સંકટના સમયમાં રાજ્યોને મળ્યો કેન્દ્રનો સાથ, સરકારે જાહેર કર્યું 40 હજાર કરોડનું ફંડ, જાણો ગુજરાતને કેટલું ફંડ મળ્યું
જીએસટીની આવકમાં ઘટાડાને કારણે કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 40 હજાર કરોડની લોન જાહેર કરી છે. અગાઉ 15 જુલાઈ, 2021ના રોજ સરકારે 75 હજાર કરોડનું ભંડોળ બહાર પાડ્યું હતું.
જીએસટી (GST)ની આવકમાં તંગીની ભરપાઈ માટે કેન્દ્રએ ગુરુવારે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 40,000 કરોડ રૂપિયા આપ્યા. આ સાથે ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં કુલ 1.15 લાખ કરોડ રૂપિયા લોનના સ્વરૂપમાં બહાર પાડવામાં આવ્યા છે.
સત્તાવાર કરવામાં આવેલી એક જાહેરાત મુજબ “નાણાં મંત્રાલયે જીએસટી વળતરની તંગીને પહોંચી વળવા માટે લોન સુવિધા હેઠળ રાજ્ય અને વિધાનસભાવાળા કેન્દ્રશાસિત પ્રદેશો માટે આજે 40,000 કરોડ રૂપિયા જાહેર કર્યા.
પ્રકાશિત કરાયેલી જાહેરાતમાં જણાવવામાં આવ્યું હતું કે અગાઉ 15 જુલાઈ, 2021ના રોજ રાજ્યો અને વિધાનસભા ધરાવતા કેન્દ્રશાસિત પ્રદેશો માટે 75,000 કરોડ રૂપિયાની રકમ જાહેર કરવામાં આવી હતી. વર્તમાન રકમ સાથે ચાલુ નાણાકીય વર્ષમાં GST વળતર સામે લોન તરીકે બહાર પાડવામાં આવેલી કુલ રકમ વધીને 1.15 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે.
ગુજરાત માટે 5 વર્ષ માટેના કાર્યકાળ માટે 1927.34 કરોડ અને 2 વર્ષના કાર્યકાળ માટે 1353.24 કરોડ રૂપિયાનું ફંડ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે કુલ 3280.58 કરોડનું કુલ ભંડોળ જાહેર કરવામાં આવ્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં કુલ અંદાજિત તંગીના 72 ટકાથી વધારેની રકમ આપવામાં આવી છે અને બાકીની રકમ યોગ્ય સમયે જાહેર કરવામાં આવશે.
✅ Government of India releases ₹40,000 crore to States/ UTs with Legislature in-lieu of GST compensation shortfall⁰✅ Total amount of ₹1,15,000 crore released in current year to meet GST compensation shortfall
Read more ➡️ https://t.co/Q0jDlj31AY pic.twitter.com/f5NnAtPfWa
— Ministry of Finance (@FinMinIndia) October 7, 2021
કેન્દ્ર દર બે મહિને રાજ્યોને GST વળતર ચૂકવે છે. તે કુલ સેસ સંગ્રહમાંથી બહાર પાડવામાં આવે છે, જ્યારે તાજેતરની રકમ તેનાથી અલગ હોય છે. જીએસટી કાઉન્સિલની 43મી બેઠકમાં કેન્દ્રએ નિર્ણય કર્યો હતો કે નાણાકીય વર્ષ 2021-22 માટે તે 1.59 લાખ કરોડ રૂપિયાની લોન લેશે અને તેને રાજ્યોમાં વહેંચશે. અગાઉ નાણાંકીય વર્ષ 2020-21માં પણ સરકારે રાજ્યો માટે 1.10 લાખ કરોડનું ભંડોળ જાહેર કર્યું હતું.
સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શનમાં વધારો જોવા મળ્યો છે
અહીં ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં (જીએસટી કલેક્શન) સરકારની કર આવક વધી છે. ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન 1.12 લાખ કરોડથી વધીને 1.17 લાખ કરોડ થયું છે. સરકારે જણાવ્યું હતું કે જીએસટી કલેક્શન ગત વર્ષ એટલે કે સપ્ટેમ્બર 2020ની સરખામણીમાં 23 ટકા વધીને 1,17,010 લાખ કરોડ રૂપિયા થયું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં પણ ગત વર્ષ એટલે કે સપ્ટેમ્બર 2020ની તુલનાએ સપ્ટેમ્બર 2021માં જીએસટી કલેક્શનમાં વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતોનું કહેવું છે કે જીએસટી કલેક્શનમાં થઈ રહેલો સતત વધારો સરકાર અને દેશના અર્થતંત્ર માટે સારો સંકેત છે.
✅₹ 1,17,010 crore gross GST revenue collected in the month of September 2021✅The revenues for the month of September 2021 are 23% higher than the GST revenues in the same month last year.
Read more➡️ https://t.co/mYq5GjCG3H pic.twitter.com/vsVASJM0Qp
— Ministry of Finance (@FinMinIndia) October 1, 2021
ઓગસ્ટ 2021માં જીએસટી કલેક્શન 1,12,020 કરોડ હતું. જ્યારે ઓગસ્ટ 2020માં તે 86,449 કરોડ રૂપિયા હતું. જુલાઈ 2021માં 1.16 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. જ્યારે જુલાઈ -2020માં GST કલેક્શન 87,422 કરોડ રૂપિયા રહ્યું હતું. જૂન -2021માં જીએસટી કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાથી ઓછું એટલે કે 92,849 કરોડ રૂપિયા રહ્યું હતું.
આ પણ વાંચો : રેલયાત્રીઓ કોવિડ માર્ગદર્શિકા અંગે જાણી લો આ મહત્વની વાત, નહીં તો થશે 500 રૂપિયાનો દંડ