Corona cases in India : કોઇ તો રોક લો ! પહેલી વાર કેસ 4 લાખથી વધુ અને 3523 મોત
ભારતમાં કોરોનાની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે. રોજ લાખોની સંખ્યામાં કોરોનાના નવા દર્દીઓનો ઉમેરો થઇ રહ્યો છે.
ભારતમાં કોરોનાની બીજી લહેર હાહાકાર મચાવી રહી છે. રોજ લાખોની સંખ્યામાં કોરોનાના નવા દર્દીઓનો ઉમેરો થઇ રહ્યો છે. માર્ચ મહિનાથી આ ગ્રાફ સતત ઉપરને ઉપર જઇ રહ્યો છે જેને કારણે દેશમાં હાલત ગંભીર બની રહી છે. હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજનની અછત ઉભી થઇ રહી છે. ગત રોજ સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા સાથે હવે દેશમાં કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 1 કરોડ 91 લાખ 64 હજાર 969 થઇ ગઇ છે.
ગત રોજ 24 કલાકમાં કોરોના વાયરસના નવા 4,01,993 કેસ નોંધાયા છે સાથે જ 3523 જેટલા લોકોનું મોત થયુ છે. ગઇ કાલે નોંધાયેલા મોતના આંકડા સાથે હવે દેશમાં આ આંકડો 2 લાખ 11 હજાર 853 થઇ ગયો છે. ભારતમાં રોજ નોંધાયેલા કોરોનાના કેસ રોજ નવો રેકોર્ડ બનાવી રહ્યા છે. આની અસર દેશના હેલ્થ કેર સિસ્ટમ પર જોવા મળી રહી છે. દેશના કેટલાક રાજ્યોમાં યુદ્ધના ધોરણે કોવિડ કેર સેન્ટર બનાવવામાં આવી રહ્યા છે. દેશમાં સર્જાઇ રહેલી ઓક્સિજન અને દવાઓની જરૂરિયાતને પૂરી કરવા માટે કંપનીઓ પ્રોડક્શન વધારવાની દિશામાં કામ કરી રહી છે.
કોરોનાના કેસ સૌથી વધુ રાજધાની દિલ્લી અને મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યા છે. દિલ્લીમાં ગતરોજ કોરોનાના નવા 27,047 કેસ નોંધાયા છે સાથે જ 375 દર્દીઓના મોત થયા છે. ફક્ત દિલ્લીમાં જ કોરોનાના સક્રિય કેસ 99,361 છે. પરંતુ કોરોનાની બીજી લહેર સૌથી વધુ મહારાષ્ટ્રને પ્રભાવિત કરી રહી છે. ગઇકાલે કોરોનાના નવા 62,919 કેસ અને 828 લોકોના મોત સાથે મહારાષ્ટ્રમાં હાલ 6,62,640 સક્રિય કેસ થઇ ગયા છે.
કોરોનાથી બચવા માટે હાલમાં તો વેક્સિનેશન જ એક ઉપાય જણાઇ રહ્યો છે. આજે પહેલી મે છે અને આજથી દેશભરમાં 18 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન આપવામાં આવશે. સરકાર વેક્સિનેશન પર હમણા સંપૂર્ણ ભાર આપી રહી છે જેથી દેશમાં વધુ ને વધુ લોકો સુધી વેક્સિન ઝડપથી પહોંચે. એક્સપર્ટ્સનું કહેવુ છે કે જો વેક્સિન મળવામાં વધારે મોડુ થશે તો કોરોના વાયરસના નવા વેરિયંટ બનવાનું જોખમ ઉભુ થઇ શકે છે. ભારતમાં હાલમાં વેક્સિનેશનનો ત્રીજો ફેઝ શરૂ થઇ ગયો છે પહેલા ફેઝમાં ફ્રંટ લાઇન વોરિયર્સ અને મોટી ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવી અને હવે સરકાર 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વેક્સિનેશન ડ્રાઇવ શરૂ કરી ચૂકી છે.