ટેક્સટાઈલ કંપનીઓની કોટનના વાયદા પર પ્રતિબંધ મૂકવાની માંગ,ઓછા ઉત્પાદનના અહેવાલો બાદ ભાવમાં સટ્ટો કિંમત વધારી રહ્યો છે
આ સાથે ઉદ્યોગોએ સલાહ આપી છે કે સરકારે કપાસના ભાવને નિયંત્રિત કરવા માટે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા હેઠળ વ્યૂહાત્મક સ્ટોક બનાવવો જોઈએ. જેની પાસે 1 કરોડ ગાંસડીનો સ્ટોક હોય.
કાપડ ક્ષેત્રની સરકારી અને ખાનગી કંપનીઓએ કપાસના વાયદા (Cotton Future) પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. કંપનીઓનો આરોપ છે કે સટ્ટાની અસર કપાસના ભાવમાં જોવા મળી રહી છે અને વાયદાના કારણે પહેલેથી જ મોંઘા કપાસના ભાવ વધુ વધી રહ્યા છે. એક મીડિયા રિપોર્ટમાં સૂત્રોને ટાંકીને લખ્યું છે કે કંપનીઓ કપાસની નિકાસ(Export) પર પણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહી છે. આ ઉપરાંત કેટલીક કંપનીઓ માંગ કરી રહી છે કે સરકાર કાચા માલ પર લાંબા ગાળાની વ્યૂહરચના સાથે આવે જેમાં સ્થાનિક પુરવઠો જાળવી રાખવા માટે એક્ષપોર્ટ ડ્યુટી લાદવાનો સમાવેશ થાય છે. છેલ્લા એક વર્ષમાં સ્થાનિક કપાસના ભાવ બમણાથી વધુ વધી ગયા છે જ્યારે કોટન યાર્નના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો છે.
વ્યૂહાત્મક અનામત સ્ટોક બનાવવા સલાહ અપાઈ
આ સાથે ઉદ્યોગોએ સલાહ આપી છે કે સરકારે કપાસના ભાવને નિયંત્રિત કરવા માટે કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા હેઠળ વ્યૂહાત્મક સ્ટોક બનાવવો જોઈએ. જેની પાસે 1 કરોડ ગાંસડીનો સ્ટોક હોય. આ અનામત કિંમતોમાં વધારાને નિયંત્રિત કરવામાં મદદ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ તમામ સૂચનો ઉદ્યોગ દ્વારા સરકારને મોકલવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ટેક્સટાઈલ મંત્રી પીયૂષ ગોયલ વિદેશથી પરત આવ્યા બાદ આ સૂચનોને ધ્યાનમાં લઈ શકે છે. પીયૂષ ગોયલ હાલમાં વર્લ્ડ ઈકોનોમિક સમિટમાં ભાગ લેવા દાવોસમાં છે અને તેઓ આ અઠવાડિયે ભારત પરત ફરશે. અગાઉ ડિસેમ્બર 2021 માં સેબીએ 7 કોમોડિટીઝ, ચણા, સરસવ, ક્રૂડ પામ તેલ, મગ, ડાંગર (બાસમતી), ઘઉં, સોયાબીનમાં એક વર્ષ માટે ફ્યુચર્સ વિકલ્પો પર પ્રતિબંધ મૂક્યો હતો જોકે કપાસ પર કોઈ પ્રતિબંધ લદાયો નથી.
ફ્યુચર્સ ટ્રેડિંગ શું છે?
સરળ શબ્દોમાં કહીએ તો ફ્યુચર્સ ટ્રેડિંગ એ વ્યવસાયની રીત છે જેમાં તમે ભાવિ સોદા કરો છો. એટલે કે… તમે આગામી એક કે બે મહિના પછીના સોદા આજે જ કરી શકશો. ભવિષ્ય માત્ર અનુમાન કરી શકાય છે તેથી કોઈપણ અનિશ્ચિતતાના કિસ્સામાં ભાવિ ભાવો વિશે ઘણી અટકળો રહે છે. કિંમતો પર નકારાત્મક અસર પડી છે. આ વર્ષે દેશમાં કપાસના પાકનું ઉત્પાદન પ્રારંભિક અંદાજ કરતાં ઓછું હોવાનું કહેવાય છે. આવી સ્થિતિમાં આગામી સમયમાં પુરવઠાની અછતની ભીતિને કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. જો કે ઉદ્યોગનું માનવું છે કે અટકળો અને નફાખોરીને કારણે કિંમતો હોવી જોઈએ તેના કરતા વધારે છે.