હવે આ બેંકની FD પર મળશે વધુ રિટર્ન, જાણો રોકાણ ઉપર કેટલું વધુ મળશે વ્યાજ
પંજાબ નેશનલ બેંકના જણાવ્યા અનુસાર 2 કરોડ રૂપિયાથી ઓછી ડિપોઝિટ માટે અલગ-અલગ મુદતના FD રેટ્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર એક વર્ષ સુધીની પાકતી મુદતવાળી એફડીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
રિઝર્વ બેંક(RBI) દ્વારા દરમાં વધારા સાથે ફિક્સ્ડ ડિપોઝિટ(FD Rates)ના દરો પહેલા કરતા વધુ આકર્ષક બની રહ્યા છે. બેંકો અને નાણાકીય સંસ્થાઓ તેમની થાપણો પરના દરોમાં સતત વધારો કરી રહી છે. હવે આ શ્રેણીમાં પંજાબ નેશનલ બેંક(Punjab National Bank)નું નામ પણ સામેલ થઈ ગયું છે. PNBએ તેની ફિક્સ ડિપોઝિટ પરના દરો વધારવાની જાહેરાત કરી છે. નવા દરો 20 જુલાઈથી લાગુ થઈ ગયા છે. અગાઉ કેનેરા બેંકે પણ તેની એફડીના દરમાં વધારો કર્યો હતો. RBIએ દરમાં વધારો કર્યા બાદ ICICI બેંક, બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેંક, HDFC બેંકે પણ FDના દરમાં વધારો કર્યો છે.
PNB ના FD રેટમાં કેટલો વધારો થયો?
પંજાબ નેશનલ બેંકના જણાવ્યા અનુસાર 2 કરોડ રૂપિયાથી ઓછી ડિપોઝિટ માટે અલગ-અલગ મુદતના FD રેટ્સમાં ફેરફાર કરવામાં આવ્યો છે. બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર એક વર્ષ સુધીની પાકતી મુદતવાળી એફડીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આમાં અલગ-અલગ સમયગાળા માટે 3 થી 4 ટકા વ્યાજ મળતું રહેશે. એક વર્ષથી બે વર્ષની વચ્ચેની FD માટેના દરમાં 15 બેસિસ પોઈન્ટનો વધારો કરીને 5.45 ટકા કરવામાં આવ્યો છે. બે વર્ષથી ત્રણ વર્ષની મેચ્યોરિટીવાળી FD માટે વ્યાજ દર 5.5 ટકા પર સ્થિર રાખવામાં આવ્યા છે. 3 વર્ષથી વધુ અને 5 વર્ષથી ઓછી પરિપક્વતાવાળી FD 5.5 ટકાથી વધારીને 5.75 ટકા કરવામાં આવી છે. 5 વર્ષથી 10 વર્ષની મુદતવાળી એફડીમાં 5.6 ટકા વ્યાજ ચાલુ રહેશે.
અને કઈ બેંકના FDના દરો વધ્યા
ICICI બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછીની ફિક્સ્ડ ડિપોઝિટ પરના દરમાં વધારો કર્યો હતો. હાલમાં બેંક 2.5 ટકાથી 5.45 ટકા સુધી વ્યાજ દર ઓફર કરી રહી છે. બીજી તરફ કેનેરા બેંક સામાન્ય નાગરિકો માટે 2.9 ટકાથી 5.75 ટકા અને વરિષ્ઠ નાગરિકો માટે વાર્ષિક 2.9 ટકાથી 6.25 ટકા સુધીનું વ્યાજ ઓફર કરે છે. બેંક ઓફ ઇન્ડિયાએ પણ તેની એફડી પરના દરમાં વધારો કર્યો છે. બેંક હવે વિવિધ એફડી પર 2.85 ટકાથી 5.35 ટકા સુધીનું વ્યાજ ઓફર કરી રહી છે.
ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ પર ટેક્સ લાગે છે
એક નાણાકીય વર્ષમાં જો બેંકની FD પર મળતું વ્યાજ 40 હજાર રૂપિયાથી ઓછું હોય તો ગ્રાહકોને તેના પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં પરંતુ જો આ રકમ તેનાથી વધુ હોય તો તેના પર 10 ટકા TDS કાપવામાં આવે છે. વરિષ્ઠ નાગરિકો માટે આ મર્યાદા 50,000 રૂપિયા છે.