દેશમાં રસ્તાઓ સુરક્ષિત બનાવવા માટે સરકાર લાવશે નવી યોજના, 7,270 કરોડ રૂપિયાનો થશે ખર્ચ
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) દેશમાં માર્ગ સલામતીને મજબૂત કરવા માટે 7,270 કરોડ રૂપિયાની નવી યોજના લાવવા જઈ રહ્યું છે.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) દેશમાં માર્ગ સલામતીને મજબૂત કરવા માટે 7,270 કરોડ રૂપિયાની નવી યોજના લાવવા જઈ રહ્યું છે. આ રાજ્યો દ્વારા સમર્થિત કાર્યક્રમ હશે, જેનો હેતું ભારતીય માર્ગ પર અકસ્માતો દ્વારા થતા મૃત્યુનો આંકડો ઝીરો કરવા માટેનું વિઝન પ્રાપ્ત કરવાનો છે. આ કેન્દ્ર દ્વારા પ્રાયોજિત છ વર્ષનો કાર્યક્રમ હશે. તે 14 રાજ્યોમાં લાગુ કરવામાં આવશે, જે દેશમાં કુલ માર્ગ અકસ્માતમાં મૃત્યુમાં 85 ટકા ફાળો આપી રહ્યા છે.
સરકાર વર્લ્ડ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંક પાસેથી લેશે લોન
મંત્રાલય 3,635 કરોડ રૂપિયાનું બજેટ સપોર્ટ આપશે, જ્યારે વર્લ્ડ બેન્ક અને એશિયન ડેવલપમેન્ટ બેન્ક દરેક માંથી 1,818 કરોડ રૂપિયા લોન તરીકે લેવામાં આવશે. કુલ ખર્ચમાંથી 6,725 કરોડ રૂપિયા 14 રાજ્યોને તેમની કામગીરીના આધારે આપવામાં આવશે, જ્યારે 545 કરોડ રૂપિયા મંત્રાલય ક્ષમતા નિર્માણના કામો માટે વાપરશે.
આ યોજના હેઠળ રાજ્ય સરકારોને ગ્રાઉન્ડ લેવલ પર રોડ સેફ્ટી માટે કામ કરવા માટે ઈન્સેન્ટીવ આપવામાં આવશે. મંત્રાલયે રાજ્યોને મોકલેલી કોન્સેપ્ટ નોટમાં જણાવ્યું હતું કે તેનું મુખ્ય લક્ષ્ય માર્ગ અકસ્માતો અટકાવવાનું અને મૃત્યુ ઘટાડવાનું રહેશે.
આ રાજ્યોને યોજનામાં સામેલ કરવામાં આવશે
આ યોજના હેઠળ આવરી લેવાયેલા રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, કર્ણાટક, રાજસ્થાન, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, ગુજરાત, બિહાર, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, ઓડિશા, હરિયાણા અને આસામ છે. સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે આ એક આઉટપુટ અને પરિણામ આધારિત યોજના છે, જેમાં રાજ્યોની કામગીરીનું મૂલ્યાંકન 11 ફરજિયાત અને 3 વૈકલ્પિક સૂચકોના આધારે કરવામાં આવશે. મુખ્ય કામગીરીના સૂચકાંકોના આધારે જ રાજ્યોને ગ્રાન્ટ આપવામાં આવશે.
મંત્રાલય દ્વારા તૈયાર કરાયેલા પ્રારંભિક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મોટર વાહન સુધારો અધિનિયમ (2019) મૃત્યુ ઘટાડવાના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં મદદ માટે લાવવામાં આવ્યો હતો.
ભારતમાં વર્ષ 2019 માં 4.49 લાખ અકસ્માતોમાં 1.51 લાખ લોકોના મોત થયા છે. કુલ મૃત્યુમાંથી, 1,27,379 લોકો 14 સિલેક્ટ કરવામાં આવેલા રાજ્યોમાં મૃત્યુ પામ્યા છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન મૃત્યુની સંખ્યા સમાન રહી છે. 2020 માં, દેશભરમાં 1.32 લાખ મૃત્યુ નોંધાયા હતા. કોવિડ -19 ને કારણે લાદવામાં આવેલા લોકડાઉનને કારણે સંખ્યામાં ઘટાડો થયો હતો. નવી યોજના માર્ચ 2027 સુધીમાં મૃત્યુ દર 30 ટકા ઘટાડવાનું લક્ષ્ય ધરાવે છે.