
ભારતીય સેનાએ અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે એવા ન્યૂઝ સામે આવ્યા છે. નવો નિયમ 2024-25ની અગ્નિવીર ભરતીમાં લાગુ કરવામાં આવશે. સેનાએ આ અંગે એક નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. આ સાથે તમામ રાજ્યોના આર્મી રિક્રુટમેન્ટ બોર્ડને પણ આ અંગે જાણ કરી દેવામાં આવી છે. નવો નિયમ અગ્નિવીર હેઠળ ક્લાર્ક અને સ્ટોરકીપરની જગ્યાઓ પર ભરતી માટે જ લાગુ કરવામાં આવશે. નવો નિયમ અન્ય પોસ્ટ પર લાગુ થશે નહીં.
હવે આર્મી ક્લાર્ક અને સ્ટોરકીપરની જગ્યાઓ પર ભરતી માટે ટાઇપિંગ ટેસ્ટ પણ લેશે. જે હિન્દીમાં 30 શબ્દો પ્રતિ મિનિટ અને અંગ્રેજીમાં 35 શબ્દો પ્રતિ મિનિટ હોઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બિહાર-ઝારખંડ આર્મી રિક્રુટમેન્ટ બોર્ડ ડિરેક્ટોરેટના એક અધિકારીએ આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે, અગ્નિવીર હેઠળ ક્લાર્ક અને સ્ટોરકીપરની જગ્યાઓ પર ભરતી માટે ટાઇપિંગ ટેસ્ટ હશે, પરંતુ તેનું ધોરણ હજુ નક્કી કરવામાં આવ્યું નથી. ટૂંક સમયમાં ધોરણ પણ નક્કી કરી દેવામાં આવશે.
તમને જણાવી દઈએ કે 60 ટકા માર્ક્સ સાથે 12 ધોરણ પાસ કરેલા યુવક ક્લાર્ક અને સ્ટોરકીપરની પોસ્ટ માટે અરજી કરી શકે છે. ગયા વર્ષે સેનાએ ભરતી પ્રક્રિયામાં વધુ એક ફેરફાર કર્યો હતો. જે અંતર્ગત હવે પહેલા લેખિત પરીક્ષા લેવામાં આવશે અને ત્યારબાદ ભરતી રેલીનું આયોજન કરવામાં આવશે. અગાઉ લેખિત પરીક્ષાનું આયોજન પાછળથી કરવામાં આવતું હતું અને ભરતી રેલીનું આયોજન પહેલા કરવામાં આવતું હતું. ભરતી રેલીમાં ભીડ ઓછી કરવા માટે સેનાએ આ ફેરફાર કર્યો હતો.
અગ્નિવીર એરફોર્સની 3500 જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 17 જાન્યુઆરી 2024થી શરૂ થશે અને 6 ફેબ્રુઆરી 2024 સુધી ચાલુ રહેશે. ભારતીય વાયુસેનાની ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરાયેલા સૂચના અનુસાર ઉમેદવારો નિર્ધારિત છેલ્લી તારીખે અથવા તે પહેલાં અરજી સબમિટ કરી શકે છે. સિલેક્શન, લેખિત પરીક્ષા PET અને ડોક્યુમેન્ટ ચકાસણી દ્વારા કરવામાં આવશે.