આગામી નાણાંકીય વર્ષમાં કર્મચારીઓના પગારમાં વધારાના મળી રહ્યા છે સંકેત, જાણો કેટલો થશે લાભ
જો પરિસ્થિતિ બરાબર રહે અને ભારત કોવિડ -19 ના ત્રીજી લહેરનો સામનો કરવામાં સક્ષમ બને તો ભારતના કર્મચારીઓ આગામી નાણાકીય વર્ષમાં એપ્રિલ 2022 થી શરૂ થતાં 8 ટકા સુધી ઇન્ક્રીમેન્ટની અપેક્ષા રાખી શકે છે.
ભારતીય કર્મચારીઓને આગામી નાણાકીય વર્ષમાં તેમના પગારમાં સારા વધારાની અપેક્ષા છે. નિષ્ણાંતો અનુસાર કંપનીઓ COVID-19 ના સંક્રમણને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉનની અસરમાંથી બહાર આવે તેવી અપેક્ષા છે. કંપનીઓ કોરોના સંકટથી ખરાબરીતે પ્રભાવિત થઈ હતી. જેની અસર કર્મચારી ઉપર પણ પડી છે. એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર કંપનીઓ આગામી નાણાકીય વર્ષમાં તેમના કર્મચારીઓના પગારમાં વધારો કરી શકે છે.
એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં જે ક્ષેત્રોમાં પગારમાં વધારો કરવામાં આવી શકે છે તેમાં ઇ-કોમર્સ, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ફાર્માસ્યુટિકલ્સ અને નાણાકીય સેવાઓનો સમાવેશ થાય છે. જો કે એરોસ્પેસ, હોટેલ્સ અને હોસ્પિટાલિટી જેવા ક્ષેત્રોને રિકવર થવામાં થોડો સમય લાગશે.
જો પરિસ્થિતિ બરાબર રહે અને ભારત કોવિડ -19 ના ત્રીજી લહેરનો સામનો કરવામાં સક્ષમ બને તો ભારતના કર્મચારીઓ આગામી નાણાકીય વર્ષમાં એપ્રિલ 2022 થી શરૂ થતાં 8 ટકા સુધી ઇન્ક્રીમેન્ટની અપેક્ષા રાખી શકે છે. ભારતમાં ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ માટે આ એક સારા સમાચાર છે કારણ કે તેઓએ રોગચાળાને કારણે છટણી અથવા પગારમાં ઘટાડાનો સામનો કરવો પડયો હતો.
આ અગાઉ નાણાં મંત્રાલયે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે 1 જુલાઈથી DA વધારીને 28 ટકા કરવાના કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણયને અમલ કરવાનો આદેશ જારી કર્યો હતો. આ ઉપરાંત પેન્શનરો પણ જુલાઈથી તેમના DRમાં 28 ટકાનો વધારો મેળવશે.
કોરોના રોગચાળાના પ્રથમ તબક્કામાં વેપાર પર નોંધપાત્ર અસર પડી હતી અને લોકોના પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ અટક્યા હતા. જોકે આઇટી ક્ષેત્રના કર્મચારીઓનો પગાર હવે વધ્યો છે. આઇટી કંપની એક્સેન્ચર ઇન્ડિયા, ટીસીએસ, ટેક મહિન્દ્રા અને ઈન્ફોસીસે તેમના કર્મચારીઓના પગારમાં વધારો કર્યો છે.