બેંકોમાં 100 કરોડથી વધુની છેતરપિંડીના કેસમાં ઘટાડો, ખાનગી ક્ષેત્રમાં મોટો ઘટાડો
બેંકિંગ સેક્ટરમાં (Banking Sector) 100 કરોડથી વધુની છેતરપિંડીના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 2021-22માં આવા કેસોમાં ફસાયેલી રકમ 41,000 કરોડ રૂપિયા છે, જે અગાઉના નાણાકીય વર્ષમાં 1.05 લાખ કરોડ રૂપિયા હતી.
બેંકિંગ સેક્ટરમાં 100 કરોડ રૂપિયાથી વધુની છેતરપિંડીના (Bank Fraud) કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 2021-22માં આવા કેસોમાં ફસાયેલી રકમ 41,000 કરોડ રૂપિયા છે, જે અગાઉના નાણાકીય વર્ષમાં 1.05 લાખ કરોડ રૂપિયા હતી. આ માહિતી સત્તાવાર આંકડાઓમાં આપવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું હતું કે ખાનગી (Private) અને જાહેર ક્ષેત્રની (Public Sector) બેંકોમાં છેતરપિંડીના કેસ 2021-22માં ઘટીને 118 થઈ ગયા છે, જે 2020-21માં 265 હતા. જાહેર ક્ષેત્રની બેંકોમાં 100 કરોડ રૂપિયાથી વધુની ઉચાપતના કેસોની સંખ્યા 167થી ઘટીને 80 પર આવી ગઈ છે.
ખાનગી ક્ષેત્રની બેંકોમાં આવા કેસ 98 થી ઘટીને 38 પર આવ્યા છે. જાહેર ક્ષેત્રની બેંકોના સંબંધમાં છેતરપિંડીના કેસોમાં સામેલ રકમ 2020-21માં 65,900 કરોડ રૂપિયાથી ઘટીને 28,000 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ખાનગી ક્ષેત્રની બેંકો માટે આ રકમ રૂ. 39,900 કરોડથી ઘટીને રૂ. 13,000 કરોડ થઈ છે.
આ વર્ષની શરૂઆતમાં મોટી બેંક છેતરપિંડી થઈ હતી
આ વર્ષની શરૂઆતમાં, ABG શિપયાર્ડ અને તેના પ્રમોટર્સ દ્વારા કરવામાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)માં રૂ. 22,842 કરોડની સૌથી મોટી બેંક છેતરપિંડી થઈ હતી. આ રકમ નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંક સાથે કરેલી 14,000 કરોડ રૂપિયાની છેતરપિંડી કરતાં વધુ છે. ગયા મહિને, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડના પૂર્વ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અને ડિરેક્ટર ધીરજ વાધવાન અને અન્યો વિરુદ્ધ રૂ. 34,615 કરોડની બેંક છેતરપિંડીનો કેસ નોંધ્યો હતો.
અધિકારીઓએ કહ્યું હતું કે સીબીઆઈ મુંબઈમાં આરોપીઓના 12 સ્થળો પર સર્ચ કરી રહી છે. તપાસ એજન્સીએ દિવાન હાઉસિંગ ફાયનાન્સ કોર્પોરેશન લિ. (DHFL), તત્કાલીન ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કપિલ વાધવન, ડાયરેક્ટર ધીરજ વાધવન અને રિયલ્ટી સેક્ટરની છ કંપનીઓ સામે યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયાની આગેવાની હેઠળની બેન્કોના કન્સોર્ટિયમ સાથે રૂ. 34,615 કરોડની કથિત છેતરપિંડી કરવા બદલ ગુનાહિત ષડયંત્રમાં તેમની કથિત સંડોવણી બદલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
સીબીઆઈએ 11 ફેબ્રુઆરી 2022ના રોજ બેંક તરફથી મળેલી ફરિયાદના આધારે કાર્યવાહી કરી હતી. વાધવાન બંધુઓ હાલમાં કથિત ભ્રષ્ટાચારના કેસમાં સીબીઆઈના સ્કેનર હેઠળ છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો બેંક ફ્રોડ કેસ છે. આ પહેલા એબીજી શિપયાર્ડ પર 23 હજાર કરોડ રૂપિયાના બેંક ફ્રોડનો કેસ નોંધવામાં આવ્યો હતો.