નેશનલ હાઈવેના ઢાબા પર ખુલશે પેટ્રોલ પંપ, મળશે આ ખાસ સુવિધા
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ તેમના અધિકારીઓને સૂચન કર્યું કે મંત્રાલય નાના ઢાબા માલિકો માટે 5-10 વાહનો પાર્ક કરવા માટેની જગ્યાની સાથે પેટ્રોલ પંપ ખોલવા અને સામાન્ય જનતા માટેના શૌચાલય જાળવી રાખવાના પ્રસ્તાવ પર કામ કરી શકે છે.
નેશનલ હાઈવે પર બનેલા નાના ઢાબા પર ખાવાની સાથે પેટ્રોલ અને ડીઝલ ભરવાની સુવિધા પણ ઉપલબ્ધ થશે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ (Nitin Gadkari) કહ્યું કે તેમણે તેમના મંત્રાલયના અધિકારીઓને નાના ઢાબા માલિકોને નેશનલ હાઈવે પર પેટ્રોલ પંપ (Petrol Pump) અને શૌચાલય બનાવવાની મંજૂરી આપવાના પ્રસ્તાવ પર કામ કરવા કહ્યું છે.
એક કાર્યક્રમમાં બોલતા મંત્રીએ કહ્યું કે કોઈએ તેમને એસએમએસ મોકલ્યો હતો જેમાં તેમણે લખ્યું હતું કે તેઓ મુસાફરી કરી રહ્યા હતા અને 200-300 કિલોમીટરના રસ્તામાં એક પણ શૌચાલય નથી.
ઢાબા પર પેટ્રોલ પંપ ખુલશે
ગડકરીએ જણાવ્યું હતું કે લોકો રસ્તાની બાજુની જમીનો પર અતિક્રમણ કરી રહ્યા છે, ઢાબા ખોલી રહ્યા છે જે ઉપદ્રવ પેદા કરે છે કારણકે ટ્રક ડ્રાઈવરો તેમના ટ્રકને રસ્તા પર પાર્ક કરે છે. ત્યારબાદ તેમણે તેમના અધિકારીઓને સૂચન કર્યું કે મંત્રાલય નાના ઢાબા માલિકો માટે 5-10 વાહનો પાર્ક કરવા માટેની જગ્યાની સાથે પેટ્રોલ પંપ ખોલવા અને સામાન્ય જનતા માટેના શૌચાલય જાળવી રાખવાના પ્રસ્તાવ પર કામ કરી શકે છે.
તેમણે કહ્યું કે મેં અધિકારીઓને કહ્યું કે જે રીતે એનએચએઆઈ (NHAI) પેટ્રોલ પંપ માટે NOC આપે છે, તે રીતે આપણે પણ નાના ઢાબા માલિકોને હાઈવેના કિનારે પેટ્રોલ પંપ અને શૌચાલય બનાવવા માટે અધિકૃત મંજૂરી આપવાનું વિચારવું જોઈએ.
જમીન સંપાદન વળતરની રકમમાં વધારો થયો
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે તેમના મંત્રાલય દ્વારા થતી પ્રગતિ પર સતત દેખરેખ રાખવાને કારણે રસ્તાઓના નિર્માણ માટે જમીન સંપાદનની પ્રક્રિયામાં નોંધપાત્ર ઝડપ આવી છે. તેમણે કહ્યું કે તેમણે રસ્તાના નિર્માણ માટે જમીન સંપાદન માટે વળતરની રકમમાં પણ વધારો કર્યો છે.
ગડકરીએ ગ્રીન હાઈડ્રોજનની હિમાયત કરી તેમજ તેલની આયાત ઘટાડવાનું કહ્યું
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પરિવહન બળતણ તરીકે ગ્રીન હાઈડ્રોજનની હિમાયત કરતી વખતે આયાત પર નિર્ભરતા ઘટાડવા પર ભાર મૂક્યો છે. ગડકરીએ કહ્યું કે ભારતને એવો દેશ બનાવવાની જરૂર છે જે પેટ્રોલ અને ડીઝલની આયાત પર નિર્ભર ન હોય. તેમણે આક્રોશ વ્યક્ત કર્યો હતો કે ઘણા દેશો પેટ્રોલ અને ડીઝલના વેચાણના નાણાંનો ઉપયોગ આતંકવાદને નાણાં આપવા માટે કરી રહ્યા છે.
મંત્રીએ કહ્યું કે, ગ્રીન હાઈડ્રોજન પેટ્રોલ અને ડીઝલ કરતા વધુ સારું છે. ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં મોટો બદલાવ આવી રહ્યો છે. તેમણે કહ્યું કે અમે ભારતને એવો દેશ બનાવવા માંગીએ છીએ જે પેટ્રોલ અને ડીઝલની આયાત પર નિર્ભર ન હોય, તેમજ ઈંધણની નિકાસ કરે.
આ પણ વાંચો : વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે રચ્યો ઈતિહાસ, એક દિવસમાં 2,71,50,00,00,000 રૂપિયાની અધધધ કમાણી