Surat : ચેન્નઈમાં પડી રહેલા વરસાદની ભારે અસર સુરતના ટેક્સટાઇલ માર્કેટ પર, જાણો શું છે કનેક્શન
Surat: ચેન્નાઈમાં ભારે વરસાદના લીધે ભારે તારાજી સર્જાઇ છે ત્યારે સુરતના કાપડ બજારની ચિંતામાં પણ વધારો થયો છે. ચાલો જાણીએ સમગ્ર વાત વિગતવાર.
છેલ્લાં એક અઠવાડિયાથી ચેન્નાઈમાં (Chennai) ધોધમાર વરસાદ (Heavy Rain) પડી રહ્યો છે, જેના કારણે ચારેતરફ પાણી ભરાઈ ગયા છે. અને જનજીવન પર ભારે અસર પડી છે. આ દરમિયાન આજે પણ હવામાન વિભાગે 45 કિ.મી.ની ઝડપથી જોરદાર પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે. ચેન્નાઈમાં ભારે વરસાદના લીધે ભારે તારાજી સર્જાઇ છે ત્યારે સુરતના કાપડ બજારની ચિંતામાં પણ વધારો થયો છે.
દક્ષિણ ભારતમાં 14 જાન્યુઆરીએ પોંગલનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. દક્ષિણ ભારતનો આ સૌથી મોટો તહેવાર ગણવામાં આવે છે. દર વર્ષે નવેમ્બર મહિનાથી જાન્યુઆરી મહિના દરમિયાન સુરતના કાપડ બજારમાંથી અંદાજે 1200 કરોડનું કાપડ દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ, તમિલનાડુ વગેરે રાજ્યો સહિતના બજારોમાં ઠલવાતું હોય છે. પરંતુ આ વર્ષે વરસાદના લીધે પોંગલની સિઝન પર પાણી ફરી વળશે તેની ચિંતા ઉભી થઈ છે.
વેપારીઓ મિલોમાં બે મહિનાના ઓર્ડર લઈને બેઠાં છે પરંતુ સાઉથથી ઓર્ડરનો એકેય ફોન આવ્યો નથી, છેલ્લા ચાર દિવસથી તો એક પણ ફોન ઓર્ડરની ઇન્કવાયરી માટે આવ્યો નથી. દિવાળી પર માલ મોકલવામાં આવ્યો છે તેના રૂપિયા આવશે નહીં તેની પણ એક ચિંતા દેખાઈ રહી છે.
મિલોને 2 મહિનાનું કામ પણ સોંપવામાં આવ્યું છે. પણ ઓર્ડર ન મળતા તે અટવાઈ જશે. ફોસ્ટાના ડિરેકટર રંગનાથ શારદાએ કહ્યું છે કે, ટેકસટાઇલ માર્કેટ માટે પોંગલની સિઝન 1200 કરોડ સુધીની હોય છે.
નવેમ્બરથી મહિનાથી જ વેપારીઓ મિલોમાં કામ સોંપી દે છે. નવેમ્બરના બીજા અઠવાડિયાથી દક્ષિણમાંથી ઓર્ડર આવવા લાગે છે, જે 5 જાન્યુઆરી સુધી ડિસ્પેચ કરવામાં આવે છે. પરંતુ આ વખતે છેલ્લાં એક અઠવાડિયાથી ચેન્નાઈમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ચાર દિવસથી ઓર્ડરના એકપણ ફોન આવી રહ્યાં નથી. આ પહેલા ગયા વર્ષે નિસાર વાવાઝોડું પણ આ જ સમયે ત્રાટક્યું હતું.
છેલ્લાં 5 વર્ષથી ચેન્નાઈમાં નવેમ્બર મહિનામાં જ ધોધમાર વરસાદ વરસે છે
નોંધનીય છે કે છેલ્લાં 5 વર્ષથી ચેન્નાઈમાં દિવાળી પછી નવેમ્બર મહિનામાં જ ભારે વરસાદ વરસે છે. ગયા વર્ષે આ જ સમયે નિસાર વાવાઝોડું ત્રાટક્યું હતું. અને તેના લીધે પણ ભારે તબાહી થઈ હતી. આ પહેલા વર્ષ 2015માં પણ ભારે વરસાદના કારણે ચેન્નાઈમાં ચારેતરફ પાણી ભરાઈ ગયા હતા. છેલ્લા એક અઠવાડિયાથી ચેન્નાઈમાં સર્જાયેલી પાણીની તારાજીએ 2015ના વરસાદની યાદ અપાવી દીધી છે. આમ, હવે સામી પોંગલની સિઝને વરસાદે તારાજી સર્જતાં સુરતના કાપડ માર્કેટના વેપારીઓની ચિંતા કંઈક અંશે વધી છે.
આ પણ વાંચો: ‘નિરામય ગુજરાત’થી નિરોગી ગુજરાત! રાજ્ય સરકાર લોન્ચ કરવા જઈ રહી છે આ જોરદાર યોજના, જાણો તેના લાભ
આ પણ વાંચો: અમદાવાદમાં કોરોનાના કેસ વધતાની સાથે ફરી ટેસ્ટીંગ ડોમ વધારવામાં આવ્યાં, નવા 30 ડોમ ઉભા કરાયા