
દેશમાં ચાલુ વર્ષે લોકસભા ચૂંટણી યોજાશે તે પહેલા મોદી સરકારનું આ છેલ્લું બજેટ છે. બજેટ રજૂ થવામાં હવે થોડા દિવસો બાકી છે. તેથી ઈન્કમ ટેક્સમાં કોઈ ફેરફાર થશે, કોઈ રાહત મળશે કે ટેક્સ સ્લેબમાં ફરી ફેરફાર થશે? તમને જણાવી દઈએ કે આ વખતે ટેક્સ સ્લેબમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવશે નહીં, એટલે કે નોકરિયાત વર્ગના લોકોને કોઈ રાહત મળશે નહીં.
આ વખતે મોદી સરકારનું આ બજેટ ‘સામાન્ય બજેટ’ નહીં પરંતુ ‘વચગાળાનું બજેટ’ હશે. વચગાળાના બજેટના નિયમો થોડા અલગ હોય છે. તેથી આ વખતે બજેટમાં ટેક્સ સ્લેબને લઈને કોઈ મોટા ફેરફાર કરવામાં આવશે નહીં.
દેશમાં જે વર્ષે નવી સરકારની રચના થવાની હોય છે ત્યારે વચગાળાનું બજેટ લાવવામાં આવે છે. લોકસભાની સામાન્ય ચૂંટણીઓ બાદ દેશમાં બનેલી નવી સરકાર આગામી વર્ષ માટે સંપૂર્ણ બજેટ રજૂ કરે છે. તેથી ચૂંટણી પહેલા ચાલુ સરકાર નવી સરકાર રચાય ત્યાં સુધી જ વચગાળાના બજેટમાં સંસદ દ્વારા મંજૂર કરાયેલ સરકારી ખર્ચ મેળવે છે.
આ બાબતે ચૂંટણી પંચની આચાર સંહિતાના નિયમો સરકાર પર ભારે પડે છે. આ નિયમ મુજબ ચાલુ સરકાર વચગાળાના બજેટમાં મતદારોને આકર્ષી શકે તેવી કોઈ જોગવાઈ કરી શકતી નથી. સરકાર ન તો કોઈ મોટી રાહત કે યોજનાની જાહેરાત કરી શકે છે અને ન તો ટેક્સ સ્લેબમાં ફેરફાર કરી શકે છે.
વર્ષ 2019માં તત્કાલિન નાણામંત્રી પીયૂષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની જાહેરાત કરી હતી. ત્યારે આ યોજનાનો વિરોધ પક્ષોએ જોરદાર વિરોધ કર્યો હતો. કોંગ્રેસની તત્કાલીન ચૂંટણી વચન ન્યાય યોજનાના પ્રતિભાવરૂપે લાવવામાં આવેલી આ યોજના હતી.
આ પણ વાંચો : IPO ભરતા લોકોને થશે વધારે કમાણી! રતન ટાટાની એક કંપનીનો આવી રહ્યો છે આઈપીઓ
ચૂંટણી આચાર સંહિતાના નિયમોને ટાળવા માટે સરકારે ડિસેમ્બર 2018થી તેનો અમલ કર્યો હતો. પીએમ કિસાન યોજના હેઠળ, ખેડૂતોને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે.