આ સરકારી સ્કીમમાં 10 વર્ષ 4 મહિનામાં બમણા થઈ જશે તમારા પૈસા, 1000 રૂપિયાથી શરૂ કરો રોકાણ
આ નાની બચત યોજનામાં (small saving scheme) વ્યક્તિએ ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ સ્કીમમાં રૂ. 100ના ગુણાંકમાં રોકાણ કરી શકાય છે. આ યોજનામાં કોઈ મહત્તમ રોકાણ મર્યાદા નથી. આ યોજના હેઠળ ગમે તેટલા ખાતા ખોલાવી શકાય છે.
જો તમે આવનારા દિવસોમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો તમે પોસ્ટ ઓફિસની બચત યોજનાઓમાં (Saving Schemes) રોકાણ કરી શકો છો. આ યોજનાઓમાં તમને ચોક્કસપણે સારું વળતર તો મળે જ છે. સાથે જ તેમાં રોકાણ કરવામાં આવેલા (Investment) પૈસા પણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. જો બેંક ડિફોલ્ટ થાય છે, તો તમને માત્ર પાંચ લાખ રૂપિયાની રકમ જ પાછી મળે છે. પરંતુ પોસ્ટ ઓફિસમાં આવું નથી. આ સિવાય પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમમાં ખૂબ જ ઓછી રકમથી રોકાણ શરૂ કરી શકાય છે. કિસાન વિકાસ પત્ર (KVP) પણ પોસ્ટ ઓફિસની નાની બચત યોજનાઓમાં સામેલ છે. ચાલો આ યોજના વિશે વિગતવાર જાણીએ.
વ્યાજ દર
હાલમાં, પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજનામાં વાર્ષિક 6.9 ટકા વ્યાજ દર હાજર છે. આ વ્યાજ 1લી એપ્રિલ 2020થી લાગુ છે. આ સ્કીમમાં, તમારા પૈસા 124 મહિનામાં એટલે કે 10 વર્ષ અને 4 મહિનામાં બમણા થઈ જશે.
રોકાણની રકમ
આ નાની બચત યોજનામાં વ્યક્તિએ ઓછામાં ઓછા 1000 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ સ્કીમમાં રૂ. 100ના ગુણાંકમાં રોકાણ કરી શકાય છે. આ યોજનામાં કોઈ મહત્તમ રોકાણ મર્યાદા નથી. આ યોજના હેઠળ ગમે તેટલા ખાતા ખોલાવી શકાય છે.
ખાતું કોણ ખોલાવી શકે?
પોસ્ટ ઓફિસની આ યોજનામાં, એક પુખ્ત અથવા ત્રણ પુખ્ત વ્યક્તિઓ એકસાથે સંયુક્ત ખાતું ખોલાવી શકે છે. આ ઉપરાંત, આ યોજનામાં સગીર અથવા માનસિક અસ્થિર વ્યક્તિ વતી વાલી પણ ખાતું ખોલાવી શકે છે. આ યોજના હેઠળ, 10 વર્ષથી વધુ ઉંમરના સગીર પોતાના નામે પણ ખાતું ખોલાવી શકે છે.
મેચ્યોરિટી
કિસાન વિકાસ પત્ર યોજનામાં જમા રકમ નાણા મંત્રાલય દ્વારા સમયાંતરે નિર્ધારિત પાકતી મુદત પર પરિપક્વ થશે. પાકતી મુદત જમા કરાવવાની તારીખથી લાગુ થશે.
પાકતી મુદત પહેલા ખાતું બંધ કરવાનું થાય તો ?
કિસાન વિકાસ પત્ર ચોક્કસ સંજોગોમાં પાકતી મુદત પહેલા કોઈપણ સમયે બંધ થઈ શકે છે. આ યોજનામાં, એક ખાતાધારકના મૃત્યુ પર અથવા સંયુક્ત ખાતામાં તમામ ખાતાધારકોના મૃત્યુ પર ખાતું બંધ કરી શકાય છે. આ સિવાય કોર્ટના આદેશ પર અથવા જમા કરાવવાની તારીખથી બે વર્ષ અને છ મહિના પછી પણ ખાતું બંધ કરી શકાય છે.
એકાઉન્ટને ટ્રાન્સફર કરવા માટે
કિસાન વિકાસ પત્ર અમુક શરતો પર એક વ્યક્તિથી બીજામાં ટ્રાન્સફર કરી શકાય છે. તે ખાતાધારકના મૃત્યુ પર નોમિની અથવા કાનૂની વારસદારોને ટ્રાન્સફર કરી શકાય છે. આ સિવાય ખાતાધારકના મૃત્યુ પર તેને સંયુક્ત ધારકને ટ્રાન્સફર કરી શકાય છે. કોર્ટના આદેશ પર અથવા નિયત સત્તાધિકારી પાસે ખાતું ગીરવે પણ મૂકી શકાય છે.