Air Indiaના પાઈલોટ્સને મળશે ભેટ, નિવૃત્તિ બાદ 5 વર્ષ સુધી ફરી કામ કરવાની તક
એર ઈન્ડિયાએ ત્રણ વર્ષ પહેલા નિવૃત્ત થયેલા પાઈલટોને પત્ર મોકલ્યો છે. એરલાઈને તેના કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના રજૂ કરી છે, જેમાં કેબિન ક્રૂનો સમાવેશ થાય છે, તેમજ નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે.
ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયા (Air India)એ પાઈલટ્સને તેમની નિવૃત્તિ પછી 5 વર્ષ માટે ફરીથી નોકરી પર રાખવાની ઓફર કરી છે. એરલાઈને કામગીરીમાં સ્થિરતા લાવવાના આશયથી આ પહેલ કરી છે. આ માહિતી આંતરિક રીતે જારી કરાયેલા ઈ-મેલમાંથી મળી હતી. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે કંપની 300 એરક્રાફ્ટ ખરીદવા માટે વાતચીત કરી રહી છે. Air India આ પાઈલટ્સ ફરીથી કમાન્ડર તરીકે નિયુક્ત કરવાનું વિચારી રહી છે. કંપનીએ ક્રૂ સભ્યો સહિત તેના કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના પણ રજૂ કરી છે અને તે સાથે જ નવા યુવાનોની ભરતી પણ કરી રહી છે.
વિકાસ ગુપ્તા, ડેપ્યુટી જનરલ મેનેજર (કાર્મિક), એર ઈન્ડિયાએ આંતરિક મેઈલમાં જણાવ્યું હતું કે, “અમને એ જણાવતા આનંદ થાય છે કે એર ઈન્ડિયામાં કમાન્ડર તરીકે 5 વર્ષના સમયગાળા માટે અથવા 65 વર્ષની ઉંમર સુધી, જે પણ વહેલું હોય, નિવૃત્તિ પછી તમારી કરાર આધારિત ભરતી માટે વિચારણા કરવામાં આવી રહી છે.
મેઇલ મુજબ, રસ ધરાવતા પાઇલટ્સને 23 જૂન સુધીમાં લેખિત સંમતિ સાથે તેમની વિગતો સબમિટ કરવા માટે કહેવામાં આવ્યું છે. આ સંદર્ભે એર ઈન્ડિયાના પ્રવક્તાને મોકલવામાં આવેલ પ્રશ્નનો કોઈ જવાબ મળ્યો નથી.
એર ઈન્ડિયાએ VRS સ્કીમ રજૂ કરી
અધિકારીએ જણાવ્યું કે ત્રણ વર્ષ પહેલા નિવૃત્ત થયેલા પાયલટોને પત્ર મોકલવામાં આવ્યો છે. એરલાઈને તેના કર્મચારીઓ માટે સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના રજૂ કરી છે, જેમાં કેબિન ક્રૂનો સમાવેશ થાય છે, તેમજ નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે.
પાઇલોટએ એરલાઇન માટે સૌથી મોંઘી સંપત્તિ છે. કેબિન ક્રૂ અને એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર્સ જેવી અન્ય ભૂમિકાઓની સરખામણીમાં તેઓને સૌથી વધુ વેતન આપવામાં આવે છે. વધુમાં, સ્થાનિક ઉડ્ડયન ઉદ્યોગમાં પર્યાપ્ત રીતે પ્રશિક્ષિત પાઇલોટ્સનો અભાવ હંમેશા એક મુદ્દો રહ્યો છે.
એર ઈન્ડિયાના અન્ય કર્મચારીઓની જેમ એર ઈન્ડિયામાં પાઈલટોની નિવૃત્તિની ઉંમર 58 વર્ષ છે. રોગચાળા પહેલા, એર ઇન્ડિયાએ તેના નિવૃત્ત પાઇલટ્સને કરાર પર ફરીથી રાખ્યા હતા, પરંતુ માર્ચ 2020 ના અંત પછી તેને છૂટા કરી દેવામાં આવ્યા હતા. રોગચાળાની અસરને આંશિક રીતે સરભર કરવા માટે આવા પાઇલોટ્સનો કરાર પણ સમાપ્ત કરવામાં આવ્યો હતો. જો કે, અન્ય ખાનગી એરલાઇન્સના પાઇલોટ્સ 65 વર્ષની ઉંમર સુધી ઉડાન ભરે છે.