Ban on Visa Free Entry: 1 જાન્યુઆરીથી આ દેશમાં ભારતીયો માટે વિઝા ફ્રી એન્ટ્રીની સુવિધા પર પ્રતિબંધ, શું છે કારણ?
Indian Passport Holders: અત્યાર સુધી રાજદ્વારી અને સત્તાવાર ભારતીય પાસપોર્ટ ધારકોને 90 દિવસ માટે વિઝા વિના દેશની મુલાકાત લેવાની છૂટ હતી, જ્યારે સામાન્ય પાસપોર્ટ ધારકો માટે આ સમયગાળો 30 દિવસનો હતો.
સર્બિયા સરકારે ભારતીયો માટે વિઝા વગર એન્ટ્રી સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે. 1 જાન્યુઆરી, 2023થી ભારતીય પાસપોર્ટ ધારકોને હવે માન્ય વિઝા વિના સર્બિયા જવાની સુવિધા રહેશે નહીં. આ પગલું ગેરકાયદેસર ઇમિગ્રેશનને નિયંત્રિત કરવા અને યુરોપિયન વિઝા નીતિની જરૂરિયાતોનું પાલન કરવા માટે લેવામાં આવ્યું છે. એક નિવેદનમાં સરકારે કહ્યું, “સર્બિયામાં 30 દિવસ સુધીના રોકાણ માટે તમામ ભારતીય પાસપોર્ટ ધારકો માટે દેશમાં વિઝા-મુક્ત પ્રવેશની હાલની વ્યવસ્થા પાછી ખેંચી લેવામાં આવી છે.”
અગાઉ, રાજદ્વારી અને સત્તાવાર ભારતીય પાસપોર્ટ ધારકોને 90 દિવસ માટે વિઝા વિના દેશની મુલાકાત લેવાની છૂટ હતી, જ્યારે સામાન્ય પાસપોર્ટ ધારકો માટે આ સમયગાળો 30 દિવસનો હતો.
આ સિસ્ટમ 2017માં શરૂ કરવામાં આવી હતી
સર્બિયા દ્વારા સપ્ટેમ્બર 2017માં વિઝા-મુક્ત પ્રવેશની રજૂઆત કરવામાં આવી હતી. સર્બિયા જતા ભારતીયો સર્બિયાના પડોશી દેશો અને અન્ય યુરોપીયન દેશો સહિત અન્ય દેશોમાં વિઝા ફ્રી એન્ટ્રીના ધોરણે પ્રવાસ કરી શકતા નથી.
ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરી
સર્બિયા સરકારની આ જાહેરાત બાદ રાજધાની બેલગ્રેડમાં ભારતીય દૂતાવાસે વિઝા નિયમોમાં ફેરફાર અંગે ભારતીય નાગરિકોને જાણ કરતી એડવાઈઝરી જાહેર કરી હતી. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ‘1 જાન્યુઆરી, 2023થી સર્બિયા જનારા તમામ ભારતીય નાગરિકોને રિપબ્લિક ઓફ સર્બિયામાં પ્રવેશવા માટે વિઝાની જરૂર પડશે. સર્બિયામાં 30 દિવસ સુધીના રોકાણ માટે તમામ ભારતીય પાસપોર્ટ ધારકો માટે વિઝા-મુક્ત પ્રવેશની હાલની વ્યવસ્થા સર્બિયાની સરકારે પાછી ખેંચી લીધી છે.
ભારતીય નાગરિકો કે જેઓ 1 જાન્યુઆરી, 2023ના રોજ અથવા તે પછી સર્બિયાની મુલાકાત લેવા ઈચ્છે છે, તેઓએ નવી દિલ્હીમાં અથવા તેઓ જ્યાં રહે છે તે દેશમાં સર્બિયાના દૂતાવાસમાં વિઝા માટે અરજી કરવી જોઈએ. એડવાઈઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે માન્ય શેંગેન, યુકે વિઝા અથવા યુનાઈટેડ સ્ટેટ્સ વિઝા ધરાવતા અથવા આ દેશોમાં રહેઠાણનો દરજ્જો ધરાવતા ભારતીયો હજુ પણ 90 દિવસ સુધી સર્બિયામાં પ્રવેશી શકે છે.