MONEY9: કોમોડિટી માર્કેટ કેમ તૂટ્યું? શું ભયાનક મંદી આવવાની છે?
આંતરરાષ્ટ્રીય કોમોડિટી માર્કેટમાં પાંચમી જુલાઈએ આવેલી ઓચિંતી વેચવાલી ભયાનક મંદીનો સંકેત આપી રહી છે. ક્રૂડ ઓઈલ, કોપર, નિકલ, એલ્યુમિનિયમ, સ્ટીલ, પામ ઓઈલ, ગોલ્ડ, સિલ્વર સહિતની કોમોડિટીના ભાવમાં ઓચિંતા ગાબડાં પડવા લાગ્યા છે.
MONEY9: રશિયા-યુક્રેન યુદ્ધ પછી કૂદકે ને ભૂસકે વધી રહેલો ક્રૂડ ઓઈલનો ભાવ પાંચમી જુલાઈએ અચાનક 9 ટકા ઘટી ગયો. મલેશિયામાં પામ ઓઈલ સસ્તું થઈ ગયું. કૉપર, સ્ટીલ અને નિકલ જેવા ઈન્ડસ્ટ્રીયલ મેટલ્સના ભાવ પણ ઓચિંતા ઘટવા લાગ્યા. એટલે કે, છેલ્લાં ચાર મહિનામાં ભારતીય અર્થવ્યવસ્થા સામે જે પડકારો પેદા થયા હતા, તેના પર પડદો પડવાની શરૂઆત થઈ ગઈ અને મોંઘવારીનો ડર ઓછો થવાની શક્યતા દેખાવા લાગી. ચર્ચા થવા લાગી કે, શું ડરામણા દિવસો સમાપ્ત થઈ જશે? અને માગ ફરી વધવા લાગશે? તો જવાબ છે, ના, આવી શક્યતા હાલ તો દેખાતી નથી.
મંદી આવી રહી છે?
જુલાઈના પ્રથમ સપ્તાહમાં વિશ્વનાં કોમોડિટી માર્કેટમાં આવેલી ઓચિંતી વેચવાલીને નિષ્ણાતો ભયાનક મંદીનો સંકેત ગણાવી રહ્યાં છે. જો દુનિયાના અર્થતંત્રોમાં મંદીનો પગપેસારો થશે તો અનેક દેશો દેવાળું ફૂંકી શકે છે. 2008માં આપણે આવી મંદીનું ટ્રેલર જોઈ ચૂક્યા છીએ અને 2008 જેવી પરિસ્થિતિને કારણે જ કોમોડિટી બજારમાં મંદીનો ડર ઘૂસી ગયો છે. 2008માં પણ સોના-ચાંદી અને ક્રૂડ ઓઈલના ભાવ રેકોર્ડ લેવલે હતા અને પછી મોટાં ગાબડાં પડ્યાં હતા.
ક્રૂ઼ડ પહોંચ્યું $100ની અંદર
આવી બીકને કારણે જ, પાંચમી જુલાઈએ ક્રૂડનો ભાવ લગભગ 10 ડૉલર ઘટી ગયો. ગોલ્ડ પણ 50 ડોલર કરતાં વધુ તૂટ્યું અને સિલ્વરનો ભાવ લગભગ 6 ટકા ઘટ્યો. કૉપર, એલ્યુમિનિયમ અને ઝિંકના ભાવમાં પણ જબરજસ્ત વેચવાલી નોંધાઈ. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઘઉં, પામ ઓઈલ, કપાસ તથા સોયાબીનના ભાવમાં ઘટાડો થયો. બજારને બીક છે કે, જો મંદી આવશે તો કોમોડિટીની માગ પર ગંભીર અસર પડશે. આથી, નિષ્ણાતો કોમોડિટીના ભાવમાં થયેલા આ ઘટાડાને મંદીના સંકેત તરીકે જોઈ રહ્યાં છે.
નિષ્ણાતનો અભિપ્રાય
કેડિયા એડવાઈઝરીના ડિરેક્ટર અજય કેડિયાનું માનવું છે કે, કોમોડિટીની કિંમતમાં તો સામાન્ય સ્થિતિમાં પણ ચઢ-ઊતર થતી રહે છે, પરંતુ જ્યારે અર્થવ્યવસ્થા પર મંદીના વાદળો ઘેરાયા હોય ત્યારે તમામ કોમોડિટીના ભાવમાં એક સાથે અસ્થાયી ઘટાડો જોવા મળે છે. 2008માં આપણે આ અનુભવ કરી ચૂક્યા છીએ અને અત્યારે પણ આવો અનુભવ થઈ રહ્યો છે.
મંદી અને મોંઘવારી
બેકાબૂ બનેલી મોંઘવારીને કાબૂમાં લેવા માટે દુનિયાભરની મધ્યસ્થ બેન્કો વ્યાજદર વધારવા લાગી છે. તેમને પણ ખબર છે કે, ઋણ મોંઘું થશે એટલે માગ ઘટી જશે અને જો ઋણ તથા માગ વચ્ચે તાલમેલ બગડશે તો અર્થતંત્રમાં મંદીનો માર્ગ મોકળો થતા વાર નહીં લાગે. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં મોંઘવારીને હરાવવા માટે કેન્દ્રીય બેન્કો માંગમાં ઘટાડો સહન કરવા પણ તૈયાર છે અને તેના માટે કેન્દ્રીય બેન્કો થોડાક મહિના માટે મંદીનો માર વેઠવા પણ તૈયાર થઈ છે. પરંતુ આવું કરવામાં કોઈ કચાશ રહી ગઈ અને તાલમેલ બગડ્યો તો, મોંઘવારીની જગ્યાએ મંદી મોટો પડકાર બની જશે. આવા સંજોગોમાં કોમોડિટીઝના ઘટતા ભાવ પણ કોઈ ટેકો નહીં આપી શકે.