AHMEDABAD : કોરોના સામેના યુદ્ધમાં રેલવેની ભાગીદારી, તૈયાર કર્યા 19 આઇસોલેશન કોચ
AHMEDABAD : સાબરમતીમાં 13 કોચ અને ચાંદલોડિયામાં 06 કોચ ઉપલબ્ધ રહેશે. કુલ 304 દર્દીઓ દાખલ થઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ. આવતી કાલથી શરૂ થશે રેલવે આઇસોલેશન કોચમાં એડમિશન
AHMEDABAD : સાબરમતીમાં 13 કોચ અને ચાંદલોડિયામાં 06 કોચ ઉપલબ્ધ રહેશે. કુલ 304 દર્દીઓ દાખલ થઈ શકે તેવી વ્યવસ્થા કરાઈ. આવતી કાલથી શરૂ થશે રેલવે આઇસોલેશન કોચમાં એડમિશન
રાજ્ય અને અમદાવાદમાં કોરોના કેસમાં મહદઅંશે ઘટાડો થયો છે. પણ દર્દીના દાખલ થવાની અને હોમ આઇસોલેશનની સંખ્યા તેટલી છે. ત્યારે હાલની પરિસ્થિતિમાં કોરોના સામેના યુદ્ધમાં પશ્ચિમ રેલ્વે દ્વારા પણ ભાગીદારી આપવામાં આવી રહી છે. અમદાવાદ મંડળ રેલ પ્રબંધક દિપક કુમાર ઝાએ જણાવ્યું કે આ પડકારજનક સમયમાં અને આ મહામારી સામેની લડતમાં રેલ્વે હંમેશા અગ્રણી રહી છે.
દિપક ઝા એ માહિતી આપી હતી કે સ્થાનિક પ્રશાસનની વિનંતી પર 19 કોચ તૈયાર કરવામાં આવ્યા છે અને તેમને ઉપલબ્ધ કરાયા છે. તેમાંથી 13 કોચ સાબરમતી સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 અને ચાંદલોડિયામાં પ્લેટફોર્મ નંબર 02 પર 06 કોચ મૂકવામાં આવ્યા છે. તથા જ્યારે જરૂરી હોય ત્યારે કોચની સંખ્યા પણ વધારી શકાય છે. આ કોચમાં તમામ જરૂરી સુવિધાઓ પુરી પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પ્રત્યેક કોચમાં 8 વોર્ડ બનાવવામાં આવ્યા છે જેમાં 16 દર્દીઓ રહી શકે છે. દરેક વોર્ડમાં 2 દર્દીઓ માટેની સુવિધા રહેશે. એક વોર્ડમાં મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ રહેશે. દરેક કોચમાં બે ઓક્સિજન સિલિન્ડર આપવામાં આવ્યા છે. તેના રિફિલિંગ ની વ્યવસ્થા સ્થાનિક પ્રશાસન કરશે.
દરેક વોર્ડમાં લીનન ની સુવિધા (બેડશીટ્સ, પિલો કવર સહિત) અને ત્રણ પ્રકારનાં ડસ્ટબિન (લાલ, પીળો, લીલો) હશે જે વેસ્ટ સેગ્રીગેશન સરળ બનાવશે. તેમના મતે કોચની બંને બાજુની બારી મચ્છરદાની થી ઢંકાયેલી છે અને બાથરૂમમાં જરૂરી સુવિધા પૂરી પાડવામાં આવી છે. દરેક કોચમાં આપાતકાલીન પરિસ્થિતિઓથી બચાવવા માટે બે ફાયર ફાઈટીંગ સાધનો રાખવામાં આવ્યા છે. સ્થાનિક પ્રશાસન દ્વારા આ કોચમાં દાખલ દર્દીઓ માટે દવાઓ અને અન્ય તબીબી ઉપકરણો તથા મેડિકલ ટીમ ઉપલબ્ધ કરવામાં આવશે.
કોચમાં ઠંડક જળવાઈ રહે તે માટે રૂફટોપ પર પાટની બોરીઓ મૂકીને સતત પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને દર્દીઓ પરેશાન ન થાય તે માટે દરેક વોર્ડમાં એક કુલર લગાવવામાં આવ્યું છે.
સાબરમતીના માનનીય ધારાસભ્ય અરવિંદ પટેલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર દિલીપ રાણા (IAS) એ રેલવે અધિકારીઓની ટીમ સાથે આ કોચની નિરીક્ષણ કરી જરૂરી સંસાધનો પર વિસ્તૃત ચર્ચા કરી હતી. આ કોચનું વધુ સારું સંકલન જાળવવા રેલ્વે તરફથી અતુલ ત્રિપાઠી સહાયક વાણિજ્ય પ્રબંધક અને એ.એમ.સી. તરફથી કિરણ વનાલીયા નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
હાલમાં ઉભા કરવામાં આવેલ કોચમાં સાબરમતી ખાતે 200 થી 250 જ્યારે ચાંદલોડિયા ખાતે કોચમાં 100 દર્દી એડમિટ કરી શકાય તેવી વ્યવસ્થા કરાઈ છે. તેમજ સાબરમતી ખાતે 600 દર્દી દાખલ કરી શકાય તેટલી વ્યવસ્થા ઉભી કરવાની પણ તૈયારી રેલવે વિભાગ ધ્વારા દર્શાવાઇ છે. તેમજ ભાવનગર. રાજકોટ. વડોદરા અને અમદાવાદમાં મળી કુલ 200 જેટલા કોચ તૈયાર કર્યાનું પણ રેલવે drm એ જણાવ્યું છે.
એટલું જ નહીં પણ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે rpf દ્વારા હેલ્પ ડેસ્ક પણ તૈયાર કરાયું છે. જેનાથી મુસાફરોને કોરોનાને લઈને જાગૃત કરી શકાય સાથે જ સાબરમતી રેલવે હદમાં કોરોના કોવિડ કેર સેન્ટર પણ ઉભું કરાયું છે જ્યાં 70 બેડ રખાયા છે. જેનાથી રેલવે કર્મચારી અને તેમના પરિવારને આઇસોલેટ થવું હોય તો થઈ શકે અને સારવાર મેળવી શકે.