સોનાની કિંમતમાં એક પછી એક ઉછાળો આવતા સૂવર્ણ કસબીઓને ખાવાના પણ ફાંફાં પડી રહ્યા છે
સોનાના ભાવમાં ભડકો થતા ઘરેણાંની ખરીદીમાં 70 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. માત્ર 8 મહિનામાં 10 ગ્રામ સોનાની કિંમતમાં સાડા સાત હજાર રૂપિયાના વધારાથી વેપાર જાણે ઠપ થઈ ગયો છે. અને ભરૂચમાં અનેક કસબીઓને વ્યવસાયને અલવિદા કહેવાની ફરજ પડી છે. 30 વર્ષથી સોનાની લગડીને આકર્ષક ઘરેણાંમાં પરિવર્તિત કરતો કસબી સુજય, ધારા કામના અભાવે […]

સોનાના ભાવમાં ભડકો થતા ઘરેણાંની ખરીદીમાં 70 ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. માત્ર 8 મહિનામાં 10 ગ્રામ સોનાની કિંમતમાં સાડા સાત હજાર રૂપિયાના વધારાથી વેપાર જાણે ઠપ થઈ ગયો છે. અને ભરૂચમાં અનેક કસબીઓને વ્યવસાયને અલવિદા કહેવાની ફરજ પડી છે.
30 વર્ષથી સોનાની લગડીને આકર્ષક ઘરેણાંમાં પરિવર્તિત કરતો કસબી સુજય, ધારા કામના અભાવે દેવામાં ડૂબી રહ્યો છે. સોનાના ઊંચા અને સતત વધતી કિંમત અને ઘડાઈના સ્થાને કાસ્ટિંગના દોર વચ્ચે છેલ્લા બે – ત્રણ વર્ષથી મળતું કામ તદન ઓછું થયું છે. સુજય બેકારી તરફ ધકેલાઈ રહ્યો છે. પરિસ્થિતિ એ હદે વણસી છે કે, આ સૂવર્ણ કસબી બાળકોના સારા ભાવિ અને પરિવારના સુખ માટે ખરીદેલું મકાન માત્ર ૪ મહિનામાં વેચી દેવું પડયું છે. 8 મહિનામાં સાડા સાત હજાર અને માત્ર ૩૦ દિવસમાં ૪૪૦૦ રૂપિયાનો ઉછાળો લેનાર સોનાના ભાવે ખરીદાર અને સુવર્ણ કસબીઓને મૂંઝવણમાં મૂકી દીધા છે.
સોનાની ખરીદીમાં ઘટાડાના કારણે સુવર્ણ કસબીઓને ઘર ચલાવવું પણ મુશ્કેલ બની રહ્યું છે. ઉધાર અને દેવા કરી ગાડાં ગબડાવતા કસબીના હાલ પેટે પાટા બાંધવા સુધી પહોંચ્યા છે. ઓછી આવક અને વધતી મોંઘવારી સામે લડતી સુવર્ણકારની પત્ની આ શબ્દોમાં વ્યથા વ્યક્ત કરી રહી છે. સુવર્ણ કસબીની પત્ની પ્રીતિ ધારાએ જણાવ્યું કે, તેમની પરિસ્થિતિ ખૂબ ખરાબ છે. બાળકોને શાળાઓમાંથી દરરોજ ફી માટે રિમાઇન્ડર આવે છે .પણ પૈસા જ ન હોવાથી વાયદા કરવા પડે છે. ઘર કેમનું ચલાવવું મહિલાઓ માટે મોટી સમસ્યા છે.
૧૦ ગ્રામ સોનાનો ભાવ
૧ જાન્યુઆરી ૨૦૧૯ ૩૨૬૪૦ રૂપિયા ૧ ઓગષ્ટ ૨૦૧૯ ૩૫૭૦૦ રૂપિયા ૭ ઓગષ્ટ ૨૦૧૯ ૩૮૨૦૦ રૂપિયા ૨૯ ઓગષ્ટ ૨૦૧૯ ૪૦૧૨૦ રૂપિયા
સુવર્ણકારો અનુસાર સોનાનો ભાવ દરરોજ અને મોટા તફાવતથી વધે છે. દાગીનાનું બુકીંગ લઈ એકાદ મહિનો પછી ડિલિવરી આપવામાં આવે ત્યારે કિંમતમાં હજારોનો વધારો થઈ ગયો હોય છે. ચોપડે ચડતી ખોટ સહન કોણ કરે એ તકરારનો વિષય બને છે. એક સમયે ભરૂચમાં 1000 કારીગરો તેજી વચ્ચે ધમધમતા સોનાની ઘડાઈના કારખાનાઓમાં કામ કરતા હતા. ૫ વર્ષ સુધીના અનુભવીઓએ વ્યવસાયજ છોડી દીધો છે. જયારે બે ત્રણ દાયકાથી ક્ષેત્રમાં રચ્યાપચ્યા રહેલા કારીગરો સારા સમયના ઈન્તેજારમાં છે.
સુવર્ણકાર સુજય ધારાએ જણાવ્યું હતું કે પરિવાર માટે તેને ઘર લીધું હતું પણ હપ્તા ભરી ન શકતા તેને ઘર માત્ર ૪ મહિનામાં વેચી દેવું પડયું હતું. સુવર્ણકાર અઝરૂદ્દીન શેખ જણાવી રહ્યા છે કે તેના પાસે ઘણા સમયથી કામ નથી હાલમાં તે ઉધાર લઇ પોતાનું ગુજરાન ચલાવે છે. ૫ વર્ષમાં આખો સમય બદલાઈ ગયો છે અને સુવર્ણકારોએ હવે ક્ષેત્ર છોડવું પડી રહ્યું છે.
જવેલર્સ પણ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે, ગ્રાહક તેના શો રૂમમાં આવશે અને ખરીદી કરશે, તો સુવર્ણકારોને તેઓ કામ આપી શકશે. હાલ આખો વ્યવસાય મંદીમાં સપડાયો છે. જવેલર્સ ચંદ્રકાન્ત સોનીએ જણાવ્યું હતું કે, બજારમાં ખૂબ મંદી છે. સતત વધતા ભાવના કારણે ખરીદારો આવતા નથી. જીએસટીની પણ ક્ષેત્રને અસર પડી રહી છે. મંદીનો શિકાર બનેલા સુવર્ણકારો પરિસ્થિતિ સુધરવાનો ઇંતેજાર કરી રહ્યા છે.