અર્થવ્યવસ્થાને મજબુતી આપવા માટે વેક્સિનેશન એકમાત્ર રસ્તો, નિર્મલા સીતારમણે કહ્યું – પ્રાર્થના કરો કે ત્રીજી લહેર ન આવે
રવિવારે અહીં તમિલનાડ મર્કન્ટાઇલ બેંકની શતાબ્દી ઉજવણીમાં પોતાના સંબોધનમાં નાણામંત્રી સીતારમણે રસીકરણને અર્થતંત્રને મજબૂત બનાવવાનો એકમાત્ર રસ્તો ગણાવ્યો હતો. તમિલનાડુમાં આરોગ્ય મંત્રાલય રવિવારે 40,000 કેમ્પ દ્વારા 20 લાખ લોકોને રસી આપવાનું લક્ષ્ય ધરાવે છે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (Nirmala Sitharama) રવિવારે કહ્યું કે અર્થતંત્રને વેગ આપવા માટે રસીકરણ એકમાત્ર રસ્તો છે, કારણ કે તે લોકોને નિયમિત રૂપે વ્યવસાય કરવાની તેમજ ખેડૂતોને ખેતી કરવાની અનુમતી આપે છે. તેમણે વધુમાં કહ્યું કે દેશના 73 કરોડ લોકોએ કોવિડ -19 વિરોધી રસીનો ડોઝ લઈ લીધો છે.
તેમણે કહ્યું કે દેશમાં રસીકરણ અભિયાન ઝડપી અને વ્યવસ્થિત રીતે ચાલી રહ્યું છે અને અત્યાર સુધીમાં 73 કરોડ લોકોએ રસીનો નિશુલ્ક ડોઝ લીધો છે. આજે રસીકરણ કાર્યક્રમ દ્વારા લોકોને વ્યાપાર કરવા, વ્યાપારી કારોબાર ચલાવવા માટે ઉત્પાદનો ખરીદવા, અર્થવ્યવસ્થાને વેગવંતી બનાવવા અથવા ખેડૂત ખેતી કરવા સક્ષમ થઈ શકે એ માટે રસીકરણ ખૂબ જ જરૂરી છે. અર્થતંત્રને મજબૂતી આપવા માટે અને આ વાઈરસથી લડવા માટેની એકમાત્ર દવા એટલે રસીકરણ છે.
સીતારમણે રવિવારે અહીં તમિલનાડ મર્કન્ટાઈલ બેંકની શતાબ્દી ઉજવણીમાં પોતાના સંબોધનમાં આ ટિપ્પણી કરી હતી. તમિલનાડુમાં આરોગ્ય મંત્રાલયે રવિવારે 40,000 કેમ્પ દ્વારા 20 લાખ લોકોને રસી આપવાનું લક્ષ્ય રાખ્યું છે.
કોરોના વાઈરસની ત્રીજી લહેર ન આવે તે માટે પ્રાર્થના
નાણામંત્રીએ કહ્યું અમે બધા પ્રાર્થના કરીએ છીએ કે કોવિડ -19ની ત્રીજી લહેર ન આવે. ધારો કે જો ત્રીજી લહેર આવે છે તો દરેક વ્યક્તિએ હોસ્પિટલોની ઉપલબ્ધતા વિશે વિચારવું પડશે, જો ત્યાં કોઈ હોસ્પિટલ છે તો શું તેમાં આઈસીયુ વિભાગ છે અને જો આઈસીયુ વિભાગ છે તો શું તેમાં ઓક્સિજન છે ? આ બધા પ્રશ્નોના જવાબ માટે મંત્રાલયે એક યોજના જાહેર કરી છે. જેમાં હોસ્પિટલોને તેમના વિસ્તરણમાં વેગ આપવાની મંજુરી આપવામાં આવી છે.
સીતારમણે કહ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં આવેલી હોસ્પિટલો મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી યોજનાઓનો લાભ લઈને વિસ્તરણ કાર્ય કરી શકે છે. તમિલનાડ મર્કન્ટાઈલ બેંકના અહેવાલ દ્વારા અમે જોઈ શકીએ છીએ કે તેઓ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી યોજનાઓને લાભાર્થીઓ (હોસ્પિટલો) સુધી લઈ જઈ શક્યા છે. આજના માહોલમાં આ જરૂરી છે. માત્ર જાહેર ક્ષેત્રની બેંકો જ નહીં, પરંતુ ખાનગી ક્ષેત્રની બેંકોએ પણ આનું પાલન કરવું જોઈએ.
26 રાજ્યો અને 4 કેન્દ્રશાસિત પ્રદેશમાં હાજર છે બેંક
અગાઉ મે, 1921માં તુતીકોરિનમાં બેંક સ્થાપવા માટે નાદર સમુદાયની પ્રશંસા કરતા મંત્રીએ જણાવ્યું હતું કે આજે તમિલનાડ મર્કન્ટાઈલ બેંકને “સાર્વત્રિક સ્વીકૃતિ” મળી છે અને તે તમામ 26 રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાજર છે.
તેમણે કહ્યું હતું કે વૈશ્વિક અર્થતંત્રની બાબતો પર વિસ્તૃત રીતે લખનાર પ્રખ્યાત ગ્રીક લેખકે પણ તેમના પુસ્તકમાં નાદર સમુદાયનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે “આજે તે માત્ર નાદર કોમ્યુનિટી બેંક અથવા તુતીકોરીન બેંક નથી, પરંતુ તેની દેશવ્યાપી હાજરી છે અને 41,000 કરોડ રૂપિયાથી વધુની થાપણો છે.”
સીતારમણે જણાવ્યું હતું કે બેન્ક બિઝનેસ કરવાના તેના અભિગમમાં સાવચેતીભર્યા પગલાં લઈ રહી છે. “મૂળભૂત સિદ્ધાંતોનું ચુસ્તપણે પાલન કરીને બેંક કોઈપણ પ્રકારના સંકટને સંભાળવા માટે સક્ષમ છે અને સો વર્ષ સુધી ટકી રહેવામાં સફળ રહી છે.”
આ પણ વાંચો : INCOME TAX વિભાગે 26 લાખથી વધુ કરદાતાઓના ખાતામાં 70120 કરોડ રિફંડ કર્યા , આ રીતે જાણો તમારા રિફંડની સ્થિતિ