Mehul Choksi ને મેડિકલ ગ્રાઉન્ડ પર મળ્યા વચગાળાના જામીન, સારવાર બાદ ડોમિનિકા પરત ફરવું પડશે
ચોક્સીને મુસાફરી માટે યોગ્ય પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી વચગાળાના જામીન મળ્યા છે. ત્યારબાદ તેને ડોમિનિકા પરત ફરવું પડશે.
ડોમિનિકા (Dominica) કોર્ટે ભાગેડુ હીરા વેપારી મેહુલ ચોક્સી( Mehul Choksi) ને મેડિકલ ગ્રાઉન્ડ પર એન્ટિગુઆ અને બાર્બુડા જવા માટે વચગાળાના જામીન આપ્યા છે. આ જામીન માત્ર એન્ટિગુઆમાં સારવાર માટે આપવામાં આવે છે. તેમજ ચોક્સીને મુસાફરી માટે યોગ્ય પ્રમાણપત્ર ન મળે ત્યાં સુધી વચગાળાના જામીન મળ્યા છે. ત્યારબાદ તેમને ડોમિનિકા પરત ફરવું પડશે.
23 મેના રોજ ડોમિનિકા માં ગેરકાયદે પ્રવેશ માટે ધરપકડ કરાયેલા ભાગેડુ હીરાના વેપારી મેહુલ ચોક્સીને સોમવારે ડોમિનિકા કોર્ટે તબીબી કારણોસર જામીન આપી દીધા છે. ચોક્સી એન્ટિગુઆ અને બાર્બુડાથી ગુમ થયા હતા. જ્યાં તે ભારતથી ફરાર થયા બાદ વર્ષ 2018 થી વસવાટ કરી રહ્યા હતા. પંજાબ નેશનલ બેંકના છેતરપિંડી કેસમાં 62 વર્ષીય હીરાના વેપારી ભારતમાં ભાગેડુ છે.
ભાગેડુ હીરા વેપારીએ કાર્યવાહી રદ કરવા કરી હતી માંગ
ભારત સરકારના પ્રતિનિધિઓ દ્વારા તેમની ધરપકડને નિર્ધારિત કરવામાં આવી હોવાનો આક્ષેપ કરીને ચોક્સીએ તેમની સામેની કાર્યવાહીને રદ કરવા માંગ કરી હતી. ડોમિનિકાના રુસોઉ શહેરની હાઇકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. સ્થાનિક મીડિયાએ ગત સપ્તાહે પોતાના અહેવાલમાં આ માહિતી આપી હતી.
ચોક્સી હાલ ડોમિનિકાના પાડોશી દેશ એન્ટિગુઆનો નાગરિક છે, જ્યાં તેણે તેના પ્રત્યાર્પણની અરજીને પડકારી છે. ચોક્સીએ ડોમિનિકન કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે એન્ટિગુઆથી તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ભારતીયો દ્વારા તેમને બળજબરીથી ડોમિનિકા લાવવામાં આવ્યો હતો. ડોમિનિકન સરકારે તેમને દેશમાં ‘પ્રતિબંધિત ઇમિગ્રન્ટ’ જાહેર કરી ચૂકી છે.
ચોક્સીની કંપની વેચાવા જઈ રહી છે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે મેહુલ ચોક્સીની કંપની ગીતાંજલિ જેમ્સની સહાયક કંપની નક્ષત્ર વર્લ્ડને વેચાણની મંજૂરી આપી છે. ખરેખર વેચાણનો આ નિર્ણય આઈસીઆઈસીઆઈ બેંકની અરજી બાદ લેવામાં આવ્યો છે. લગભગ 2 વર્ષ પહેલા બેંકે આ માટે અરજી કરી હતી. હવે એનસીએલટી કોર્ટે નિર્ણય લીધો છે કે આ કંપની વેચીને બેંકની રિકવરી કરવામાં આવશે.
અદાલતે નક્ષત્ર વર્લ્ડના વેચાણ માટે લિક્વિડેટર તરીકે દિલ્હી ઇનસોલ્વન્સી પ્રોફેશનલ્સ એલએલપીના ભાગીદાર શાંતનુ રેની નિમણૂક કરી છે. મેહુલ ચોક્સીની આ કંપની વર્ષ 2019 થી નાદારી પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. હવે બેંક કંપનીને વેચીને તેની રકમ પુન:પ્રાપ્ત કરી શકશે. આ અગાઉ વિજય માલ્યાના કિસ્સામાં પણ દેશની સૌથી મોટી બેંક એસબીઆઈને વ્યક્તિગત સંપત્તિ વેચવાની મંજૂરી મળી હતી. ત્યારબાદ બેંકે આશરે 5000 કરોડની વસૂલાત કરી હતી.
આ પણ વાંચો : ભારતમાં દરેક ચોથો મુસાફર અદાણી એરપોર્ટ પરથી ઉડાન ભરે છે : ગૌતમ અદાણી
આ પણ વાંચો : Gujarat Rain News : સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજા મહેરબાન, દક્ષિણ-ઉત્તર ગુજરાત પણ વરસાદી માહોલ