Karnatakaની શાળાઓ અને કોલેજોમાં ભણાવવામાં આવશે ‘ભગવદ્ ગીતા’
મુખ્યમંત્રી બસવરાજ બોમાઈએ (Chief Minister Basavaraj Bomai) કહ્યું હતું કે, ભગવદ્ ગીતાને નૈતિક વિજ્ઞાન વિષયના ભાગ તરીકે અભ્યાસક્રમમાં સામેલ કરવાનું તેમની સરકારનું વલણ છે.
Karnatakaના શિક્ષણ મંત્રી બી.સી. નાગેશે સોમવારે જાહેરાત કરી હતી કે, રાજ્ય સરકાર આ શૈક્ષણિક વર્ષથી રાજ્યભરની શાળાઓ અને કોલેજોમાં ભગવદ્ ગીતા શીખવવાનું શરૂ કરવાનું વિચારી રહી છે. કર્ણાટક વિધાનસભા સત્ર દરમિયાન એક પ્રશ્નનો જવાબ આપતા નાગેશે આ કોમેન્ટ્સ કરી હતી. તેમણે કહ્યું, ‘અમે આ શૈક્ષણિક વર્ષથી Bhagavad Gita શીખવવાનું શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ. તે નૈતિક વિજ્ઞાન વિષય હેઠળ ભણાવવામાં આવશે. ચર્ચા ચાલી રહી છે. એક કમિટી બનાવવામાં આવશે અને અમે ટૂંક સમયમાં આ અંગે નિર્ણય લઈશું.
વાસ્તવમાં, આ પ્રશ્ન ભાજપના એમએલસી એમ.કે. પ્રણેશે પૂછ્યું. તેમણે પૂછ્યું, ‘સરકાર કહે છે કે કર્ણાટકમાં વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા શીખવવાનો કોઈ પ્રસ્તાવ નથી. શું સરકાર ભગવદ્ ગીતા શીખવવામાં આનાકાની કરી રહી છે? નિવેદન જાહેર કરતી વખતે સરકારે અગાઉ બતાવેલો રસ કેમ ગાયબ થઈ ગયો?’ આ મુદ્દો વિવાદાસ્પદ બનવાનો છે. અગાઉ, જ્યારે નાગેશે જાહેરાત કરી હતી કે, શિક્ષણ નિષ્ણાંતોની સલાહને અનુસરીને અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) હેઠળ ભગવદ્ ગીતા શીખવવામાં આવશે, ત્યારે વિવિધ લઘુમતી જૂથો અને લોકોએ તેનો વિરોધ કર્યો હતો.
CMએ ભગવદ્ ગીતા શીખવવાની કરી વાત
મુખ્ય પ્રધાન બસવરાજ બોમાઈએ કહ્યું હતું કે, ભગવદ્ ગીતાને નૈતિક વિજ્ઞાન વિષયના ભાગ તરીકે અભ્યાસક્રમમાં સામેલ કરવાનું તેમની સરકારનું વલણ છે. ઉદ્યોગ મંત્રી મુરુગેશ નિરાનીએ કહ્યું છે કે, ભગવદ્ ગીતામાં માનવીય મૂલ્યો છે અને બાળકોને તે મૂલ્યો વિશે જાણવાની જરૂર છે. અગાઉ, તેમણે કહ્યું હતું કે, ગુજરાત સરકારે અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે અને કર્ણાટકમાં બાળકોને ભગવદ્ ગીતા શીખવવાનો નિર્ણય લેવો જોઈએ.
કોંગ્રેસે શું કહ્યું?
જો કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મૈસુરના પૂર્વ મંત્રી તનવીર સૈતે તાજેતરમાં જ એમ કહીને મોટો વિવાદ સર્જ્યો હતો કે, અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતાનો સમાવેશ કોવિડ મહામારી કરતાં પણ વધુ ખતરનાક છે. પૂર્વ મુખ્યમંત્રી એચ.ડી. કુમારસ્વામીએ આ પ્રસ્તાવ પર રાજ્ય સરકાર પર સવાલ ઉઠાવતા કહ્યું કે, ભગવદ્ ગીતાના ઉપદેશથી ખાલી પેટ નહીં ભરાય. “રાજ્ય હજારો સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે અને ભગવદ્ ગીતાના ઉપદેશો લોકોને ભોજન પૂરું પાડશે નહીં,” તેમણે કહ્યું. દેશમાં ભાવનાત્મક બાબતોને મહત્વ મળી રહ્યું છે. લોકોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. આ પ્રવૃતિનો અંત છે અને અમે ત્યાં સુધી રાહ જોઈશું.