Gold Price: ધનતેરસ પર સોનાના વેચાણમાં રેકોર્ડ, આજે પણ કારોબાર બમ્પર રહેવાની ધારણા
સોનાના ભાવ ઊંચા હોવા છતાં ગ્રાહકોએ ધનતેરસ (Dhanteras 2022) પર ખરીદી કરી હતી. શનિવારે દિલ્હીમાં સોનાની કિંમત 50,139 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી (ટેક્સ શામેલ નથી). ગયા વર્ષે ધનતેરસ પર દસ ગ્રામ સોનાની કિંમત 47,644 રૂપિયા હતી. સામાન્ય રીતે ધનતેરસના અવસર પર 20-30 ટન સોનું વેચાય છે.
આ વર્ષે ધનતેરસનો પર્વ બે દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ધનતેરસની (Dhanteras 2022) સારી શરુઆત શનિવારથી થઈ છે, કારણ કે ખરીદદારો બજારોમાં ઉમટી પડ્યા હતા. દિવાળીના આગલા દિવસે ધનતેરસને સોનું (Gold) અને ચાંદી (Silver) ખરીદવા માટે શુભ દિવસ માનવામાં આવે છે. શનિવારે બજારોમાં લોકોની મોટી ભીડ જોવા મળી હતી અને ગ્રાહકો સોના-ચાંદીની દુકાનો પર પોતાના વારાની રાહ જોતા જોવા મળ્યા હતા. ધનતેરસની ખરીદી રવિવારે પણ થવાની હોવાથી આજે પણ બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે.
મોટા જ્વેલરી વેપારીઓ અને ઉદ્યોગ મંડળે આગાહી કરી છે કે, રવિવારે માગમાં વધુ વધારો થશે અને ધનતેરસ પર વેચાણ ગયા વર્ષની સરખામણીએ 20 ટકા વધુ હોઈ શકે છે. સોનાના ભાવ ઊંચા હોવા છતાં ગ્રાહકોએ ધનતેરસ પર ખરીદી કરી હતી. શનિવારે દિલ્હીમાં સોનાની કિંમત 50,139 રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી (ટેક્સ શામેલ નથી). ગયા વર્ષે ધનતેરસ પર દસ ગ્રામ સોનાની કિંમત 47,644 રૂપિયા હતી. સામાન્ય રીતે ધનતેરસના અવસર પર 20-30 ટન સોનું વેચાય છે.
ઓલ ઈન્ડિયા જેમ્સ એન્ડ જ્વેલરી હાઉસહોલ્ડ કાઉન્સિલના પ્રેસિડેન્ટ આશિષ પેઠેએ પીટીઆઈને જણાવ્યું, “દિવસની શરૂઆતથી જ લોકો એકઠા થતા રહ્યા. આ વર્ષે ધનતેરસ સપ્તાહના અંતમાં ઉજવવામાં આવી રહી છે, અમને આશા છે કે બજારમાં ખરીદી વધશે. આશિષ પેઠેએ કહ્યું, મૂલ્યની દ્રષ્ટિએ, વધારો પાંચથી દસ ટકા વધુ હોઈ શકે છે કારણ કે સોનાની કિંમત પણ 2021 ની સરખામણીમાં પાંચ ટકા વધારે છે.
3-4 દિવસથી વેચાણમાં તેજી
છેલ્લા ત્રણ-ચાર દિવસથી ખરીદી સારી રહી છે અને વેચાણમાં તેજી જોવા મળી રહી છે. તેમણે કહ્યું કે ઉદ્યોગ બે દિવસમાં સારા વેપારની અપેક્ષા રાખે છે. PNG જ્વેલર્સના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સૌરભ ગાડગીલે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં સવારથી લોકોની સંખ્યા ઘણી સારી છે. લોકો કાં તો તેમની પ્રી-બુક કરેલી જ્વેલરી લેવા અથવા સોના-ચાંદીના સિક્કા ખરીદવા આવ્યા હતા.
ઉત્તર પ્રદેશ સ્થિત ઐશપ્રા જેમ્સ એન્ડ જ્વેલ્સના ડિરેક્ટર વૈભવ સરાફે જણાવ્યું હતું કે, બે વર્ષ બાદ આ વખતે સારા ધનતેરસની આશા છે. ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલના વાઇસ પ્રેસિડેન્ટ સૈયમ મેહરાએ જણાવ્યું હતું કે મુંબઈના ઝવેરી બજારમાં લોકોની ભીડ જોવા મળી રહી છે અને રવિવારે તેમાં વધુ વધારો થશે.
સપ્તાહના અંતે દુકાનદારોને ફાયદો
સેનકો ગોલ્ડ એન્ડ ડાયમંડ્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ સુવંકર સેને જણાવ્યું હતું કે શુક્રવારથી બજારમાં તેજીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તેમણે કહ્યું કે, આ વર્ષે ધનતેરસ સપ્તાહના અંતમાં આવી રહી છે, તેથી અમે આશા રાખીએ છીએ કે તે ખૂબ જ સારું રહેશે. કલ્યાણ જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર રમેશ કલ્યાણરમણે જણાવ્યું હતું કે, “મજબૂત એડવાન્સ બુકિંગ સાથે, મોટી સંખ્યામાં ગ્રાહકો તમામ શોરૂમની મુલાકાત લે તેવી અપેક્ષા છે, ખાસ કરીને બિન-દક્ષિણ બજારોમાં.
40,000 કરોડનું વેચાણ થવાની ધારણા છે
બીજી તરફ, કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (CAIT) એ શનિવારે જણાવ્યું હતું કે સપ્તાહના અંતે અને બે દિવસીય ધનતેરસના તહેવાર પર આશરે રૂ. 40,000 કરોડનો વેપાર થવાની અપેક્ષા છે. દિવાળી પહેલા આવતા ધનતેરસને નવી વસ્તુઓ, ખાસ કરીને સોના, ચાંદીના ઘરેણાં, તમામ પ્રકારના વાસણો, વાહનો, કપડાં અને તૈયાર વસ્ત્રો, ઈલેક્ટ્રોનિક્સ, ઈલેક્ટ્રીકલ વસ્તુઓ વગેરે ખરીદવા માટે શુભ માનવામાં આવે છે. આ વર્ષે ધનતેરસ સપ્તાહના અંતમાં આવી છે, જેનું મુહૂર્ત શનિવારે બપોરે 2 વાગ્યાથી રવિવારે સાંજે 6 વાગ્યા સુધી છે.
CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ધનતેરસના બે દિવસીય તહેવારમાં આશરે રૂ. 40,000 કરોડનું ટર્નઓવર થવાની અપેક્ષા છે. ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ અરોરાએ જણાવ્યું હતું કે શનિવાર અને રવિવારે ધનતેરસના દિવસે વેચાણને લઈને દેશભરના જ્વેલરી વેપારીઓમાં ભારે ઉત્સાહ છે અને આ માટે ઉદ્યોગોએ ઝીણવટભરી તૈયારીઓ કરી છે. તેમણે કહ્યું કે આ વર્ષે બજારોમાં પણ આર્ટિફિશિયલ જ્વેલરીની માગ છે, જ્યારે ધનતેરસ પર મોટી સંખ્યામાં સોના, ચાંદીના સિક્કા, નોટો અને મૂર્તિઓની ખરીદી થવાની સંભાવના છે.