હવે નહીં ચાલે રેસ્ટોરન્ટની મનમાની, સર્વિસ ચાર્જની વસૂલાત ન કરવા અંગે ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે સર્ક્યુલર
તાજેતરમાં કન્ઝ્યુમર અફેયર્સ મિનિસ્ટ્રીએ હોટલ અને રેસ્ટોરન્ટ્સ દ્વારા જબરદસ્તી વસૂલવામાં આવતા સર્વિસ ચાર્જને (service charge) ગેરકાયદેસર ગણાવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે આ અઠવાડિયે આ અંગે અપડેટેડ સર્ક્યુલર જાહેર કરવામાં આવી શકે છે.
જો તમે એવા લોકોમાંથી એક છો જેમને રેસ્ટોરન્ટમાં ખાવાનું પસંદ છે તો આ તમારા માટે રાહતના સમાચાર છે. સર્વિસ ચાર્જ (Service charges) અંગે ટૂંક સમયમાં પરિપત્ર જાહેર કરવામાં આવી શકે છે. આ પરિપત્ર મુજબ રેસ્ટોરન્ટ અને હોટલ ઉદ્યોગ મેનુમાં દર્શાવેલ કિંમત જ વસૂલી શકશે. મેનુમાં દર્શાવેલ કિંમત પછી કોઈપણ પ્રકારના ચાર્જની વસૂલાત શિક્ષાપાત્ર કરવામાં આવશે. જો કે મેનૂમાં શું ભાવ હશે તેમાં સરકાર હસ્તક્ષેપ કરશે નહીં. હાલમાં જ ગ્રાહક બાબતોના મંત્રાલયે રેસ્ટોરન્ટ દ્વારા સર્વિસ ચાર્જ લગાવવાને ગેરકાયદેસર ગણાવતા નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI)ને તાત્કાલિક અસરથી બિલમાં સર્વિસ ચાર્જ ઉમેરવાનું બંધ કરવા કહ્યું. તે સમયે સરકારે આ અંગે નવેસરથી પરિપત્ર લાવવાની વાત કરી હતી.
મંત્રાલયે કહ્યું હતું કે સર્વિસ ચાર્જ વસૂલવાને કારણે ગ્રાહકો પર ખરાબ અસર પડી રહી છે. આ દરમિયાન, હોટેલ ઉદ્યોગે શુક્રવારે કેટરિંગ બિલમાં સર્વિસ ચાર્જ લેવાનું બંધ કરવાની કાયદાકીય પ્રણાલીની જાહેરાતને કમનસીબ ગણાવીને કહ્યું કે તેનાથી ગ્રાહકોને સેવા આપતા સામાન્ય કર્મચારીઓના હિતોને નુકસાન થશે. NRAIના પ્રમુખ કબીર સૂરીએ કહ્યું કે આ મુદ્દે હજુ સુધી કોઈ કાયદો બનાવવામાં આવ્યો નથી, તેથી આ સંબંધમાં આવનારી જોગવાઈની રાહ જોવાઈ રહી છે.
સર્વિસ ચાર્જ કુલ બિલના લગભગ 10% હોય છે
સર્વિસ ચાર્જની વાત કરીએ તો રેસ્ટોરન્ટ કુલ બિલના લગભગ 10 ટકા સર્વિસ ચાર્જ તરીકે વસૂલે છે. આ કન્ઝ્યુમર અફેયર્સ મિનિસ્ટ્રી સચિવ રોહિત કુમાર સિંહે કહ્યું કે રેસ્ટોરન્ટ પોતાના મનથી સર્વિસ ચાર્જ ઉમેરે છે. નિયમો મુજબ તે વૈકલ્પિક હોવું જોઈએ. જ્યાં સુધી ગ્રાહક ઈચ્છે નહીં, રેસ્ટોરન્ટ દ્વારા બિલમાં સર્વિસ ચાર્જ ઉમેરી શકાય નહીં.
ફરજીયાત પણે સર્વિસ ચાર્જ વસૂલવો ખોટું
મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે રેસ્ટોરન્ટ દ્વારા સર્વિસ ચાર્જ બળજબરીથી વસૂલવામાં આવે છે. આ અંગે ગ્રાહકોને ખોટી માહિતી આપવામાં આવે છે. જ્યારે કોઈ ગ્રાહક આ ચાર્જ હટાવવાની વાત કરે છે, ત્યારે તેની સાથે અનેક પ્રસંગોએ ગેરવર્તણૂક પણ કરવામાં આવી છે. આ બાબત દૈનિક અને ક્ષણ – ક્ષણના કાર્યો સાથે સંબંધિત છે. આવી સ્થિતિમાં યોગ્ય નિયમ હોય તે જરૂરી છે. તાજેતરના નિર્ણયથી ગ્રાહકોને ફાયદો થશે.
2017માં જાહેર કરવામાં આવી હતી ગાઈડલાઈન્સ
એપ્રિલ 2017માં ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા આ સંબંધમાં એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી હતી. આ મુજબ જો કોઈ ગ્રાહક હોટલ અથવા રેસ્ટોરન્ટમાં આવે છે તો તેનો અર્થ એ નથી કે તે સર્વિસ ચાર્જ ચૂકવવા માટે તૈયાર છે. જો કોઈ ગ્રાહક રેસ્ટોરન્ટમાં આવે છે, તો તે મેનુ કાર્ડમાં દર્શાવેલ કિંમત ટેક્સ સાથે ચૂકવવા માટે બંધાયેલા છે. આ સિવાય તેની પાસેથી અન્ય કોઈ ચાર્જ વસૂલ કરી શકાય નહીં.