Hate Crime: કેનેડા જતા વિદ્યાર્થીઓ થઈ જાઓ સાવધાન! સરકારે જાહેર કર્યું એલર્ટ
ભારતીય નાગરિકો (Indian Citizens) અને વિદ્યાર્થીઓને હાઈ કમિશન ઓફ ઈન્ડિયા અથવા કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર રજિસ્ટર કરાવવા માટે કહેવામાં આવ્યું છે, જેથી તેઓને જરૂર પડ્યે સહાય પૂરી પાડી શકાય.
ભારત સરકારે કેનેડામાં (Canada) અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને હેટ ક્રાઈમથી દૂર રહેવાની સલાહ આપી છે. આ સાથે વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું છે કે ભારત વિરોધી ગતિવિધિઓને લઈને સાવધન રહે. કેનેડામાં ભૂતકાળમાં ઘણી ભારત વિરોધી ગતિવિધિઓ સામે આવી છે. આ સિવાય હેટ ક્રાઈમના કેસ (Hate Crime) પણ જોવા મળ્યા છે. આ કારણોથી ભારત સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આ સલાહ આપવામાં આવી છે. સરકારે વધુમાં કહ્યું હતું કે વિદેશ મંત્રાલયે હેટ ક્રાઈમ, સાંપ્રદાયિક હિંસા અને ભારત વિરોધી ગતિવિધિઓના કેસ કેનેડા સામે ઉઠાવ્યા છે.
કેનેડિયન અધિકારીઓને હેટ ક્રાઈમની તપાસ કરવા અને શક્ય તેટલા કડક પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે. વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, ‘હેટ ક્રાઈમ જેવા અપરાધોની હજુ સુધી સજા આપવામાં આવી નથી.’ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘ઉપરોક્ત અપરાધોમાં વધારો થવાનું કારણ એ છે કે કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો અથવા ભારતના વિદ્યાર્થીઓ અને ત્યાં ટ્રાવેલ/એજ્યુકેશન માટે જતા લોકોએ સતર્ક રહેવું જોઈએ અને તેમની આસપાસના વાતાવરણ પર નજર રાખવી જોઈએ.’
ભારતીયોને રજિસ્ટ્રેશન કરાવવા માટે કહેવામાં આવ્યું
સરકારે ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને આગ્રહ કરવામાં આવ્યો છે કે ઓટ્ટાવા સ્થિત હાઈ કમિશન ઓફ ઈન્ડિયા અથવા ટોરોન્ટો અને વૈંકુવરમાં સ્થિત કોન્સ્યુલેટ જનરલ ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર જઈને રજિસ્ટ્રેશન કરવા વિનંતી કરી છે. આ સિવાય તેઓ MADAD પોર્ટલ madad.gov.in પર જઈને પણ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. વિદેશ મંત્રાલયના નિવેદન મુજબ “આનાથી કોઈપણ કટોકટી અથવા જરૂરિયાતના સમયમાં હાઈ કમિશન અને કોન્સ્યુલેટ જનરલને કેનેડામાં ભારતીય નાગરિકો સાથે વધુ સારી રીતે જોડવામાં મદદ મળશે.”
કેનેડામાં કહેવાતા ખાલિસ્તાની જનમત સંગ્રહ પર ભારતે ગુરુવારે સખત વાંધો ઉઠાવ્યો હતો. ભારતે તેને ખૂબ જ વાંધાજનક ગણાવ્યું છે. ભારતે કહ્યું કે કેનેડા અમારો મિત્ર દેશ છે, પરંતુ અહીં કટ્ટરપંથી અને ઉગ્રવાદી તત્વોને આવી રાજનીતિથી પ્રેરિત પ્રવૃત્તિઓની મંજૂરી આપવામાં આવી હતી. વિદેશ મંત્રાલયે કહ્યું કે આ મુદ્દો કેનેડા સાથે ઉઠાવવામાં આવ્યો છે અને આવી બાબતો કેનેડા સામે પણ આગળ ઉઠાવવામાં આવશે. મંત્રાલયે કહ્યું કે ખાલિસ્તાની જનમત સંપૂર્ણ રીતે નકલી છે.