ટાટા સન્સ અને સિંગાપોર એરલાઇન્સ માર્ચ 2024 સુધીમાં એર ઇન્ડિયા અને ‘વિસ્તારા’નું મર્જર કરશે
સિંગાપોર એરલાઇન્સ લિમિટેડ ટ્રાન્ઝેક્શનના ભાગરૂપે એર ઇન્ડિયામાં 250 મિલિયન ડોલરનું રોકાણ કરશે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેઓ માર્ચ 2024 સુધીમાં મર્જરને પૂર્ણ કરવાનું લક્ષ્ય ધરાવે છે.
વિસ્તારા એરલાઇન્સ માર્ચ 2024 સુધીમાં ટાટા સન્સની માલિકીની એર ઇન્ડિયા સાથે મર્જ કરવામાં આવશે. સિંગાપોર એરલાઇન્સ દ્વારા એક રિલીઝમાં આ માહિતી આપવામાં આવી છે. ટાટા સન્સ અને સિંગાપોર એરલાઇન્સ વચ્ચે મર્જરની વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વિસ્તારા એરલાઇન્સ ટાટા સન્સ અને સિંગાપોર એરલાઇન્સ બંનેની માલિકીની છે, જેમાં સિંગાપોર એરલાઇન્સ બહુમતી ધરાવે છે. આ નવી વ્યવસ્થાનો અર્થ એ થશે કે હવે એર ઈન્ડિયા બ્રાન્ડ હેઠળ વધુ એરક્રાફ્ટ અને વધુ રૂટ હશે.
બીજી સૌથી મોટી એરલાઈન બની જશે
ટાટા સન્સ એર ઈન્ડિયા સાથે વિસ્તારાના મર્જર દ્વારા ઉડ્ડયન ક્ષેત્રમાં મોટું સામ્રાજ્ય સ્થાપિત કરવા માંગે છે. મર્જરના નિર્ણય બાદ એર ઈન્ડિયા દેશમાં એરક્રાફ્ટની સંખ્યા અને બજાર હિસ્સાની દ્રષ્ટિએ બીજી સૌથી મોટી એરલાઈન બની જશે.
એરલાઈન્સને એર ઈન્ડિયા બ્રાન્ડના નામથી જ ઓપરેટ કરશે
એર ઈન્ડિયાને ખરીદવાની રેસમાં ટાટા જૂથને વિજયી જાહેર કરવામાં આવ્યું હતું. જે બાદ જાન્યુઆરી 2022માં ટાટાએ ભારત સરકાર પાસેથી એર ઈન્ડિયાને હસ્તગત કરી હતી. એર ઈન્ડિયાના અધિગ્રહણ પહેલા, ટાટા પાસે વિસ્તારા અને એરએશિયા નામથી કાર્યરત બે એરલાઈન બ્રાન્ડ્સ પહેલેથી જ હતી. એર ઈન્ડિયાના અધિગ્રહણ બાદ ટાટાને એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ બ્રાન્ડ્સ પણ મળી. ટાટાએ કહ્યું છે કે તે એરએશિયાને સંપૂર્ણપણે ખરીદશે અને તેને ઓછી કિંમતના કેરિયર તરીકે એર ઈન્ડિયા એક્સપ્રેસ સાથે મર્જ કરશે. એટલે કે ટાટા તમામ એરલાઈન્સને એર ઈન્ડિયા બ્રાન્ડના નામથી જ ઓપરેટ કરશે.
લાંબા સમય ચાલતી હતી વિચારણા
ટાટા જૂથ લાંબા સમય પહેલા એર ઈન્ડિયા લિમિટેડ હેઠળ તેની ચાર એરલાઈન બ્રાન્ડના વિલીનીકરણની યોજના બનાવી રહ્યું હોવાના અહેવાલો હતા. તે જ મહિનામાં, ટાટા જૂથ તેની ત્રણ એરલાઇન્સ વિસ્તારા, એર એશિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસના એર ઇન્ડિયા સાથે મર્જર વિશે અનુમાન કરી રહ્યું હતું. તે જ સમયે, સિંગાપોર એરલાઇન્સે આ મહિને કહ્યું હતું કે તે આ મામલે ટાટા જૂથ સાથે વાતચીત કરી રહી છે.