સરકારે હજુ સુધી એર ઈન્ડિયા અંગે કોઈ નિર્ણય લીધો નથી: પિયુષ ગોયલ
અગાઉ, ડીઆઈપીએએમ સચિવે ટ્વીટ કર્યું હતું કે મીડિયા અહેવાલ ખોટો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ટાટા ગ્રુપની એર ઈન્ડિયા માટેની બિડ મંજૂર થઈ ગઈ છે.
એર ઈન્ડિયા (Air India) માટે નાણાકીય બિડિંગ પૂર્ણ થઈ ગઈ છે. જોકે હજુ સુધી નામની જાહેરાત કરવામાં આવી નથી. દરમિયાન, ઘણા મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ટાટા સન્સની બિડને મંજૂરી આપવામાં આવી છે.
ટાટા સન્સે એર ઈન્ડિયા માટે લઘુત્તમ અનામત કિંમત કરતાં 3000 કરોડની વધારે બોલી લગાવી છે. વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે આ અહેવાલને ફગાવી દીધો છે. તેમણે કહ્યું કે સરકારે હજુ સુધી એર ઈન્ડિયા અંગે કોઈ નિર્ણય લીધો નથી.
અગાઉ એક ટ્વીટમાં દીપમ સચિવે મીડિયા રિપોર્ટને ખોટો ઠેરવ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ટાટા ગ્રુપની એર ઈન્ડિયા માટેની બિડ મંજૂર થઈ ગઈ છે. પિયુષ ગોયલે આ મુદ્દે જણાવ્યું હતું કે એરલાઈનના સંપાદન માટે અંતિમ વિજેતાની પસંદગી નિર્ધારિત પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે.
તેમણે કહ્યું “હું એક દિવસ પહેલા દુબઈમાં છું અને મને નથી લાગતું કે આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો છે. અલબત્ત બિડ મંગાવવામાં આવ્યા હતા અને આનું મૂલ્યાંકન સત્તાવાળાઓ દ્વારા અને યોગ્ય સમયે કરવામાં આવે છે. આ માટે એક સંપૂર્ણ નિર્ધારિત પ્રક્રિયા છે, જેના દ્વારા અંતિમ વિજેતા પસંદ કરવામાં આવશે.
પહેલા દીપમ સચિવે પણ આ અહેવાલને નકાર્યો હતો
તેઓ મીડિયા અહેવાલો પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા કે ટાટા દેવાગ્રસ્ત એર ઈન્ડિયાના સંપાદન માટે ટોચના બિડર તરીકે ઉભરી આવ્યા છે. શુક્રવારે એક ટ્વીટમાં સરકાર વતી ખાનગીકરણ સંભાળનાર રોકાણ અને જાહેર સંપત્તિ વ્યવસ્થાપન વિભાગ (DIPAM)ના સચિવ તુહીનકાંત પાંડેએ જણાવ્યું હતું કે કેન્દ્રએ હજુ સુધી એર ઈન્ડિયા માટે કોઈ નાણાકીય બિડ મંજૂર કરી નથી. તેમણે ટ્વીટ કર્યું હતું કે એર ઈન્ડિયાના વિનિવેશના કિસ્સામાં ભારત સરકારે નાણાકીય બિડ મંજૂર કર્યા છે તેવા મીડિયા અહેવાલ ખોટા છે. સરકારના નિર્ણય વિશે મીડિયાને જાણ કરવામાં આવશે.
યુએઈ સાથે જ્વેલરી, ફાર્મા બિઝનેસમાં વિશાળ તકો
યુએઈ સાથે પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર (FTA) વિશે પૂછતાં તેમણે કહ્યું કે ભારતીય ઉદ્યોગપતિઓ માટે કાપડ, રત્ન અને ઘરેણાં, ફાર્મા અને હેલ્થકેર જેવા ક્ષેત્રોમાં વિશાળ તકો છે. તેમણે કહ્યું કે માલ અને સેવા બંને ક્ષેત્રોમાં જબરદસ્ત સંભાવના છે. રોકાણ અંગે તેમણે કહ્યું કે “આપણે ભારતીય ઉદ્યોગોને યુએઈ સાથે જોડાવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ .”