વિદેશી રોકાણકારોની વેચવાલી ચાલુ, મે મહિનામાં ભારતીય બજારમાંથી અત્યાર સુધીમાં 39 હજાર કરોડ પાછા ખેંચાયા
ક્રૂડ ઓઇલમાં તેજી, ઉંચી મોંઘવારી (inflation) અને કડક નાણાકીય વલણને ધ્યાનમાં રાખીને FPI વેચવાલી ચાલુ રાખી શકે છે. વિદેશી રોકાણકારોએ મે મહિનામાં અત્યાર સુધીમાં 39 હજાર કરોડની વેચવાલી કરી છે.
ભારતીય શેરબજારોમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારોની વેચાણ પ્રક્રિયા મે મહિનામાં પણ ચાલુ રહી છે. વિદેશી રોકાણકારોએ (Foreign Investors) મે મહિનામાં ભારતીય શેરબજારોમાંથી (Stock Market) 39,000 કરોડ રૂપિયાથી વધુ રકમ ઉપાડી લીધી છે. યુએસમાં બોન્ડ યીલ્ડમાં વધારો, ડોલરની મજબૂતાઈ અને ફેડરલ રિઝર્વ દ્વારા દરમાં વધુ આક્રમક વધારાની શક્યતા વચ્ચે FPI ભારતીય બજારમાં વેચાણકર્તા તરીકે ચાલુ રહ્યા છે. FPIએ અત્યાર સુધીમાં 2022માં ભારતીય શેરબજારોમાંથી 1.66 લાખ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. કોટક સિક્યોરિટીઝના ઈક્વિટી રિસર્ચ (રિટેલ)ના વડા શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું કે આગળ જતાં ભારતીય બજારોમાં FPIનું વલણ અસ્થિર રહેશે. ક્રૂડ ઓઈલના ઊંચા ભાવ, ઊંચી મોંઘવારી અને કડક નાણાકીય વલણને ધ્યાનમાં રાખીને FPI વેચાણ ચાલુ રાખી શકે છે.
જિયોજીત ફાઈનાન્શિયલ સર્વિસિસના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી. કે. વિજયકુમારે જણાવ્યું હતું કે “જ્યારે તાજેતરના સમયમાં FPI વેચવાલી કરી રહ્યા છે, ત્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) અને છૂટક રોકાણકારો તેમના વલણનો સામનો કરવા માટે ખરીદી કરી રહ્યા છે.
સાત મહિનાથી વેચાણ કરવામાં આવી રહ્યું છે
વિદેશી રોકાણકારો એપ્રિલ સુધી સતત સાત મહિના સુધી સેલર રહ્યા છે. જોકે, એપ્રિલના પ્રથમ સપ્તાહમાં FPIનું ભારતીય બજારોમાં 7,707 કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ હતું. ત્યારથી તેમનું વેચાણ ફરી ચાલુ છે. ડિપોઝિટરી ડેટા અનુસાર 2થી 27 મે દરમિયાન, FPIએ નેટ 39,137 કરોડ રૂપિયાના શેરનું વેચાણ કર્યું છે. જો કે ચાલુ મહિનાના હજુ બે ટ્રેડિંગ સેશન બાકી છે.
મોંઘવારીને કારણે કંપનીઓના નફામાં ઘટાડો થઈ શકે છે
મોર્નિંગસ્ટાર ઈન્ડિયાના એસોસિયેટ ડિરેક્ટર-મેનેજર રિસર્ચ, હિમાંશુ શ્રીવાસ્તવ કહે છે કે, રોકાણકારો એ કારણથી પણ સાવધાન થઈ રહ્યા છે કારણ કે તેમને ડર છે કે ઊંચી મોંઘવારી કંપનીઓના નફાને અસર કરશે અને તેનાથી ગ્રાહક ખર્ચમાં ઘટાડો થશે. આ પરિબળો ઉપરાંત, રશિયા-યુક્રેન યુદ્ધ પણ વૈશ્વિક આર્થિક વૃદ્ધિને અસર કરી શકે છે.