રેલયાત્રીઓ કોવિડ માર્ગદર્શિકા અંગે જાણી લો આ મહત્વની વાત, નહીં તો થશે 500 રૂપિયાનો દંડ
Indian Railways: ભારતીય રેલવેએ (Indian Railways) કહ્યું કે મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે યાત્રાની શરૂઆત કરતા પહેલા વિવિધ રાજ્યો દ્વારા જાહેર કરવામાં આવેલી હેલ્થ એડવાઈઝરી ગાઈડલાઈન્સને વાંચો.
ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે મોટા સમાચાર છે. રેલવે મંત્રાલયે (Ministry of Railways) ગુરુવારે કોવિડ -19 (COVID-19) સંબંધિત માર્ગદર્શિકા 6 મહિના માટે અથવા આગામી નિર્દેશ સુધી લંબાવી છે. નોટિફીકેશનમાં કહેવામાં આવ્યું છે કે રેલવે પરિસર અને ટ્રેનોમાં માસ્ક ન પહેરવા બદલ 500 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
ભારતીય રેલવેએ કહ્યું કે મુસાફરોને વિનંતી છે કે મુસાફરી શરૂ કરતા પહેલા વિવિધ રાજ્યો દ્વારા જાહેર કરવામાં આવેલી હેલ્થ એડવાઈઝરી ગાઈડલાઈન્સને જરૂરથી વાંચો. આ જાહેરાત એવા સમયે કરવામાં આવી છે, જ્યારે દેશમાં 22,431 લોકો કોવિડ -19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે દેશમાં કોરોના વાઈરસ સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા વધીને 3,38,94,312 થઈ ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે જણાવ્યું હતું કે સક્રિય કેસ 2,44,198 પર આવી ગયા છે, જે 204 દિવસમાં સૌથી ઓછા છે.
સવારે 8 વાગ્યે અપડેટ કરાયેલા ડેટા અનુસાર 318 લોકોના મોત સાથે મૃત્યુઆંક વધીને 4,49,856 થયો છે. સતત 13 દિવસથી નવા કોરોના વાઈરસ સંક્રમણમાં દૈનિક વધારો 30,000થી નીચે રહ્યો છે.
Ministry of Railways has extended its #COVID19 guidelines for six months or till further instructions, "Not wearing masks on railway premises & in trains can attract a fine of up to Rs 500," the new order reads pic.twitter.com/uGQpT2SsXZ
— ANI (@ANI) October 7, 2021
તમને જણાવી દઈએ કે આજથી નવરાત્રી શરૂ થઈ ગઈ છે. તહેવારો દરમિયાન તેમના ઘરે જનારા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થાય છે. આવી સ્થિતિમાં રેલવે કોઈપણ પ્રકારની બેદરકારી દાખવવા માંગતી નથી, જેથી કોરોનાના કેસો વધે અને લોકો મુશ્કેલીમાં મૂકાઈ જાય.
રેલવે દ્વારા 17 એપ્રિલ 2021થી 500 રૂપિયાનો દંડ લાગુ કરવામાં આવ્યો હતો, જે 6 મહિના માટે હતો. આગામી 6 મહિના સુધી એટલે કે 16 એપ્રિલ 2022 સુધી લંબાવવામાં આવ્યો છે. આ સંદર્ભે રેલવે મંત્રાલયે તમામ ઝોનના જનરલ મેનેજરોને સૂચના આપી છે.
ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેર દરમિયાન ભયંકર પરિસ્થિતી સર્જાઈ હતી, ઘણા રાજ્યોમાં વિસ્તારોમાં ઓક્સિજનની અછત પણ સર્જાઈ હતી. કોરોનાના કેસ કુદકેને ભુસકે વધી રહ્યા હતા. હવે જ્યારે કોરોનાની બીજી લહેર ધીમી પડી રહી છે અને દેશ કોરોનામાંથી બહાર આવી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે સરકાર પણ કોઈ બેદરકારી દાખવવા માંગતી નથી.
કોરોનાની આગામી લહેર એટલે કે ત્રીજી લહેર વિશે નિષ્ણાંતો આગાહી કરી ચુક્યા છે. કોરોનાની લહેર સામે લડવા માટે ઝડપી રસીકરણ જ મહત્વનું હથિયાર છે. બીજી લહેર જેવી પરિસ્થિતી ન સર્જાય તે માટે વેક્સિનેશન પર સતત ભાર મુકી રહી છે. ત્યારે આ પરિસ્થિતીમાં ભારતીય રેલ્વે દ્વારા કોવિડ -19 માર્ગદર્શિકા વધારવાનો નિયમ આગામી લહેરને લઈને સાવચેતીના પગલા રૂપે લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો : ABSLAMC Allotment Status : આજે થઇ રહી છે શેરની ફાળવણી, આ રીતે જાણો તમને શેર મળ્યા કે નહિ ?