Cryptocurrency પર ટેક્સ લાદવા માટે સરકાર ઈન્કમટેક્સ એક્ટમાં કરી શકે છે ફેરફાર, આગામી બજેટમાં જાહેરાત સંભવ
મહેસૂલ સચિવ તરુણ બજાજે જણાવ્યું હતું કે ક્રિપ્ટોકરન્સીથી થતી કમાણી પર ટેક્સ લગાવવા માટે સરકાર આગામી બજેટમાં આવકવેરા કાયદામાં કેટલાક ફેરફારો કરી શકે છે.
સરકાર ક્રિપ્ટોકરન્સીને (Cryptocurrency) ટેક્સ નેટ હેઠળ લાવવા માટે આવકવેરા કાયદામાં (income tax Act) ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે. આમાંના કેટલાક ફેરફારો આવતા વર્ષના બજેટનો ભાગ હોઈ શકે છે. મહેસૂલ સચિવ તરુણ બજાજે (Tarun Bajaj) જણાવ્યું હતું કે આવકવેરાના સંદર્ભમાં કેટલાક લોકો પહેલેથી જ ક્રિપ્ટોકરન્સીમાંથી આવક પર કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવી રહ્યા છે અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)ના સંદર્ભમાં કાયદો “ખૂબ જ સ્પષ્ટ” છે. તે દર અન્ય સેવાઓની જેમ જ લાગુ થશે.
બજાજે કહ્યું, “અમે નિર્ણય લઈશું. હું સમજું છું કે લોકો આના પર પહેલેથી જ ટેક્સ ચૂકવી રહ્યા છે. હવે જ્યારે તે ખરેખર ઘણું વધી ગયું છે તો અમે જોઈશું કે કાયદાની સ્થિતિમાં આપણે થોડો ફેરફાર લાવી શકીએ કે કેમ. પરંતુ તે બજેટ પ્રવૃત્તિ હશે. અમે પહેલેથી જ બજેટની નજીક છીએ, અમારે સમય જોવો પડશે.”
ટ્રેડિંગથી થતી આવક પર પણ ટેક્સ લાગી શકે છે
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું ક્રિપ્ટો ટ્રેડિંગ માટે સ્ત્રોત પર ટેક્સ કલેક્શનની જોગવાઈ દાખલ કરી શકાય છે, તો સેક્રેટરીએ કહ્યું “જો અમે નવો કાયદો લાવીશું તો અમે જોઈશું કે શું કરી શકાય છે. તેમણે કહ્યું, “પરંતુ હા, જો તમે પૈસા કમાવો છો તમારે ટેક્સ ચૂકવવો પડશે. અમારી પાસે પહેલેથી જ કેટલાક ટેક્સ છે, કેટલાકે તેને સંપત્તિ તરીકે ગણી છે અને તેના પર કેપિટલ ગેઇન ટેક્સ ચૂકવ્યો છે.’
ક્રિપ્ટો ટ્રેડીંગને લઈને GSTનો માર્ગ મોકળો
ક્રિપ્ટોકરન્સી ટ્રેડિંગ પરના GST દરો અંગે બજાજે જણાવ્યું હતું કે GSTનો વ્યાપ નોંધપાત્ર રીતે વિસ્તર્યો છે. ટ્રેડિંગ સંબંધિત તમામ સેવાઓ પર હાલમાં GST દરો નક્કી કરવામાં આવ્યા છે અને તે સંપૂર્ણપણે સ્પષ્ટ છે. આવી સ્થિતિમાં જો આપણે ક્રિપ્ટો ટ્રેડિંગ પર GST વિશે વાત કરીએ તો જો કોઈ વ્યક્તિ બ્રોકર તરીકે કામ કરે છે અને તે બ્રોકરેજ ચાર્જ કરે છે તો તે સેવા પર GST વસૂલવામાં આવશે.
સરકાર શિયાળુ સત્રમાં ક્રિપ્ટો કાયદો લાવી શકે છે
બજાજે કહ્યું કે સરકાર આ શિયાળુ સત્રમાં ક્રિપ્ટોકરન્સી પર કાયદો લાવી શકે છે. 29 નવેમ્બરથી શિયાળુ સત્ર શરૂ થઈ રહ્યું છે. તેમણે કહ્યું કે ક્રિપ્ટોકરન્સીનો પ્રચાર પ્રસાર ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. સ્ટાર્સ તેનો પ્રચાર કરી રહ્યા છે અને ઉચ્ચ વળતરની ખાતરી આપી રહ્યા છે. વિવિધ પ્લેટફોર્મ પર તેનો વ્યાપક પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આવી સ્થિતિમાં સરકારની ચિંતા વધી ગઈ છે.
ક્રિપ્ટોકરન્સી પર પીએમ મોદી પોતે રાખી રહ્યા છે નજર
હાલમાં ક્રિપ્ટોકરન્સી પર કોઈ નિયમન કે પ્રતિબંધ નથી. ગયા અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે ક્રિપ્ટોકરન્સીની સંભાવનાઓ પર વરિષ્ઠ અધિકારીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. એવું માનવામાં આવે છે કે સરકાર તેને નિયંત્રિત કરવા માટે નક્કર નિર્ણય લઈ શકે છે. તાજેતરમાં જયંત સિન્હાની અધ્યક્ષતામાં સંસદની નાણા પરની સ્થાયી સમિતિના ક્રિપ્ટો પ્રતિનિધિઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ મીટિંગમાં ક્રિપ્ટો પર પ્રતિબંધ ન મૂકવા પર સહમતિ બની હતી.
આ પણ વાંચો : હવે પાક વીમા યોજનામાં ઘણા ફેરફારો કરવાની જરૂર, મહારાષ્ટ્રના કૃષિ પ્રધાન દાદા ભૂસેનું નિવેદન