દેશની સૌથી મોટી બેંકના સ્ટોકે એક મહિનામાં આપ્યું 14% રિટર્ન, જાણો શું છે નિષ્ણાંતોનો અભિપ્રાય
બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે SBIના શેર ખરીદવાની સલાહ આપી છે. બ્રોકરેજે આ સ્ટોક માટે રૂ. 600નો ટાર્ગેટ ભાવ આપ્યો છે. મોતીલાલ ઓસ્વાલનું કહેવું છે કે SBI લોન બુકમાં સતત સુધારો કરી રહી છે
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના શેરમાં છેલ્લા એક મહિનામાં સારો ઉછાળો જોવા મળ્યો છે. આ ગાળામાં આ બેન્કિંગ શેરમાં લગભગ 14 ટકાનો ઉછાળો આવ્યો છે. હાલમાં શેર તેની 52 સપ્તાહની ટોચની નજીક ટ્રેડ કરી રહ્યો છે. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે લોનમાં SBIનો બજારહિસ્સો વધી રહ્યો છે અને બેન્કની કામગીરીમાં સુધારો થઈ રહ્યો છે. આ સાથે SBIનો સ્ટોક આવનારા દિવસોમાં રોકાણકારોને સારું વળતર આપી શકે છે.SBIનો શેર શુક્રવાર, 22 જુલાઈના રોજ 0.29 ટકાના નજીવા ઘટાડા સાથે રૂ. 511.90 (SBI Share Price) પર બંધ થયો હતો. છેલ્લા પાંચ ટ્રેડિંગ સેશનમાં શેરમાં 5.90 ટકાનો વધારો થયો છે. એ જ રીતે છેલ્લા છ મહિનામાં આ શેરમાં લગભગ ચાર ટકાનો વધારો થયો છે. વર્ષ 2022માં અત્યાર સુધીમાં આ શેરે રોકાણકારોને 8.73 ટકા વળતર આપ્યું છે. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સમાં 6 ટકાનો ઘટાડો થયો છે.
મોતીલાલ ઓસ્વાલે બાય રેટિંગ આપ્યું
બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલે SBIના શેર ખરીદવાની સલાહ આપી છે. બ્રોકરેજે આ સ્ટોક માટે રૂ. 600નો ટાર્ગેટ ભાવ આપ્યો છે. મોતીલાલ ઓસ્વાલનું કહેવું છે કે SBI લોન બુકમાં સતત સુધારો કરી રહી છે અને બેંકના ઓપરેટિંગ પરફોર્મન્સમાં સુધારો જોવા મળ્યો છે. બેંકની કુલ લોનમાં ફ્લોટિંગ-રેટ લોનનો હિસ્સો 75 ટકા છે. તેના કારણે બેંકને વ્યાજ દરમાં વધારો કરવાનો ફાયદો મળશે. બેંકની કોર્પોરેટ લોન બુકમાં પણ રિકવરી જોવા મળે છે. બેંકની એસેટ ગુણવત્તામાં સુધારો જોવા મળ્યો છે.
લોન શેરમાં વધારો
જ્યારે છેલ્લા ચાર વર્ષમાં લોન માર્કેટમાં જાહેર ક્ષેત્રની બેંકોનો હિસ્સો 11.30 ટકા ઘટ્યો છે, ત્યારે આ સમયગાળા દરમિયાન SBIનો હિસ્સો 0.90 ટકા વધ્યો છે. કુલ લોન માર્કેટમાં તેનો હિસ્સો 23 ટકા છે. છેલ્લા ચાર વર્ષમાં થાપણોના સંદર્ભમાં બેંકનો બજાર હિસ્સો 1.7 ટકા વધ્યો છે. નાણાકીય વર્ષ 2021-22 દરમિયાન, બેંકનો CASA રેશિયો 45 ટકા રહ્યો. ગત નાણાકીય વર્ષ દરમિયાન થાપણોની કિંમત ઘટીને 3.8 ટકા થઈ હતી.
નોંધ : શેરમાં રોકાણ એ શેરબજારના જોખમોને આધીન છે. અહેવાલનો હેતું આપને માત્ર માહિતી આપવાનો છે. રોકાણથી નફા કે નુકસાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહિ. કૃપા કરી રોકાણ પહેલા તમારા આર્થિક સલાહકારની મદદ અવશ્ય લેવી.