વડાપ્રધાન મોદીએ મોટી કંપનીઓના CEO સાથે કરી બેઠક, આગામી વર્ષના બજેટ પર માંગ્યા સૂચનો
વડાપ્રધાને ગયા અઠવાડિયે પણ ઈક્વિટી અને વેન્ચર કેપિટલના રોકાણકારોની સાથે એક બેઠક કરી હતી, જેમાં ભારતને રોકાણ માટે વધુ આકર્ષક બનાવવા અંગે ચર્ચા કરી હતી.
વડાપ્રધાન મોદી (PM Modi)એ સોમવારે અલગ અલગ ક્ષેત્રોની ટોપ કંપનીઓના સીઈઓ સાથે મુલાકાત કરી અને આગામી વર્ષના બજેટ (Budget) વિશે તેમની પાસે સૂચનો માંગ્યા હતા. વડાપ્રધાને બેન્ક, ઈન્ફ્રાસ્ટક્ચર, ઓટો, ટેલીકોમ, કન્ઝયુમર પ્રોડક્ટ, કપડા, રિન્યુએબલ એનર્જી, હોટલ, સ્વાસ્થ્ય, ઈલેક્ટ્રોનિક્સ અને અંતરીક્ષ ક્ષેત્રોથી જોડાયેલી મોટી કંપનીઓના સીઈઓ સાથે આર્થિક ગતિવિધિઓ વિશે ચર્ચા કરી.
અધિકૃત સુત્રોએ જણાવ્યું કે કંપનીઓના સીઈઓ સાથે વડાપ્રધાનની બેઠક બજેટની પૂર્વ તૈયારીઓનો એક ભાગ છે. વડાપ્રધાન બજેટ અંગે ખાનગી ક્ષેત્રના સૂચનો મેળવવા કંપનીઓના પ્રતિનિધિઓ સાથે સતત વાત કરી રહ્યા છે. વડાપ્રધાને ગયા અઠવાડિયે પણ ઈક્વિટી અને વેન્ચર કેપિટલના રોકાણકારોની સાથે એક બેઠક કરી હતી, જેમાં ભારતને રોકાણ માટે વધુ આકર્ષક બનાવવા અંગે ચર્ચા કરી હતી.
આર્થિક સુધારાઓ માટે મહત્વની બેઠક
નાણાકીય વર્ષ 2022-23 માટે સામાન્ય બજેટ 1 ફેબ્રુઆરી 2022એ સંસદમાં રજૂ કરવામાં આવશે. વર્ષ 2014માં સત્તામાં આવ્યા બાદ જ મોદી સરકારે ઘણા આર્થિક સુધારા લાગુ કર્યા છે. હાલમાં તેનો ભાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા પર છે. બજેટ પહેલા નાણા મંત્રી પણ ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરે છે અને તેમની સલાહ પણ લે છે. તેમની સલાહ પણ બજેટમાં સામેલ કરવાના નિયમ છે. સરકાર તેમના સૂચનોને ધ્યાનમાં લઈને આ દિશામાં પગલાં ભરે છે.
બજેટની દિશા માટે સૂચનો જરૂરી
બજેટ પહેલા ખાનગી કંપનીઓના પ્રમુખો સાથે વડાપ્રધાન મોદીની આ મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે. વડાપ્રધાન પોતે બજેટ વિશે પ્રમુખો પાસેથી સલાહ લઈ રહ્યા છે અને તેમના સૂચનો માંગી રહ્યા છે. આ પહેલા પણ તેઓ વિવિધ વિસ્તારોના ઉદ્યોગોના પ્રતિનિધિઓ સાથે વાત કરી ચૂક્યા છે. દેશની અર્થવ્યવસ્થામાં ખાનગીક્ષેત્રની ભાગીદારી મહત્વપૂર્ણ છે, ખાસ કરીને રોજગાર અને ઉત્પાદન ક્ષેત્રમાં. તેથી વડાપ્રધાન બજેટ પહેલા ખાનગી કંપનીઓની સલાહ લઈ રહ્યા છે અને સૂચનો લઈ રહ્યા છે. આ બજેટની દિશાને મજબૂતી આપે છે.
શું હોય છે બજેટમાં
નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સંસદમાં બજેટ રજૂ કરશે. આ બજેટ આગામી નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ 2022થી શરૂ થતાં વર્ષ માટે હશે. તેમાં સરકાર આવક અને ખર્ચનો હિસાબ બતાવશે. બજેટમાં સામાન્ય લોકોથી જોડાયેલી ઘણા જાહેરાત કરવામાં આવી છે. પહેલા રેલવે બજેટ પણ આ બજેટનો ભાગ હતો પણ હવે તેને અલગ કરી દેવામાં આવ્યું છે. બજેટમાં જાણવા મળે છે કે શું મોંઘુ થયું અને શું સસ્તુ. ઉદ્યોગોને રાહત આપવા માટેની જાહેરાત થાય છે, સાથે જ લોકોને રાહત આપવા માટે ઈનકમ ટેક્સથી જોડાયેલી જાહેરાત કરવામાં આવે છે.
આર્થિક સુધારાઓ પર જોર
વડાપ્રધાન મોદીની આગેવાનીમાં વર્ષ 2014માં કેન્દ્રમાં એનડીએની સરકાર બની. તે વર્ષથી આ સરકારે ઘણા સુધારાઓને આગળ વધારવા પર જોર આપ્યું છે. દર વર્ષના બજેટમાં તેના વિશે જાણવા મળે છે. સરકારનો દાવો છે કે આર્થિક સુધારાના કારણે ભારત આજે વિશ્વમાં વેપાર કરવાની સરળતા ધરાવતા દેશોમાં સામેલ થવામાં સફળ થયું છે. તેને અંગ્રેજીમાં ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ કહે છે.
વૈશ્ચિક સ્તર પર દર વર્ષે તેની રેન્કિંગ જાહેર થાય છે. તેમાં ભારતનું સ્થાન પહેલાથી સુધર્યુ છે. બજેટમાં એ પ્રકારની જોગવાઈ લાવવામાં આવે છે જેનાથી સ્થાનિક કંપનીઓ અથવા વિદેશી કંપનીઓને પણ ભારતમાં ધંધો કરવામાં મદદ મળે. આ તમામ બાબતો માટે કંપનીઓના વડાઓની સલાહ લેવામાં આવે છે.
આ પણ વાંચો: કમલમ પર ઘર્ષણ મુદ્દે આપના નેતાઓ વિરુદ્ધ ભાજપના મહિલા કાર્યકરે કરી નામજોગ ફરિયાદ