ગુજરાત બાદ હવે કર્ણાટકની કાયાકલ્પ કરશે અદાણી,1 લાખ કરોડનું કરશે રોકાણ
અદાણી ગ્રૂપ કર્ણાટકનો વિકાસ કરવા માટે વિશ્વની સૌથી મોટી સોલાર પાવર કંપની હોવાને કારણે રાજ્યમાં રિન્યુએબલ એનર્જીમાં વધુ રોકાણ કરશે.
ગૌતમ અદાણી ગ્રુપે ગુજરાત બાદ કર્ણાટકને કાયાકલ્પ કરવાનો નિર્ણય લીધો છે. હવે તેણે આગામી 7 વર્ષમાં કર્ણાટકમાં એક લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની તૈયારી કરી લીધી છે. માહિતી આપતાં, અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિમિટેડના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) કરણ ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે, આગામી સાત વર્ષ દરમિયાન લગભગ એક લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્ણાટકના અમુક વિસ્તારમાં કરવામાં આવશે. જેથી જે તે જગ્યાનો વિકાસ પણ થશે.
ગૌતમ અદાણીના પુત્ર કરણ અદાણીનું કહેવું છે કે વિશ્વની સૌથી મોટી સોલાર પાવર કંપની હોવાને કારણે અદાણી ગ્રુપ રાજ્યમાં રિન્યુએબલ એનર્જીમાં વધુ રોકાણ કરશે. આ જૂથ કર્ણાટકમાં સિમેન્ટ, પાવર, પાઇપ્ડ ગેસ, ખાદ્ય તેલ, પરિવહન, લોજિસ્ટિક્સ અને ડિજિટલ જેવા અનેક ક્ષેત્રોમાં સક્રિય છે અને અત્યાર સુધીમાં રૂ. 20,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે.
અદાણીનું ફોકસ સિમેન્ટ બિઝનેસ પર છે
નોંધનીય છે કે ગૌતમ અદાણી છેલ્લા કેટલાક દિવસોમાં માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિશ્વના અગ્રણી બિઝનેસ મેન તરીકે ઉભરી આવ્યા છે. હાલમાં, અદાણી જૂથ કર્ણાટકમાં 7 મિલિયન ટનથી વધુની કુલ ક્ષમતા સાથે ચાર સિમેન્ટ ઉત્પાદન પ્લાન્ટ ધરાવે છે. કરણ અદાણીએ જણાવ્યું હતું કે જૂથ આ ક્ષેત્રમાં પણ તેની હાજરીનો વિસ્તાર કરશે. આ ઉપરાંત મેંગલુરુ ઈન્ટરનેશનલ એરપોર્ટનું પણ વિસ્તરણ કરવામાં આવશે. આ ઉપરાંત અદાણી વિલ્મર પણ મેંગલુરુમાં તેની હાજરી વધારી રહી છે.
ગુજરાત સરકારને કરોડોનું નુકસાન થયું છે
થોડા દિવસો પહેલા અદાણી ગ્રુપની એક કંપની પર જંગલની જમીન ખોટી રીતે ટ્રાન્સફર કરવાનો અને ગુજરાત સરકારને રૂ. 58 કરોડનું નુકસાન પહોંચાડવાનો આરોપ લાગ્યો હતો. ગુજરાતની જાહેર હિસાબ સમિતિએ તેના તાજેતરના અહેવાલમાં આ માહિતી આપી હતી. ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવેલા તેના પાંચમા અહેવાલમાં, પીએસીએ જણાવ્યું હતું કે મુન્દ્રા પોર્ટ અને સેઝ માટે કચ્છમાં અદાણી કેમિકલ્સને વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવેલી જંગલની જમીનના અયોગ્ય વર્ગીકરણને કારણે, કંપનીને રાજ્ય સરકારને 58.64 કરોડ રૂપિયાની ચુંકવણી કરવી પડી હતી.