મારુતિ સુઝુકીનું પ્રોડક્શન 16 મે સુધી બંધ રહેશે, જાણો કેમ કંપનીએ લીધો નિર્ણય?
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએગયા મહિને ગુરુગ્રામ અને માનેસર પ્લાન્ટ 9 મે સુધી બંધ થવાની ઘોષણા કરી હતી .
દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકી ઇન્ડિયાએગયા મહિને ગુરુગ્રામ અને માનેસર પ્લાન્ટ 9 મે સુધી બંધ થવાની ઘોષણા કરી હતી . કંપનીની જાહેરાત બાદ ગુજરાત સ્થિત સુઝુકીના પ્લાન્ટમાં પ્રોડક્શન બંધ કરાયું હતું. કંપનીએ ઉત્પાદન બંધ કરી મેન્ટેનન્સનું કામ શરૂ કરાવ્યું હતું. હવે કંપનીએ તેના પ્લાન્ટમાં પ્રોડક્શન 9 મેની જગ્યાએ 16 મે સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે. કંપનીનું કહેવું છે કે તેને દેશભરમાં કારખાનાઓમાં મરામત અને જાળવણી માટે પ્રોડક્શન 16 મે સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે.
કંપનીને મેન્ટેનન્સ માટે પ્લાન્ટ જૂનમાં બંધ કરવાના હતા પરંતુ મેં મહિનામાં ૧ થી ૯ તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. મારુતિ સુઝુકીએ શેર બજારને માહિતી આપી હતી કે મેન્ટેનન્સ માટે 9 મે 2021 સુધી પ્લાન્ટ બંધ રાખવાનો હતો જોકે હાલની રોગચાળાની સ્થિતિ અને મેન્ટેનન્સને ધ્યાનમાં રાખીને 16 મે સુધી લંબાવવામાં આવ્યો છે. કંપનીએ કહ્યું હતું કે હરિયાણાના ગુડગાંવ અને માનેસર ખાતેના તેના પ્લાન્ટ્સ પર કેટલીક પ્રવૃત્તિઓ ચાલુ રહેશે. સુઝુકી મોટર ગુજરાતે પણ આ જ નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે કંપનીઓ સતત તેમનું ઉત્પાદન બંધ કરી રહી છે. તાજેતરમાં હોન્ડા અને મહિન્દ્રા જેવી કંપનીઓએ પણ તેનું ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત આ ઓટોમેકર્સ લોકોની મદદ માટે પણ સતત આગળ આવી રહ્યા છે.
વાહન નિર્માતા કંપની હ્યુન્ડાઇએ તાજેતરમાં જાહેરાત કરી છે કે તે હોસ્પિટલોને ઓક્સિજન પ્લાન્ટ લગાવવામાં મદદ કરશે. દક્ષિણ કોરિયન ઓટોમેકરે જાહેરાત કરી છે કે તે તેના હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા ફાઉન્ડેશન (HMIF) દ્વારા 20 કરોડ રૂપિયાની કોવિડ -19 રાહત પેકેજમાં મદદ કરશે. આ સિવાય મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા પણ લોકોની મદદ માટે સતત આગળ આવી રહી છે. તાજેતરમાં કંપનીએ ઓક્સિજન ઓન વ્હીલ્સ અભિયાન શરૂ કર્યું છે જેની મદદથી તે જરૂરીયાતમંદો અને હોસ્પિટલોમાં ઓક્સિજન પહોંચાડે છે.