ સાથે 2 દર્દીઓના મૃત્યુ થયા. આ તરફ રાજકોટ જિલ્લામાં 77 નવા કેસ સાથે 1 દર્દીનું મૃત્યુ થયું, તો જામનગર જિલ્લામાં 36 કેસ સાથે 1 દર્દીના મૃત્યુ થયા.
રાજ્યમાં રસીકરણની જો વાત કરીએ તો, પાછલા 24 કલાકમાં 2 લાખ 63 હજાર 507 લોકોએ રસી મુકાવી. જેમાંથી 2,892 હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરને રસીનો પ્રથમ ડોઝ અપાયો, તો 3578 હેલ્થ વર્કર અને ફ્રન્ટલાઇન વર્કરને રસીનો બીજો ડોઝ અપાયો.
45થી મોટી ઉંમરના 37 હજાર 664 લોકોને પ્રથમ ડોઝ અને 21 હજાર 268 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો. 18 થી 45 વર્ષના 1 લાખ 98 હજાર 123 યુવાનોને રસીનો પ્રથમ ડોઝ અપાયો. આમ અત્યાર સુધી રાજ્યમાં કુલ 1 કરોડ 81 લાખ 78 હજાર 319 લોકોનું રસીકરણ કરાયું.