IPO Update : ગત વર્ષની સરખામણીએ વર્ષ 2022 માં ઓછા IPO આવ્યા, આગામી વર્ષ માટે નિષ્ણાંતોના શું છે અનુમાન?
વર્ષ 2022 માં પ્રવાહ ધીમો રહેવા છતાં રોકાણકારોએ ભારતીય શેરબજારમાં IPO દ્વારા ઘણા પૈસા કમાયા હતા અને હવે આગામી વર્ષ 2023 માં પણ તેમને કમાણીની તક મળશે. નવા વર્ષની શરૂઆતમાં બજારમાં સબસ્ક્રિપ્શન માટે ઘણા IPO આવી રહ્યા છે.
લિસ્ટેડ કંપનીઓના શેરના ભાવમાં ઘટાડો અને જીઓ પોલિટિકલ તણાવના કારણે સર્જાયેલી અસ્થિરતાએ શેરબજારના સેન્ટિમેન્ટને અસર કરી છે. આ કારણે વર્ષ 2022માં ઈનિશિયલ પબ્લિક ઑફરિંગ (IPO) દ્વારા માત્ર રૂ. 57,000 કરોડ એકત્ર કરી શકાયા હતા. નવા વર્ષમાં આ પ્રવૃત્તિઓ વધુ ધીમી થવાની ધારણા છે. આ વર્ષે IPO દ્વારા એકત્ર કરાયેલા ભંડોળમાંથી 20,557 કરોડ રૂપિયા એટલે કે 35 ટકા હિસ્સો માત્ર LICના IPOમાંથી પ્રાપ્ત થયો હતો. જો ચાલુ વર્ષે LICનો IPO ન આવ્યો હોત તો પ્રારંભિક શેર વેચાણમાંથી કુલ કલેક્શન હજી ઓછું મળવાની શક્યતા હતી. વધતી જતી મોંઘવારી અને મંદીના ભય વચ્ચે વ્યાજદરમાં વધારાને કારણે વર્ષ 2022 રોકાણકારો માટે મુશ્કેલીભર્યું રહ્યું છે.
ટ્રુ બીકન અને ઝેરોધાના સહ-સ્થાપક નિખિલ કામતે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ધીમી વૃદ્ધિ વચ્ચે 2023 મુશ્કેલ વર્ષ બની રહેશે. તેમણે કહ્યું કે તેની આડ અસરો ભારતમાં પણ જોવા મળશે. તેમનો અંદાજ છે કે 2023માં બજાર નરમ રહી શકે છે અને IPO દ્વારા મૂડી એકત્ર કરવાની પ્રવૃત્તિઓ પણ આવતા વર્ષે ઘટી શકે છે અથવા તે 2022ના સ્તરે રહી શકે છે. જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું કે શેરબજારોમાં અસ્થિરતાની આશંકા વચ્ચે 2023માં IPOનું એકંદર કદ ઓછું રહેવાની ધારણા છે. તેમણે કહ્યું કે તાજેતરના IPOના નબળા પ્રદર્શનની પણ રોકાણકારોને અસર થવાની ધારણા છે અને તેના કારણે નજીકના ભવિષ્યમાં નબળી પ્રતિક્રિયા જોવા મળશે.
89 કંપનીઓ IPO લાવશે
વર્ષ 2022 માં પ્રવાહ ધીમો રહેવા છતાં રોકાણકારોએ ભારતીય શેરબજારમાં IPO દ્વારા ઘણા પૈસા કમાયા હતા અને હવે આગામી વર્ષ 2023 માં પણ તેમને કમાણીની તક મળશે. નવા વર્ષની શરૂઆતમાં બજારમાં સબસ્ક્રિપ્શન માટે ઘણા IPO આવી રહ્યા છે. પ્રાઇમડેટાબેઝની માહિતી અનુસાર લગભગ 89 કંપનીઓ 2023માં દલાલ સ્ટ્રીટ પર દસ્તક આપીને આશરે રૂ. 1.4 ટ્રિલિયન એકત્ર કરવા યોજના બનાવી રહી છે.
ફેબ્રુઆરીમાં રશિયા અને યુક્રેન વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને કારણે રોકાણકારો માટેનું વાતાવરણ પરેશાન થઈ ગયું છે કારણ કે ભારત સહિત વિશ્વભરના બજારોમાં ઘટાડો થયો છે. આ સિવાય વિશ્વભરની સેન્ટ્રલ બેંકોએ વધતી જતી મોંઘવારી પર અંકુશ મેળવવા માટે વ્યાજ દરમાં વધારો કર્યો છે. તેની અસર શેરબજારના સેન્ટિમેન્ટ પર પણ પડી છે. તેના કારણે શેરના ભાવને અસર થઈ અને કંપનીઓએ આઈપીઓ લાવવાની યોજના મોકૂફ રાખી છે.