Air India ના નવા સીઇઓ ઈલ્કર આયજીની વિદેશી બેકગ્રાઉન્ડની તપાસ કરશે ગૃહ મંત્રાલય: સૂત્રો
થોડા દિવસો પહેલા, ટાટા ગ્રુપે એર ઈન્ડિયાના નવા મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે ટર્કિશ ઈલ્કર આયજીની નિમણૂકની જાહેરાત કરી હતી.
ગૃહ મંત્રાલય (Home Ministry) ટાટા ગ્રૂપ દ્વારા નિયંત્રિત એરલાઇન એર ઇન્ડિયાના નવા નિયુક્ત મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ ઇલ્કર આયજીના બેકગ્રાઉન્ડની તપાસ કરશે. સત્તાવાર સૂત્રોએ રવિવારે જણાવ્યું હતું કે સ્થાપિત પરંપરા મુજબ, ભારતમાં મહત્વપૂર્ણ પદો પર નિમણૂક પામેલા તમામ વિદેશી નાગરિકોની પૃષ્ઠભૂમિની તપાસ કરવામાં આવે છે અને આયજીના કિસ્સામાં પણ, આ પરંપરાનું નિષ્ઠાપૂર્વક પાલન કરવામાં આવશે. થોડા દિવસો પહેલા, ટાટા ગ્રુપે એર ઈન્ડિયાના નવા મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે ટર્કિશ ઈલ્કર આયજીની નિમણૂકની જાહેરાત કરી હતી.
ટાટાએ જાન્યુઆરીના અંતમાં સરકાર પાસેથી એરલાઈનનું નિયંત્રણ લઈ લીધું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગૃહ મંત્રાલયને હજુ સુધી ટાટા ગ્રૂપ અથવા નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી આયજીની નિમણૂક અંગે કોઈ માહિતી મળી નથી. આ માહિતી મળતાની સાથે જ સુરક્ષા તપાસની સમગ્ર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવશે. આયજી તુર્કીના નાગરિક હોવાથી, ગૃહ મંત્રાલય તેમના વિશે માહિતી એકત્ર કરવા માટે ભારતની વિદેશી ગુપ્તચર એજન્સી રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ની મદદ પણ લઈ શકે છે.
આયજી તુર્કીના વર્તમાન રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગનના સલાહકાર તરીકે પણ રહી ચૂક્યા છે. એર્દોગન 1994-98ના આ સમયગાળા દરમિયાન ઈસ્તાંબુલના મેયર હતા. આયજી એર ઈન્ડિયામાં જોડાતા પહેલા 2015 થી 2022 ની શરૂઆત સુધી ટર્કિશ એરલાઈન્સના ચેરમેન હતા. આ એરલાઇનની કાયાપલટ કરવાનો શ્રેય તેમને જાય છે.
ઇલકર આયજી એવિએશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે
તેમની નિમણૂક પર, ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને કહ્યું કે ઇલકર આયજી એવિએશન ઉદ્યોગમાં ખૂબ મોટું નામ છે. તે આ ઉદ્યોગના નેતા છે. તેમના નેતૃત્વમાં તુર્કી એરલાઈન્સે મોટી સફળતા હાંસલ કરી છે. અમે ટાટા ગ્રુપમાં તેમનું સ્વાગત કરીએ છીએ. તેમના નેતૃત્વમાં એર ઈન્ડિયાને નવી ઓળખ મળશે અને નવા યુગની શરૂઆત થશે.
એર ઈન્ડિયા અને એર એશિયા વચ્ચે કરાર
મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને એર ઈન્ડિયા અને એર એશિયા વચ્ચે તાજેતરમાં એક કરાર કરવામાં આવ્યો છે. આ કરાર હેઠળ, એર ઇન્ડિયાની ટિકિટ ખરીદનારા મુસાફરો એર એશિયાની ફ્લાઇટ્સમાં જઈ શકશે, તેવી જ રીતે જે લોકો એર એશિયાની ટિકિટ ખરીદે છે તેઓ એર ઇન્ડિયાના વિમાનમાં ઉડાન ભરી શકશે. બંને એરલાઇન્સ વચ્ચેના આ મહત્વપૂર્ણ અને મોટા કરારથી મુસાફરોને મોટી રાહત મળશે અને જો સેવાઓમાં કોઈ સમસ્યા આવશે તો તેઓ અન્ય એરલાઈન્સ કંપનીની ફ્લાઈટમાં મુસાફરી કરી શકશે.
આ પણ વાંચો : EPFO સંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમ લાવવા જઈ રહ્યું છે, જાણો કોને મળશે તેનો ફાયદો